Monday 10 June 2024

સંતચરીત્રઃ યુગનાયક બાબા બૂટાસિંહજી મહારાજ

 

સંતચરીત્રઃ યુગનાયક બાબા બૂટાસિંહજી મહારાજ

 

૧૯મી સદીના અંતિમ ચરણમાં નિરાકાર પ્રભુ પરમાત્માના જ્ઞાનને માનવમાત્ર સુધી પહોંચાડનાર સંત નિરંકારી મિશનના સંસ્થાપક બાબા બૂંટાસિંહજી મહારાજનો જન્મ સને ૧૮૭૩માં પાકિસ્તાનમાં કૈમલપુર જીલ્લાના હદવાલ ગામના બિશનસિંહ અને માતા માયાવંતી કૂખે થયો હતો.તેમનું લગ્ન આશાસિંહ જગ્ગીની સુપૂત્રી લાજવંતીજી સાથે થયું હતું પરંતુ ૧૯૦૪માં માતા લાજવંતીજી બ્રહ્મલિન થતાં તેમનું બીજું લગ્ન હદવાલ ગામના વંન્તીજી સાથે થયું હતું.

બાબા બૂંટાસિંહજી હિન્દી પંજાબી અંગ્રેજી ફારસી અને ઉર્દુ ભાષાના જાણકાર હતા.રાવલપીંડીના ગુરૂદ્વારામાં તેઓ દરરોજ ગુરૂવાણીનો પાઠ કરતા હતા.ત્યાં ૧૯૧૪માં તેમની મુલાકાત કાહનસિંહજી સાથે થાય છે અને તેમના દ્વારા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.તેમના પ્રથમ ગુરૂ યોગધ્યાનસિંહ હતા.

સને ૧૯૨૯માં પેશાવરમાં તેમની મુલાકાત બાબા અવતારસિંહજી સાથે થાય છે જે તેમના પરમ ગુરૂ ભક્ત હતા.સંત અવતારસિંહજીના પ્રેમવશ તેઓ પત્ની સહિત તેમના ઘેર રહેવા આવી ગયા હતા.બાબા અવતારસિંહજી તથા માતા બુદ્ધવંતીજીએ સદગુરૂ બાબા બૂંટાસિંહજી મહારાજ તથા ગુરૂ પરીવારની નિષ્કામ ભાવે સેવા કરી ભરપૂર આર્શિવાદ તથા ગુરૂભક્તિનું રસપાન કર્યું.

બાબા બૂટાસિંહજી દ્વારા ૨૫મી મે ૧૯૨૯ના રોજ અવિભાજ્ય એવા પાકિસ્તાનના પેશાવરમાં સંત નિરંકારી મિશનની સ્થાપના કરી.

સદગુરૂ ત્રિકાલદર્શી તથા મર્યાદા પુરૂષોત્તમ હોય છે.સદગુરૂના કાર્ય જ તેમના ત્રિકાલદર્શી હોવાનું પ્રમાણ આપતા હોય છે.એકવાર બાબા બૂટાસિંહજી બોરની લાઇન ગોઠવે છે ત્યારે અચાનક બાબા અવતારસિંહજી મહારાજ અને માતા બુધવંતીજી આવે છે અને આમ કરવાનું કારણ પુછે છે ત્યારે તેઓ કહે છે કે હું સત્સંગી મહાપુરૂષોની લાઇનો બનાવી રહ્યો છું.એક સમય એવો આવશે અને સંગતોની સંખ્યા એટલી બધી વધી જશે કે સદગુરૂને નમસ્કાર કરવાની લાઇનો જોવા મળશે.શ્રદ્ધાળુ ભક્તો આપ બંન્નેને પાલખીમાં બેસાડીને શોભાયાત્રા કાઢશે.આપના પ્રેમ અને ભક્તિની સુવાસ ચારેબાજુ ફેલાશે.વર્તમાન સમયમાં સંત નિરંકારી મિશનનું વિશાળ રૂપ બાબા બૂટાસિંહજી મહારાજનું વરદાન છે.

અત્યારે નિરંકારી મિશનની આધ્યાત્મિક વિચારધારાને માનનારાઓની સંખ્યા એક કરોડ કરતાં વધુ છે અને દર વર્ષે યોજાતા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહી સંતવાણી અને ગુરૂવચનામૃતનો લાભ લેતા હોય છે.

બાબા બૂટાસિંહજીએ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં સંત નિરંકારી મિશનની જવાબદારી પોતાના પરમ ગુરૂશીખ બાબા અવતારસિંહજી મહારાજને સોંપી ૧૯૪૩માં આ નશ્વર દેહનો ત્યાગ કરી પરમાત્મામાં સમાઇ ગયા.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment