Saturday 15 June 2024

ગરુડ પુરાણ મુજબ આ ૧૦ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો.

 

ગરુડ પુરાણ મુજબ આ ૧૦ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો.

 

ગરુડ પુરાણના અધિષ્ઠાતાદેવ ભગવાન વિષ્ણુ છે.સનાતન ધર્મમાં ગરુડ પુરાણ દરેકે અનુસરવા જેવો ગ્રંથ છે. અઠાર પુરાણોમાંથી ગરુડ મહાપુરાણનું એક વિશેષ મહત્વ છે. એના અધિષ્ઠાતાદેવ ભગવાન વિષ્ણુ છે. તેમાં ૨૭૯ અધ્યાય તથા ૧૮ હજાર શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરક તથા ૮૪ લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ આ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે માનવજીવન માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી એક વાત ભોજન અંગે પણ છે. કયા લોકોના ઘરે ભોજન કરવાથી આપણા જીવનમાં નુકસાન થાય છે અને આપણે પાપના ભાગીદાર બનીએ છીએ એનું વર્ણન આમાં કરવામાં આવ્યુ છે.

આપણી એક કહેવત છે કે, જેવું અન્ન તેવું તેવું મન અને જેવું અન્ન તેવો ઓડકાર. એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે. આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે, જ્યારે તીરોની સૈયા પર સૂતેલા ભિષ્મ પિતામહને દ્રોપદી પૂછે છે કે, ‘હે, ભીષ્મ પિતામહ ભરી સભામાં મારુ ચીર હરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ એ આપે લોકોને રોક્યા કેમ નહીં, તેમનો વિરોધ કેમ ના કર્યો?’

ત્યારે ભિષ્મ પિતામહ જવાબ આપે છે કે, ‘ હે દીકરી, મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર વિચાર બને છે. જેનું અન્ન ખાધુ હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી. એ વખતે મેં કૌરવોનું અધર્મી અન્ન ખાધુ હતું એટલે હું એમનો વિરોધ ના કરી શક્યો.મારુ મન પણ તેમના જેવું બની ગયું હતું અથવા તો મારુ મન સાચા-ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ નહોતું.

આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પારકુ અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે. આપણે વારે-તહેવારે આપણા સગા સંબંધીઓ, મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતાં હોઈએ છીએ. આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાંક લોકોના ઘરે ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ.

ગરુડ પુરાણના આચાર કાંડમાં ખૂબ જ વિસ્તાર પૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. આવો જોઈએ કે કયા ૧૦ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ શકીએ છીએ….

(૧) ચોર અને અપરાધી..મિત્રો જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય. આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન કદી ન કરવું. કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એ કીડા પેદા કરે છે. આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે.

(૨) વ્યાજખોર વ્યક્તિ..અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે. વ્યાજ ખાવું એ એક મોટું પાપ છે. વ્યાજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસુલ કરતાં હોય છે. બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતાં હોય છે. ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ-મજબૂરની આંતરડી કકળી હોય એનો દોષ તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો.

(૩) ચારિત્ર્યહિન સ્ત્રી..સ્ત્રીને આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે. પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરીમા ભુલાવીને ચારિત્ર્યહિન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે. જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ, પોતાની મરજીથી, મોજશોખ માટે અધાર્મિક આચરણ કરે, અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરુડ પુરાણમાં એની સજા પણ વર્ણવી છે.

(૪) બીમાર વ્યક્તિ..જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે. આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુંઓ તમને પણ લાગી શકે છે. તમારુ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માટે કદી કોઈ બિમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરશો.

(પ) ક્રોધી વ્યક્તિ..ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે. એ એક નહીં પણ અનેક લોકોને એક સાથે બરબાદ કરે છે. માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા-નરસાનું ભાન નથી રહેતું. જાે તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરીશો તો તેના આ અવગુણો તમારામાં પણ પ્રવેશશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરીશો.

(૬) નપુંશક અને કિન્નર..આપણા સમાજમાં કિન્નરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવ્યુ છે. એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ એક વાત ખાસ યાદ રાખવી જાેઈએ કે કિન્નરો અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતાં હોય છે. એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ તમે નથી જાણતા હોતા. કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી. એટલે જાે તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે. એક તો જેને દાન દેવાનું હોય એના ઘરે ભોજન કરવાનું પાપ અને બીજુ અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ. માટે ગરુડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘરે ભોજન ના કરવું.

(૭) નિર્દયી વ્યક્તિ..નિર્દયી અને અન્યાયી વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે. જે માણસ બીજા પ્રત્યે સદ્‌ભાવ નથી રાખતો, બીજાને કષ્ટ આપે છે, પરપીડન વૃતીથી રાજી થાય છે તેવા નિર્દયી માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જાેઈએ એવું ગરુડ પુરાણ કહે છે. કારણ કે એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે. તમે પણ એના જેવા નર્દયી બની જઈ શકો છો.

(૮) નિર્દયી રાજા કે શાસક..રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે. પણ કેટલાંક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જાેઈએ તો એવા શાસકો જે પોતાની જનતાનું સારું ઈચ્છતા ના હોય, તેમની સુખાકારી માટે કંઈ કામ ના કરતાં હોય, નિર્દયી રીતે વેરાઓ નાંખીને કે અન્ય રીતે પ્રજાને લુંટતા હોય, પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડીત કરતાં હોય એવા રાજા કે શાસકના ઘરે કદી ભોજન કરવું નહીં. કારણ કે એ ભોજનમાં હજ્જારો-લાખ્ખો દુઃખી લોકોનાં આંસુઓ ભળેલા હોય છે. જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે.

(૯) ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ..જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે. બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે. ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મુકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે. માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હો છો. આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ બેગણા કષ્ટો તમને પણ પડે છે. માટે આવા વ્યક્તિને ત્યાં ભુલથી પણ ભોજન ના કરશો.

(૧૦) નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ..જે લોકો દારૂ, ચરસ, ગાંજો જેવા નશીલા પર્દાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહેવાયા છે. કારણ કે એવા લોકોના કારણે કેટલાંય લોકો મરણને શરણ થાય છે અને અનેકના ઘર બરબાદ થઈ જાય છે. માટે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિસાસા તમને પણ લાગશે.

આ દસ બાબતો ધ્યાનમાં રાખીને જ હંમેશાં ભોજન કરો. આવા કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવો કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો, તો આપણા ધર્મશાસ્ત્ર ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment