Monday 10 June 2024

હિન્દુધર્મના મહાન આઠ દાનવીરો (૧) દૈત્યરાજ બલિ..

 

હિન્દુધર્મના મહાન આઠ દાનવીરો (૧) દૈત્યરાજ બલિ..

 

હિન્દુધર્મમાં દાનનું ઘણું જ મહત્વ બતાવવામાં આવ્યું છે.જ્યારે અમે દાનવીરતાની વાત કરીએ ત્યારે અમારા મનમાં સહજ રીતે અંગરાજ કર્ણની તસ્વીર અમારી નજર સામે આવે છે.આઠ મહાન દાનવીરોથી હિન્દુધર્મના ગ્રંથો ભરેલા પડ્યા છે.આવો હિન્દુધર્મના મહાન આઠ દાનવીરો દૈત્યરાજ બલિ, મહર્ષિ દધીચિ, મહારાજ નૃગ, રાજા હરિશ્ચંદ્ર, રાજા શિબિ, રાજા રઘુ, બર્બરીક અને દાનવીર કર્ણ..આજે આપણે દૈત્યરાજ બલિ વિશે જાણીએ.

 

બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.શાસ્‍ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃ દાન-ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે. તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે,દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે.

કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે.માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં-પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો. સામાન્ય રીતે મનુષ્‍યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને ૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી ૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું-પીધું ભોગવ્યું તેની કોઇ કિંમત નથી.આ૫ણે બીજાને કેટલું આપ્‍યું..? તેનું જ મૂલ્ય છે.

 

 જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.

 

જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું) ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે.સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ થાય છે.

 

ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.

 

વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે છૂટ છે.કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં નથી.થોડું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.

 

ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે.સાધુ-સન્યાસી અને બ્રાહ્મણને આપવું તે ગૃહસ્થનો ધર્મ છે પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી થાય.દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે.દાન આપનારો મોટો ગણાય છે.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.

 

વામન ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો.જે દાન લે છે તે બંધનમાં પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું હતું.જે દાન લે છે તે બંધનમાં પડે છે.દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ લઇને જ આવે છે.મૃત્યુ પછી કોઇ કહેવાનું નથી કે મને કંઇક આપો એટલે પરોપકાર કરવો એ જ જીવનનો ઉદ્દેશ્ય છે.

 

પ્રહ્લાદના પૂત્ર વિરોચન અને વિરોચનનો પૂત્ર બલિને સૌથી મોટા દાનવીર માનવામાં આવે છે. બલિરાજા અતિ ધાર્મિક અને સાત્વિક હતા અને મોટા મોટા યજ્ઞો કરતા હતા.બલિરાજાનો દેવરાજ ઇન્દ્ર સાથે વિરોધ હતો અને કદાચ તે ઇન્દ્રાસન લેશે તો? એવા ડરથી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને સંભાળવાનું માથે લીધું અને યજ્ઞમાં ભગવાન વિષ્ણુ વામનરૂપ લઇને ગયા.આ બટુકને જોઇને બલિએ કહ્યું કે તારે જે માંગવું હોય તે માંગ ત્યારે વામને કહ્યું કે મારે ત્રણ પગલાં ભૂમિ જોઇએ. આ સમયે બલિના ગુરૂ શુક્રાચાર્યજીએ કહ્યું કે મૂરખ ! તું આવું ના કરીશ,આ તારી મૂર્ખાઇ છે.બટુકના રૂપમાં આ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે.તને ખબર છે વામન તને મારી નાખશે. બલિ કહે છે કે વાંધો નહી.ભગવાન વિષ્ણુના હાથે મરણ થાય તો મારૂં કલ્યાણ થશે.ભગવાન વામને ભૂમિ લેવા માંડી.એક પગલામાં પૃથ્વી,બીજા પગલામાં ત્રિભુવન લીધું અને પુછ્યું કે ત્રીજું પગલું ક્યાં મુકું? આપેલું વચનનું પાલન કરો ત્યારે ત્રીજો પગ મુકવા બલિએ પોતાનું મસ્તક આગળ કરી દીધું.વામને ત્રીજું પગલું તેને માથે મુકતાં જ તે પાતાળમાં ધકેલાઇ ગયો.બલિ ઉપર ભગવાન વામન ઘણા જ પ્રસન્ન થયા અને તેને ચિરંજીવી બનાવીને પાતાળલોકનું સ્થાયી રાજ્ય પ્રદાન કર્યું અને ભગવાને ત્યાં બલિનું પોષણ કરવાનું વચન આપ્યું-આ આપણી પૌરાણિક કથા છે.

 

અહી પ્રશ્ન થાય કે બલિ પરમ ભક્ત હતો તો તેને આમ દાટવાનું કારણ શું? પુણ્ય હોય તો ગમે તે ઇન્દ્ર થાય તો ઇન્દ્રનો પક્ષ લઇને તેને મારવાનું શું કારણ? વામન અવતાર એ રૂપકાત્મક છે.

