Monday 10 June 2024

લઘુકથા..આત્મ મૂલ્યાંકન કરો

 

લઘુકથા..આત્મ મૂલ્યાંકન કરો

 

એક કસાઇ બકરીને બળજબરીથી ખેંચીને લઇ જઇ રહ્યો હતો તે સમયે એક સંન્યાસે સામે મળે છે અને બકરીને બચવાની આશા જાગે છે કે આ સંન્યાસી મને કસાઇની ચુંગલમાં બચાવશે તેથી તે વિનંતી કરે છે કે મહારાજ..મારા નાના નાના બચ્ચાઓ છે આપ મારા પ્રાણની રક્ષા કરો.હું જીવતી રહીશ તો મારા બાળકોના ભાગનું દૂધ હું આપશ્રીની પીવા માટે આપીશ,બકરીની કરૂણ પ્રાર્થનાની સંન્યાસી ઉપર કોઇ અસર થતી નથી.

સંન્યાસી નિલિપ્તભાવથી કહે છે કે મૂર્ખ બકરી..તને ખબર નથી હું એક સંન્યાસી છું.જીવન-મૃત્યુ, હર્ષ-શોક અને મોહમાયાથી પર છું.દરેક પ્રાણીએ એક દિવસ તો મરવાનું જ છે.સમજ કે તારૂં મૃત્યુ આ કસાઇના હાથે લખાયેલું હશે અને જો કસાઇ પાપ કરશે તો ઇશ્વર તેને દંડ આપશે.

બકરી રડતાં રડતાં કહે છે કે મારા બચ્ચાઓ જીવતાં જીવ મરી જશે.ત્યારે સંન્સાસી કહે છે કે નાદાન રડવા કરતાં તૂં પ્રભુ પરમાત્માનું નામ લે,યાદ રાખ..મૃત્યુ એ નવા જીવનનું દ્રાર છે.સાંસારીક સબંધો પ્રાણીના મોહનું પરીણામ છે અને મોહમાયાથી ઉભા થાય છે,માયા વિકારોની જનની છે,આ વિકારો જ આત્માને ભ્રમમાં નાખે છે.

બકરી નિરાશ થઇ જાય છે પણ તેની પાછળ આવતા કૂતરાથી સહન ના થયું અને તેને કહ્યું કે સંન્યાસી મહારાજ..શું આપ મોહમાયાથી સંપૂર્ણ રીતે મુક્ત થઇ ગયા છો? ત્યારે સંન્યાસી જવાબ આપે છે કે બિલ્કુલ..હર્યોભર્યો પરીવાર,સુંદર પત્ની,સુશીલ ભાઇ-બહેન,માતા-પિતા,દિકરા-દિકરી અઢળક જમીન જાયદાદ..આ તમામ એક જાટકે છોડીને હું ભગવાનના શરણમાં આવ્યો છું.સાંસારીક પ્રલોભનો,મોહ માયારૂપી આ નિરર્થક સંસાર છોડીને જેમ કિચડમાં કમળ તેમ નિર્લેપ બનીને આવ્યો છું.

કૂતરાએ સમજાવ્યું કે આપ ઉત્તમ કાર્ય કરવાથી વંચિત રહી ગયા છો.કસાઇ આપની વાત માની જતો, આપે ધાર્યું હોત તો બકરીની પ્રાણ રક્ષા કરી શક્યા હોત.સંન્યાસી કૂતરાને જીવનનો સાર સમજાવે છે કે મોત તો નિશ્ચિંત છે આજે નહી તો કાલે આવવાનું જ છે,દરેક પ્રાણીએ એક દિવસ મરવાનું છે તો શા માટે જીવ ખોટી ચિંતામાં પોતાને કષ્ટ આપે છે.સંન્યાસી પોતાને સંસારની મોહમાયાથી મુક્ત સમજતા હતા, એટલામાં જે એક કાળો ભોરીંગ નાગ ફેણ ફેલાવીને સામે આવે છે,તે સંન્સાસી ઉપર કોપાયમાન હોય તેમ સંન્સાસીને ડંખ મારવા જાય છે,તેમને પરસેવો છુટી જાય છે અને મોહમાયાથી મુક્તિની વાતો કરનાર સંન્યાસી કૂતરા તરફ મદદ માટે વિનંતી કરે છે ત્યારે કૂતરો હસે છે.

કૂતરો કહે છે કે મહોદય મૃત્યુ તો નવા જીવનનું દ્વાર છે,એકને એક દિવસ આવવાનું જ છે તો પછી ચિંતા શા માટે કરવાની..? પોતાનો ઉપદેશ ભૂલીને સંન્યાસી નાગથી બચાવવા કૂતરા આગળ આજીજી કરે છે છતાં કૂતરાએ તેની તરફ ધ્યાન ન આપ્યું અને કહ્યું કે સંન્યાસીજી આપ યમરાજા સાથે વાતચીત કરો, બકરી જીવવા ઇચ્છે છે,તેને કસાઇ લઇને દૂર નીકળી જાય ત્યાર પહેલાં મારે તેને બચાવી મારૂં કર્તવ્ય પુરૂ કરવું છે આમ કહીને કૂતરાએ છલાંગ મારીને કસાઇ પાસે પહોંચીને તેની ઉપર તૂટી પડે છે.ઓચિંતા હુમલાથી કસાઇ ગભરાઇને બકરીને છોડીને ભાગે છે એટલામાં બકરી પણ જંગલમાં ગાયબ થઇ જાય છે.

કસાઇના હાથમાંથી બકરીને છોડાવ્યા બાદ કૂતરો સંન્યાસી સામું જુવે છે તો હજું તે સાપના ભયથી કાંપી રહ્યા હતા.એક સમયે કૂતરાએ મનમાં વિચાર્યું કે સંન્યાસીને તેના હાલ ઉપર છોડી દેવો પરંતુ તેનું મન ના માન્યું અને વિષધર નાગની પુંછડી પકડીને ઉછાળીને ઝાડીમાં ફેંકી દીધો.સંન્યાસીમાં જીવમાં જીવ આવ્યો અને આભાર ભર્યા નેત્રે કૂતરા સામે જોવા લાગ્યા.

તે સમયે કૂતરાએ કહ્યું કે મહારાજ..મૃત્યુનો ભય તેને જ વધુ લાગે છે જે ફક્ત પોતાના માટે જીવે છે માટે સમય સમય પર આત્મ-મૂલ્યાંકન કરવું જરૂરી છે.અમે સંસારમાં જીવો સાથે છળકપટ કરી શકીએ છીએ,છુપાવી શકીએ છીએ પરંતુ પોતાની સાથે કરી શકતા નથી એટલે અમારા દરેક કાર્યોને અંર્તમનની કસોટીએ ચકાસવાની જરૂર છે.જે નિયમિત આવું કરે છે તેમની અંદર ઇશ્વર જાગ્રત રહે છે.અમે જે દિવસે પોતે પોતાનાથી મુખ ફેરવી લઇશું તે દિવસથી અમારૂં પતન શરૂ થઇ જશે.

પશુઓ પણ બીજાઓની ચિંતા કરે છે.મનુષ્યમાં જે ફક્ત પોતાની જ ચિંતા કરે તેનામાં અને પશુમાં કોઇ ફર્ક નથી.ભગવા વસ્ત્ર ધારણ કરવાથી,હાથ અને ગળામાં માળાઓ ધારણ કરી પ્રભુના નામનો જપ કરવાથી પ્રભુના પ્રિય બની શકાતું નથી.જેના મનમાં દયા અને કરૂણા નથી તેની ઉપર તો ઇશ્વર પણ કરૂણા કરતા નથી.ભક્તના અંતઃકરણમાં પ્રાણીમાત્ર સાથે મૈત્રી તથા દયાનો વ્યવહાર હોય છે.તે બીજા માટે જે કંઇ કરે છે તે કર્તવ્ય તરીકે નહી,પરંતુ સ્નેહથી કરે છે.પોતાનું અનિષ્‍ટ કરવાવાળા પ્રત્યે ૫ણ ભક્ત મિત્રતાનો વ્યવહાર કરે છે.સંતુષ્‍ટિ કરૂણા દયા અને પ્રેમની ભાવના ભક્તના જીવનમાં દેખાવવી જોઇએ.બાળ૫ણથી દયા ધર્મ કૂળ અને વ્યવહારને સુધારવો જોઇએ,નહિતર મોટા થયા ૫છી તે કઠણ થઇ ૫ડે છે.

જીવનમાં સંઘર્ષ જરૂરી છે અને સંઘર્ષના માટે વિવેક અને મનમાં કરૂણા અને મમતાની આવશ્યકતા છે.સત અને અસતને અલગ-અલગ જાણવા એ વિવેક છે.જો માનવ ધર્મના મર્મને સમજે તો આંતરીક સંઘર્ષ તથા તનાવ આપોઆ૫ સમાપ્‍ત થઇ જાય છે.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.વિવેક એ મનુષ્યની જીવનરૂપી ગાડીની હેડલાઈટછે,નાજવાળે જ અંધકારરૂપી વિપરીત પરિસ્થિતિઓમાં માર્ગ કાપી શકાય છે.ઓવરટેઈકકરવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે વિવેક ચૂકવો ન જોઈએ.વિવેકનો ઉપયોગ કરીને માનવીએ નમ્રતાપૂર્વક જીવનમાં આગળ વધવું જોઈએ.

મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્‍મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્‍યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.ભગવાનની દયા મેળવવા ઇચ્છતા હો તો પોતાનાથી નાના ઉ૫ર દયા કરો ત્યારે જ ભગવાન દયા કરશે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment