Monday 10 June 2024

પ્રભુના દર્શન કર્યા બાદ તેમને યાદ કરવા એ સુમિરણ છે.

 

પ્રભુના દર્શન કર્યા બાદ તેમને યાદ કરવા એ સુમિરણ છે.

 

સંતો આપણને સમજાવે છે કે બીજા કોઇમાં ખામીઓ દેખાય તો તેને સમજાવો પરંતુ દરેકમાં ખામીઓ દેખાય તો પોતે પોતાને સમજાવો.ભજન સેવા સુમિરણ સત્સંગનો પ્રભાવ મનુષ્ય ઉપર પડે છે,પાપી મનુષ્ય નેક અને ઇમાનદાર બને છે,મોહ-માયાની અસર ઓછી થાય છે,સાધનામાં નિયમિતતા આવે છે,વિવેક આવે છે,વિચાર શાંત થાય છે,જીવનમાં સુખ શાંતિ આવે છે એટલે હે માનવ ! ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં સેવા સુમિરણ સત્સંગ ના છોડીશ.સદગુરૂ પરમાત્મા કહે છે કે જો હું તારી પ્રાર્થનાનો તરત જ જવાબ આપી દઉં તો તારો વિશ્વાસ પાકો થઇ જાય છે અને જો તારી પ્રાર્થનાનો તરત જ જવાબ ના આપું તો તારે સમજવાનું કે હું તારી ધીરજની પરીક્ષા લઇ રહ્યો છું અને તારી પ્રાર્થનાનો કંઇ જ જવાબ ના આપું તો મેં તારા કલ્યાણ માટે કંઇક બીજું સારૂં આપવાનું વિચાર્યું છે.હરપલ અમારી અંદર પ્રભુ સુમિરણ ચાલતું રહેવું જોઇએ..

 

સંસારમાં આવીને પ્રભુને જાણવા એ જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે.પ્રભુ અનન્ય ભક્ત શ્વાસે શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્‍ત થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્‍ત થાય છે.

 

સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.કોઇ રામ રામ..કોઇ હરિ ૐ કોઇ અલ્લાહ, કોઇ વાહેગુરૂ, તો કોઇ ર્ગાડ, એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.

 

કોઇ૫ણ શબ્દ કે પ્રભુના નામનું જીભથી વારંવાર રટન કરવું તેને સુમિરણ કહેવાતું નથી.હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે અને જીભથી રટન થઇ રહ્યું છે પરંતુ મન તો બીજે ક્યાંક ભટકી રહ્યું હોય તો તેને સુમિરણ કહેવાતું નથી.સુમિરણ કોઇ શબ્દ કે શબ્દોનો સમુહ જ નથી પરંતુ સદગુરૂ દ્વારા પ્રદત્ત સર્વમંગલકારી મહાવાક્ય છે,જેનું સુમિરણ ત્રિવિધ દુઃખહારી તથા સર્વ સુખકારી છે.સર્વવ્યાપક સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂ પાસેથી દ્દષ્‍ટ્રિ પ્રાપ્‍ત કરીને સર્વત્ર જોવા એ "જ્ઞાન’’ છે અને જોયા(દર્શન કર્યા) ૫છી તેમને યાદ કરવા એ "સુમિરણ’’ છે.જ્ઞાન એ ગુપ્‍ત નિધિ છે.સદગુરૂ જ તેને પ્રગટ કરે છે ૫રંતુ સુમિરણના માટે સદગુરૂના દ્વારા આ૫વામાં આવેલ મંત્ર એ ગોપનીય નહી પરંતુ પ્રગટ છે.હરિ ૫રમાત્માને જાણ્યા વિના સુમિરણનો કોઇ સાર નથી.હરિ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કે સુમિરણ થઇ શકતું નથી.

 

સુમિરણનો અર્થ છે ૫રમ જ્યોતિ સ્વરૂ૫ ૫રમાત્મા તથા સાકાર સદગુરૂના પાવન ચરણો તથા સ્વરૂ૫નું સુમિરણ કરવું.જે વ્યક્તિ વસ્તુ કે સ્થાનને અમે જોયું નથી ઓળખ્યું નથી,અનુભવ્યું નથી તે વ્યક્તિ વસ્તુ કે સ્થાનનું અમે ગમે તેટલીવાર નામ લઇએ તેમછતાં તે ક્યારેય અમારી કલ્પના કે સુમિરણમાં આવતું નથી.યાદ હંમેશાં તેની જ આવે છે કે જેને અમે જાણીએ છીએ,જેને અમે જોઇ હોય,જેની સામે અમારી ઓળખાણ હોય તે વસ્તુ કે વ્યક્તિનું નામ લેતાં જ તેનો ચહેરો તથા સ્વરૂ૫ અમારા માનસ ૫ટલ ૫ર ચલચિત્રની જેમ અંકિત થઇ જાય છે.કહેવાનો ભાવ એ છે કે જે સ્વરૂ૫ની યાદ હંમેશાં બનેલી રહે તેને જ સુમિરણ કહેવામાં આવે છે.

 

કબીરજીએ ઉત્તમ સુમિરણના વિશે કહ્યું છે કે..સુમિરણકી સુધ યૂં કરો જ્યો ગાગર પનીહાર, હાલે ડોલે સુરતમેં કહે કબીર વિચાર..જેમ બહેનો પાણી ભરવા માટે નદી તળાવ કે કૂવા ઉ૫ર જાય છે ત્યારે પાણી ભરેલું માટલું માથા ઉ૫ર હોય છે ત્યારે ચાલતાં ચાલતાં સહેલીઓ સાથે વાતચીત કરે છે,રસ્તાની આસપાસનાં દ્દશ્યોનું અવલોકન કરે છે.આ બધાં કાર્યો કરવા છતાં તેમનું ધ્યાન સુક્ષ્‍મ રીતે પાણી ભરેલા માટલામાં જ રહે છે અને તેથી ડગલેને ૫ગલે સંભાળીને ચાલે છે જેથી શરીરનું સંતુલન બનેલું રહે અને માથા ઉ૫રનું માટલું ૫ડી ના જાય.પ્રભુ સુમિરણમાં ૫ણ આવી અવસ્થા હોય છે કે તમામ કાર્યો કરવા છતાં ૫ણ ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં જ લાગેલું રહે છે.

 

મનુષ્‍ય જીવનને સુધારવા માટે સુમિરણ એ શાસ્ત્ર છે.જેનાથી તમામ સંકટો દૂર થાય છે.પ્રભુ સુમિરણથી કેટલાય ૫તિત આત્માઓ પાવન થયા છે,તેમનો ઉદ્ધાર થયો છે, કારણ કેઃ પ્રભુ સુમિરણ જ સુખનો સ્ત્રોત છે અને પ્રભુને ભુલી જવા એ જ દુઃખ છે.

 

દ્રો૫દીએ સુમિરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્‍ણએ આવીને તેની લાજ બચાવી..પ્રહ્લાદે જ્યારે પ્રભુને યાદ કર્યા તો હોલિકા ભસ્મ થઇ ગઇ અને પ્રહ્લાદની રક્ષા થઇ...નિભાડામાં રાખેલાં બિલાડીનાં બચ્ચાંની રક્ષા ૫ણ પ્રભુ સુમિરણના કારણે જ થઇ હતી.સુમિરણનો પ્રભાવ તમામ સિમાઓથી ૫ર હોય છે,તે હોનીને અનહોનીમાં બદલી શકે છે.પૂર્ણ સમર્પણથી કરવામાં આવેલ સુમિરણની શક્તિ કલ્પનાથી ૫ર હોય છે.સુમિરણથી અહંકાર મોહ-માયા ક્રોધ નિંદા-નફરત લોભ-દ્વેષ વગેરે દોષો દૂર થાય છે.સુમિરણ કરવા માટે કોઇ સ્થાન કે સમયની સીમા હોતી નથી.સૂતાં-જાગતાં,ઉઠતાં-બેસતાં,ખાતાં-પીતાં, હરતાં-ફરતાં,રાત્રે-દિવસે, નહાતાં-ધોતાં,સુખ-દુઃખ વગેરે ગમે ત્યારે પ્રભુ સુમિરણ કરી શકાય છે.નિત્ય પ્રાતઃકાળ ઈશ્વર સુમિરણ કરવું.દરેક સમયે વ્યવહારીક કાર્યો કરતી વખતે ૫ણ ઈશ્વર સુમિરણ ના ભુલવું.

 

સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.

(૧) દિખાઉઃ દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને.

(ર) બિકાઉઃધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી.

(૩) ટિકાઉઃ ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.

ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્ઠ સુમિરણ કહેવામાં આવે છે.સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી.સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે. પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.

 

શ્રીમદ ભગવદ ગીતા(૮/૧૪)માં કહ્યું છે કે અનન્યય ચિત્તવાળો જે મનુષ્ય મારામાં મુજ પુરૂષોત્તમનું નિત્ય નિરંતર સ્મુરણ કરે છે તે નિત્યિ નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે તેને સુલભતાથી પ્રાપ્ત થઇ જાઉં છું.

 

રામાયણમાં નવધા ભક્તિમાં કહ્યું છે કે દ્દઢ વિશ્વાસની સાથે ભગવાનના મંત્રનો જ૫(સુમિરણ) કરવો એ વેદ સિદ્ધ ભક્તિનો પાંચમો પ્રકાર છે.અન્ય જગ્યાએ કહ્યું છે કે કહે હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ જબ તવ સુમિરણ ભજન ન હોઇ..સંતને કોઇ તૃષ્ણા હોતી નથી તેઓ ફક્ત પ્રભુના સુમિરણમાં મસ્ત રહે છે.

 

નકલી અને બનાવટી સુમિરણથી કોઇ લાભ થતો નથી.એકવાર લૈલા મજનૂની યાદમાં ફરતી હતી.રસ્તામાં એક વ્યક્તિ પાસેથી પસાર થાય છે જે તપસ્યામાં બેઠા હતા તેની પાથરેલ ચાદર ઉપર ભૂલથી પગ પડી જાય છે ત્યારે તે સંત ફરીયાદ કરે છે કે તે મારા ધ્યાનમાં વિઘ્ન પહોચાડ્યું છે ત્યારે લૈલા કહે છે કે મને તો મારા મજનૂ ઉપર ફક્ત શારીરિક પ્રેમ છે અને તેથી ભાન ભૂલી ગઇ હતી જ્યારે આપ તો પ્રભુ પરમાત્માના ધ્યાનમાં બેઠા હતા,આપનો પ્રભુ પ્રેમ તો દિવ્ય છે જ્યારે મારો પ્રેમ તો એક મનુષ્ય ઉપર હતો જેના લીધે ભાન ભૂલી આપને જોઇ શકી નહોતી જ્યારે આપ તો સર્વવ્યાપક પ્રભુ પરમાત્માના ધ્યાનમાં હતા તો પણ પરેશાન કેમ થઇ ગયા? કહેવાનો ભાવ આજકાલ અજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવતું પ્રભુ નામ સુમિરણ પ્રભુ સાથે કેન્દ્રિત હોતું નથી અને તેથી તેને સુમિરણનું જે ફળ મળવું જોઇએ તે મળતું નથી.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment