Saturday 15 June 2024

બોધકથાઃ શ્રીમદ ભગવદગીતાનો પ્રભાવ

 

બોધકથાઃ શ્રીમદ ભગવદગીતાનો પ્રભાવ

 

એક પોલીસ કોન્સ્ટેબલની બદલી શહેરથી નજીકના ગામમાં થાય છે ત્યાં રહેવા માટે ભાડાનું મકાન રાખીને રહે છે.એક દિવસ પોતાની ફરજ પુરી કરીને રાત્રિના સમયે તે પોતાની રૂમ ઉપર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચંદ્રમાના પ્રકાશમાં તેને એક નવયુવતીને એક ઝાડ નીચે ઉદાસ બેઠેલી જુવે છે.પોલીસે નજીક જઇને તેની સાથે વાતચીત કરી ત્યારે નવયુવતીએ કહ્યું કે તેના પતિ સાથે તેનો ઝઘડો થયો છે અને આ ગામમાં મારૂં કોઇ સગું ન હોવાથી અહીયાં એકલી બેઠી છું.

નવયુવતીએ પોલીસને કહ્યું કે હું તમારી સાથે આવી શકું? પોલીસ તેને ઓળખતો ન હતો તેમછતાં દયાના ભાવથી કહ્યું કે તમે મારી સાથે મારી રૂમ ઉપર આવી શકો છો.નવયુવતી તેમની પાછળ પાછળ તેની રૂમમાં આવી જાય છે.આ ક્રમ રોજ ચાલે છે,દરરોજ રાત્રે તે પોલીસ સાથે તેની રૂમ ઉપર આવે છે, તેમની સાથે શારીરિક સુખ ભોગવે છે અને સવાર પડતાં જ ચાલી જાય છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રી ઘી થી ભરેલો ઘડો છે અને પુરૂષ સળગતો અંગારો છે માટે ઘી અને અગ્નિનો સંગ કરવો યોગ્ય નથી.સ્ત્રીએ પોતાના પતિ સિવાયના જગતના કોઇપણ પુરૂષ સાથે એક ક્ષણ પણ એકાંતમાં ના રહેવું જોઇએ.જો પોતાના પિતા જમાઇ પૂત્ર સસરા દિયર અને ભાઇ યુવાન હોય તો તેઓની સાથે ૫ણ ક્યારેય એકાંતમાં ન રહેવું.

આ નવયુવતી તેનું શારીરિક શોષણ કરતી રહી,તેનું લોહી ચુસતી અને આના લીધે તેની શક્તિ ક્ષીણ થવા લાગી.એક રાત્રે એક ઘટના બને છે.બંન્ને એક જ પલંગ ઉપર સાથે સૂઇ રહ્યા હતા અને લાઇટ બંધ કરવાનું રહી ગયું એટલે પોલીસે આ યુવતીને કહ્યું કે લાઇટની સ્વીચ બંધ કરી દો.નવયુવતીએ સૂતાં સૂતાં જ પોતાનો હાથ લાંબો કર્યો અને સ્વીચ પાડી લાઇટ બંધ કરી દીધું.યુવતીએ સૂતાં સૂતાં આઠ-દશ ફુટ હાથ લાંબો કરીને સ્વીચ-ઓફ કરી લાઇટ બંધ કર્યું તે જોઇને પોલીસને તો પરસેવો છુટી જાય છે અને તે ઘણો જ ગભરાઇ જાય છે.

પોલીસે ઘણી ઉલટતપાસ કરી ધમકી આપી પુછ્યું ત્યારે આ યુવતીએ કહ્યું કે હું કોઇ સાધારણ સ્ત્રી નથી પરંતુ એક ચુડૈલ છું અને યુવતીએ તેને ધમકી આપી કે જો તમે આ વાત કોઇને કહેશો તો હું તમોને જીવતા નહી છોડું, જાનથી મારી નાખીશ કારણ કે તમે જ મને પહેલા દિવસે આવી જા..એમ કહીને મને અપનાવી છે.

પોલીસમેનનું શરીર દિવસે દિવસે સૂકાવા લાગ્યું.તેના સાથે મિત્રોએ વારંવાર પુછ્યું કે તમારી આવી હાલત કેમ થઇ છે? તમોને શું બિમારી થઇ છે? પરંતુ ચુડૈલના ડરના લીધે સત્ય કોઇને કહી શકતા નથી.એક દિવસ તે ઉપચાર કરાવવા ર્ડાકટર પાસે જાય છે.ર્ડાકટરે ઇન્જેશન આપી કેટલીક દવા-ગોળીઓ એક કાગળમાં પડીકું બાંધીને આપે છે જે તેને ખિસ્સામાં મુકી દીધી.

દરરોજના નિયમ મુજબ રાત્રિના સમયે ચુડેલ આવે છે અને ઘરની બહારથી જ બૂમ મારે છે કે તમારા ખિસ્સામાં જે કાગળનું પડીકું છે તે બહાર ફેંકી દો તો જ હું અંદર આવી શકીશ.ચુડેલે કાગળના પડીકાને બહાર ફેંકી દેવાની વાત વારંવાર કહી એટલે પોલીસને વિશ્વાસ થઇ ગયો કે માનો ના માનો પરંતુ આ કાગળના પડીકામાં જ કોઇક જાદું છે એટલે જ આ ચુડેલ મારી પાસે આવી શકતી નથી અને તેથી જ તે કાગળના પડીકાને બહાર ફેંકતા નથી.ચુડેલ હારી-થાકીને ત્યાંથી ચાલી જાય છે.પોલીસે ખિસ્સામાંથી દવા ગોળી બાંધેલ પડીકી કાઢીને જોયું તો દવાની ગોળીઓ બાંધેલ પડીકી ઉપર કાળો દોરો બાંધ્યો હતો અને દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે પોતાને ભેંટ મળેલ શ્રીમદ ભગવદ ગીતા પોલીસ જવાનને આપી હતી તે હરહંમેશાં પોતાની પાસે રાખતો હતો.

પોલીસ સમજી ગયો કે આ તો શ્રીમદ ભગવદ ગીતાજીનો પ્રભાવ છે કે તેના પ્રભાવથી ડરીને ચુડેલ ભાગી ગઇ છે.હવે તે હંમેશાં પોતાના ખિસ્સામાં ગીતાજી રાખતો અને નિર્ભય બનીને,સ્વસ્થ બની,સ્વછંદ બનીને ભયમુક્ત જીવન જીવવા લાગ્યો.

ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ ભગવદ ગીતાનું નામ ન સાંભળ્યું હોય.ગીતા જ્ઞાન એ ગાગરમાં સાગર છે.જ્ઞાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે.માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય.ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે.

ગીતાસાર એ છે કે મનુષ્ય શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે છે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે.

વ્યર્થની ચિંતા કેમ કરો છો? કોનાથી ડરો છો? તમને કોન મારી શકે તેમ છે? આત્મા જન્મ-મરણથી રહિત છે.ભૂતકાળમાં જે કંઇ થયું સારૂં જ થયું,વર્તમાન સમયમાં જે થઇ રહ્યું છે તે સારૂં જ થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઇ થશે તે સારૂં જ થશે.તમે ભૂતકાળનો પશ્ચાતાપ ના કરો,ભવિષ્યની ચિંતા ના કરો,વર્તમાન સુધારો.

તમારૂં શું ગયું છે કે તમે રડો છો? તમે જન્મ સમયે સાથે શું લઇને આવ્યા હતા કે જે તમે ગુમાવ્યું છે? તમે શું પૈદા કર્યું છે કે જેનો નાશ થયો છે.તમે જન્મ સમયે કશું લઇને આવ્યા નહોતા અને મૃત્યુના સમયે કશું સાથે લઇને જવાના નથી.જે કંઇ મળ્યું તે અહીયાં આવ્યા બાદ પ્રભુએ આપ્યું છે અને મૃત્યુના સમયે અહી જ આપીને જવાનું છે.

ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ.જે આજે તમારૂં છે તે ગઇકાલે બીજા કોઇનું હતું અને આવતીકાલે તે બીજા કોઇનું થઇ જવાનું છે તેને પોતાનું સમજો છો તે જ તમારા દુઃખનું કારણ છે. પરીવર્તન સંસારનો નિયમ છે.તમે જેને મૃત્યુ સમજો છો તે જ જીવન છે.એક ક્ષણમાં તમે કરોડોના સ્વામી બની જાઓ છો અને બીજી ક્ષણે તમે દરિદ્ર બની જાઓ છો.

મારૂં-તારૂં,નાના-મોટા,પોતાના-પારકાની ભાવના મનમાંથી કાઢી નાખશો તો તમામ તમારા છે અને તમે તમામના છો.આ શરીર તમારૂં નથી કે તમે શરીરના નથી.શરીર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે અને અંતે તેમાં જ સમાઇ જવાનું છે પરંતુ તમે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત સ્થિર આત્મા જન્મ-મરણની ક્રિયાથી રહિત અલગ છો.

તમે પોતે પોતાને ભગવાનને અર્પણ કરી પ્રભુની શરણાગતિ સ્વીકારી લો કારણ કે એ જ ઉત્તમ સહારો છે અને આ સહારા(પરમાત્મા)ને જે જાણે છે તે ભય ચિંતા શોક તથા જન્મ-મરણથી મુક્ત થઇ જાય છે.તૂં જે કંઇ કરે છે તે ભગવાનને અર્પણ કરી દે,આમ કરવાથી તૂં હંમેશાંના માટે જીવનમુક્તિનો આનંદનો અનુભવ કરી શકીશ.

No comments:

Post a Comment