 

હિરણ્યકશ્યપુના પૂત્ર પ્રહલાદે સંસ્કૃતિના પ્રચાર માટે ઘણા પ્રયત્ન કર્યા.ત્યાર પછી તેમનો પૂત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો. પિતા કરતાં દાદાના સંસ્કાર પૌત્રમાં વધુ આવે છે. વિરોચનનો પૂત્ર બલિ બુદ્ધિશાળી અને રાજનિપુણ હતો.તેને નિસ્તેજ સમાજ બનાવ્યો.સમાજમાંથી ભગવદનિષ્ઠા અને પ્રભુ પ્રેમ ચાલ્યાં ગયાં. વર્ણવ્યવસ્થા ખલાસ કરી નાખી.લોકોમાંથી ભગવાન ઉપરનો પ્રેમ ચાલ્યો ગયો.દૈવી-સંસ્કૃતિ નષ્ટ થઇ. ભોગવિલાસ પ્રમુખ બન્યા.

 

ત્રણ પગલાં પૃથ્વી માંગી તેનો અર્થ છે.(૧) યજ્ઞ અને કર્મકાંડમાં જ બ્રાહ્મણો રોકાયેલા હોવાથી તેમની તેજસ્વિતા ચાલી ગઇ હતી.સમાજમાં સાંસ્કૃતિક અને નૈતિક જીવન નિર્માણ કરવું બ્રાહ્મણોનું કામ છે એટલે શિક્ષણતંત્ર બ્રાહ્મણોને આપ. (ર) રાજ્યકારભાર કરતા ક્ષત્રિયો જડવાદી નહી પણ ઇશ્વરવાદી હોવા જોઇએ. (૩) ઇશ્વરને માનવાવાળા,ઇશ્વરના કાર્ય માટે જ હું જન્મ્યો છું એમ માનવાવાળા સાત્વિક વિચારના હોય તે જ ધંધો કરી શકે.આમ વૈશ્યો પણ ઇશ્વરવાદી હોય તેવી વ્યવસ્થા કર.. (૩) ત્રીજું પગલું માંગતાં જ બલિ ગભરાઇ ગયો અને કહ્યું કે તો પછી મારા અસુરો ક્યાં જાય? આનો અર્થ એ છે કે હું મરી ગયો,મારૂં અસ્તિત્વ જ નહી તો હું ક્યાં જાઉં?

 

ભગવાન વામને કહ્યું કે તમારા માટે દક્ષિણમાં સુતલમાં હું રહેવાની વ્યવસ્થા કરૂં છું.આમ ચાતુર્વણ્ય વ્યવસ્થા ઉભી કરી.

 

ભગવાન વામને સંદેશ આપ્યો કે કનક અને કાંતાના લીધે માણસો અસુર થાય છે.સુંદર સ્ત્રી જોતાં ધર્મના બંધનો તોડી હાથ પકડવો એ માનવસ્વભાવ છે.ભગવાને કનક અને કાંતામાં ભ્રમ રાખ્યો છે.સંપત્તિ ભોગવવાની નથી તે ભોગદાસી નથી પણ આપણી બા છે. એ બા ના ખોળામાં માથું મુકી  સૂઇ જાવ તે બા નું પૂજન કરો. આ પૂજન એટલે લક્ષ્મીપૂજન અને બીજો એક દિવસ રાખી દીધો સ્ત્રીજાતને બહેન સમજવી- એનું સતત ભાન રહે તે માટેનો દિવસ એટલે ભાઇબીજ. લોકોએ કહ્યું કે બલિ બહુ સારો હતો તેનામાં ઘણી સારી વાતો હતી અને તેની સારી વાતો લેવી જ જોઇએ એટલે તેના નામે પણ એક દિવસ રાખ્યો તે બલિપ્રતિપ્રદા એટલે બેસતું વર્ષ.

 

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ.ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી.લક્ષ્‍મીને ર્માં સમજી તેમને પૂજ્ય માનેલ છે.લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી, સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત, ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી.

 

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ-સંતોને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળજાર કન્યાઓને મુક્ત કરી હતી પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં અમારો કોઈ સ્વીકાર નહીં કરે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓના રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ, સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ,રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.

 

આપણી દિવાળી કેવી? બધુ બંધ-રજા.ઘરની સાફ-સફાઇ.સ્ત્રીઓ ફરસાણ-મીઠાઇ બનાવે તે ખાવાની અને ફટાકડા ફોડવાના ! આ સિવાય બીજો દ્રષ્ટિકોણ સમજતા જ નથી ! આ દિપોત્સવના પાંચ દિવસના દ્રષ્ટિકોણને સમજીએ. લક્ષ્મી-સંપત્તિને બા સમજીએ.જીવનમાં નરક સર્જનારા આળસ,પ્રમાદ,અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરીએ.કોઇ શત્રુ હોવાછતાં તેનામાં સારા ગુણો હોય તો તે ગ્રહણ કરીએ અને સ્ત્રી જાતને બહેન-માતા સમજીને આખા જગતને નૈતિક અને સાત્વિક બનાવી જગતનું સાંસ્કૃતિક અને નૈતિક પુનરૂત્થાન કરવાનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ રાખીએ..

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment