Monday, 10 June 2024

પ્રભુના દર્શન કર્યા બાદ તેમને યાદ કરવા એ સુમિરણ છે.

 

પ્રભુના દર્શન કર્યા બાદ તેમને યાદ કરવા એ સુમિરણ છે.

 

સંતો આપણને સમજાવે છે કે બીજા કોઇમાં ખામીઓ દેખાય તો તેને સમજાવો પરંતુ દરેકમાં ખામીઓ દેખાય તો પોતે પોતાને સમજાવો.ભજન સેવા સુમિરણ સત્સંગનો પ્રભાવ મનુષ્ય ઉપર પડે છે,પાપી મનુષ્ય નેક અને ઇમાનદાર બને છે,મોહ-માયાની અસર ઓછી થાય છે,સાધનામાં નિયમિતતા આવે છે,વિવેક આવે છે,વિચાર શાંત થાય છે,જીવનમાં સુખ શાંતિ આવે છે એટલે હે માનવ ! ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં સેવા સુમિરણ સત્સંગ ના છોડીશ.સદગુરૂ પરમાત્મા કહે છે કે જો હું તારી પ્રાર્થનાનો તરત જ જવાબ આપી દઉં તો તારો વિશ્વાસ પાકો થઇ જાય છે અને જો તારી પ્રાર્થનાનો તરત જ જવાબ ના આપું તો તારે સમજવાનું કે હું તારી ધીરજની પરીક્ષા લઇ રહ્યો છું અને તારી પ્રાર્થનાનો કંઇ જ જવાબ ના આપું તો મેં તારા કલ્યાણ માટે કંઇક બીજું સારૂં આપવાનું વિચાર્યું છે.હરપલ અમારી અંદર પ્રભુ સુમિરણ ચાલતું રહેવું જોઇએ..

 

સંસારમાં આવીને પ્રભુને જાણવા એ જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે.પ્રભુ અનન્ય ભક્ત શ્વાસે શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્‍ત થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્‍ત થાય છે.

 

સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.કોઇ રામ રામ..કોઇ હરિ ૐ કોઇ અલ્લાહ, કોઇ વાહેગુરૂ, તો કોઇ ર્ગાડ, એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.

 

કોઇ૫ણ શબ્દ કે પ્રભુના નામનું જીભથી વારંવાર રટન કરવું તેને સુમિરણ કહેવાતું નથી.હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે અને જીભથી રટન થઇ રહ્યું છે પરંતુ મન તો બીજે ક્યાંક ભટકી રહ્યું હોય તો તેને સુમિરણ કહેવાતું નથી.સુમિરણ કોઇ શબ્દ કે શબ્દોનો સમુહ જ નથી પરંતુ સદગુરૂ દ્વારા પ્રદત્ત સર્વમંગલકારી મહાવાક્ય છે,જેનું સુમિરણ ત્રિવિધ દુઃખહારી તથા સર્વ સુખકારી છે.સર્વવ્યાપક સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂ પાસેથી દ્દષ્‍ટ્રિ પ્રાપ્‍ત કરીને સર્વત્ર જોવા એ "જ્ઞાન’’ છે અને જોયા(દર્શન કર્યા) ૫છી તેમને યાદ કરવા એ "સુમિરણ’’ છે.જ્ઞાન એ ગુપ્‍ત નિધિ છે.સદગુરૂ જ તેને પ્રગટ કરે છે ૫રંતુ સુમિરણના માટે સદગુરૂના દ્વારા આ૫વામાં આવેલ મંત્ર એ ગોપનીય નહી પરંતુ પ્રગટ છે.હરિ ૫રમાત્માને જાણ્યા વિના સુમિરણનો કોઇ સાર નથી.હરિ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કે સુમિરણ થઇ શકતું નથી.

 

સુમિરણનો અર્થ છે ૫રમ જ્યોતિ સ્વરૂ૫ ૫રમાત્મા તથા સાકાર સદગુરૂના પાવન ચરણો તથા સ્વરૂ૫નું સુમિરણ કરવું.જે વ્યક્તિ વસ્તુ કે સ્થાનને અમે જોયું નથી ઓળખ્યું નથી,અનુભવ્યું નથી તે વ્યક્તિ વસ્તુ કે સ્થાનનું અમે ગમે તેટલીવાર નામ લઇએ તેમછતાં તે ક્યારેય અમારી કલ્પના કે સુમિરણમાં આવતું નથી.યાદ હંમેશાં તેની જ આવે છે કે જેને અમે જાણીએ છીએ,જેને અમે જોઇ હોય,જેની સામે અમારી ઓળખાણ હોય તે વસ્તુ કે વ્યક્તિનું નામ લેતાં જ તેનો ચહેરો તથા સ્વરૂ૫ અમારા માનસ ૫ટલ ૫ર ચલચિત્રની જેમ અંકિત થઇ જાય છે.કહેવાનો ભાવ એ છે કે જે સ્વરૂ૫ની યાદ હંમેશાં બનેલી રહે તેને જ સુમિરણ કહેવામાં આવે છે.

 

કબીરજીએ ઉત્તમ સુમિરણના વિશે કહ્યું છે કે..સુમિરણકી સુધ યૂં કરો જ્યો ગાગર પનીહાર, હાલે ડોલે સુરતમેં કહે કબીર વિચાર..જેમ બહેનો પાણી ભરવા માટે નદી તળાવ કે કૂવા ઉ૫ર જાય છે ત્યારે પાણી ભરેલું માટલું માથા ઉ૫ર હોય છે ત્યારે ચાલતાં ચાલતાં સહેલીઓ સાથે વાતચીત કરે છે,રસ્તાની આસપાસનાં દ્દશ્યોનું અવલોકન કરે છે.આ બધાં કાર્યો કરવા છતાં તેમનું ધ્યાન સુક્ષ્‍મ રીતે પાણી ભરેલા માટલામાં જ રહે છે અને તેથી ડગલેને ૫ગલે સંભાળીને ચાલે છે જેથી શરીરનું સંતુલન બનેલું રહે અને માથા ઉ૫રનું માટલું ૫ડી ના જાય.પ્રભુ સુમિરણમાં ૫ણ આવી અવસ્થા હોય છે કે તમામ કાર્યો કરવા છતાં ૫ણ ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં જ લાગેલું રહે છે.

 

મનુષ્‍ય જીવનને સુધારવા માટે સુમિરણ એ શાસ્ત્ર છે.જેનાથી તમામ સંકટો દૂર થાય છે.પ્રભુ સુમિરણથી કેટલાય ૫તિત આત્માઓ પાવન થયા છે,તેમનો ઉદ્ધાર થયો છે, કારણ કેઃ પ્રભુ સુમિરણ જ સુખનો સ્ત્રોત છે અને પ્રભુને ભુલી જવા એ જ દુઃખ છે.

 

દ્રો૫દીએ સુમિરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્‍ણએ આવીને તેની લાજ બચાવી..પ્રહ્લાદે જ્યારે પ્રભુને યાદ કર્યા તો હોલિકા ભસ્મ થઇ ગઇ અને પ્રહ્લાદની રક્ષા થઇ...નિભાડામાં રાખેલાં બિલાડીનાં બચ્ચાંની રક્ષા ૫ણ પ્રભુ સુમિરણના કારણે જ થઇ હતી.સુમિરણનો પ્રભાવ તમામ સિમાઓથી ૫ર હોય છે,તે હોનીને અનહોનીમાં બદલી શકે છે.પૂર્ણ સમર્પણથી કરવામાં આવેલ સુમિરણની શક્તિ કલ્પનાથી ૫ર હોય છે.સુમિરણથી અહંકાર મોહ-માયા ક્રોધ નિંદા-નફરત લોભ-દ્વેષ વગેરે દોષો દૂર થાય છે.સુમિરણ કરવા માટે કોઇ સ્થાન કે સમયની સીમા હોતી નથી.સૂતાં-જાગતાં,ઉઠતાં-બેસતાં,ખાતાં-પીતાં, હરતાં-ફરતાં,રાત્રે-દિવસે, નહાતાં-ધોતાં,સુખ-દુઃખ વગેરે ગમે ત્યારે પ્રભુ સુમિરણ કરી શકાય છે.નિત્ય પ્રાતઃકાળ ઈશ્વર સુમિરણ કરવું.દરેક સમયે વ્યવહારીક કાર્યો કરતી વખતે ૫ણ ઈશ્વર સુમિરણ ના ભુલવું.

 

સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.

(૧) દિખાઉઃ દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને.

(ર) બિકાઉઃધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી.

(૩) ટિકાઉઃ ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.

ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્ઠ સુમિરણ કહેવામાં આવે છે.સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી.સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે. પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.

 

શ્રીમદ ભગવદ ગીતા(૮/૧૪)માં કહ્યું છે કે અનન્યય ચિત્તવાળો જે મનુષ્ય મારામાં મુજ પુરૂષોત્તમનું નિત્ય નિરંતર સ્મુરણ કરે છે તે નિત્યિ નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે તેને સુલભતાથી પ્રાપ્ત થઇ જાઉં છું.

 

રામાયણમાં નવધા ભક્તિમાં કહ્યું છે કે દ્દઢ વિશ્વાસની સાથે ભગવાનના મંત્રનો જ૫(સુમિરણ) કરવો એ વેદ સિદ્ધ ભક્તિનો પાંચમો પ્રકાર છે.અન્ય જગ્યાએ કહ્યું છે કે કહે હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ જબ તવ સુમિરણ ભજન ન હોઇ..સંતને કોઇ તૃષ્ણા હોતી નથી તેઓ ફક્ત પ્રભુના સુમિરણમાં મસ્ત રહે છે.

 

નકલી અને બનાવટી સુમિરણથી કોઇ લાભ થતો નથી.એકવાર લૈલા મજનૂની યાદમાં ફરતી હતી.રસ્તામાં એક વ્યક્તિ પાસેથી પસાર થાય છે જે તપસ્યામાં બેઠા હતા તેની પાથરેલ ચાદર ઉપર ભૂલથી પગ પડી જાય છે ત્યારે તે સંત ફરીયાદ કરે છે કે તે મારા ધ્યાનમાં વિઘ્ન પહોચાડ્યું છે ત્યારે લૈલા કહે છે કે મને તો મારા મજનૂ ઉપર ફક્ત શારીરિક પ્રેમ છે અને તેથી ભાન ભૂલી ગઇ હતી જ્યારે આપ તો પ્રભુ પરમાત્માના ધ્યાનમાં બેઠા હતા,આપનો પ્રભુ પ્રેમ તો દિવ્ય છે જ્યારે મારો પ્રેમ તો એક મનુષ્ય ઉપર હતો જેના લીધે ભાન ભૂલી આપને જોઇ શકી નહોતી જ્યારે આપ તો સર્વવ્યાપક પ્રભુ પરમાત્માના ધ્યાનમાં હતા તો પણ પરેશાન કેમ થઇ ગયા? કહેવાનો ભાવ આજકાલ અજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવતું પ્રભુ નામ સુમિરણ પ્રભુ સાથે કેન્દ્રિત હોતું નથી અને તેથી તેને સુમિરણનું જે ફળ મળવું જોઇએ તે મળતું નથી.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

ધીરજ ધર્મ મિત્ર અને નારીની પરીક્ષા દુઃખના સમયે થાય છે.

 

ધીરજ ધર્મ મિત્ર અને નારીની પરીક્ષા દુઃખના સમયે થાય છે.

 

ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી,આપદ કાલ પરખિએ ચારી..રામાયણમાં આ ચોપાઇના માધ્યમથી સંસારને સમજાવ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર અને નારીની પરીક્ષા વિપત્તિના સમયે થાય છે કે કોન કેવી રીતે પોતાની ફરજ નિભાવે છે,સુખમાં તો તમામ સાથ આપે છે, જે દુઃખમાં સાથ આપે એ જ આપણો સાચો હિતૈષી છે. કળિયુગમાં થોડું દુઃખ પહાડ જેવું લાગે છે તેથી મનુષ્યોનો ધર્મ અને ધીરજનો સાથ છુટી જાય છે તેથી ખરાબ સમયની શરૂઆત થાય છે.આવા દુઃખના સમયે મિત્ર અને પત્નીનો સાથ મળે તો તે બચી શકે છે.

 

વર્તમાન સમયમાં થોડું દુ:ખ પણ પહાડ સમાન લાગે છે અને દુ:ખના લીધે ધર્મ અને ધીરજનો સાથ છુટી જાય છે અને તે છુટતાં જ આપણા ખરાબ સમયની શરૂઆત થાય છે.દુ:ખ કે વિપત્તિના સમયે કોઈપણ પ્રકારના અધર્મનું આચરણ ન કરવું.

 

દુઃખ કે વિપત્તિના સમયે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં રિશ્વત,બેઇમાની,દુરાચાર, વ્યભિચાર જેવા અધર્મના માર્ગનું અનુસરણ ન કરવું જોઇએ.અધાર્મિક અને નૈતિક પતનના રસ્તે ના જવું જોઇએ.અમારી ધીરજ જ અમોને સમાજમાં માન-સન્માન અપાવી શકે છે.જીવનમાં કોઇ વિપરીત પરિસ્થિતિ આવે તો ધીરજ ધારણ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઇએ,ગુસ્સામાં આવીને અન્ય લોકો ઉપર દોષારોપણ ન કરવું જોઇએ.

 

ધીરજ-સંયમને સમદૃષ્ટિ સંતોનાં આભૂષણ છે અને શૃંગાર હરિના જનનો હરિ ઇચ્છામાં જીવન છે. જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.

 

બહુત ગઇ થોડી રહી વ્યાકુલ મન મત હોય, ધીરજ સબકો મિત્ર હૈ કરી કમાઇ ન ખોય..

 

એકવાર એક રાજાની સેવાથી પ્રસન્ન થઇને એક સાધુએ તેમને તાવીજ આપે છે અને કહ્યું કે રાજા.. આ તાવીજ તમારા ગળામાં બાંધી લો અને જીવનમાં જ્યારે કોઇ એવી કોઇ પરિસ્થિતિ આવે અને તમોને લાગે કે હવે મારૂં સર્વસ્વ ગુમાવી દેવાનો છું,પરેશાનીઓ અને દુઃખના ચક્રાવામાં ફંસાઇ જાઓ,પ્રકાશની કોઇ કિરણ ના દેખાય,ચારે બાજું નિરાશા અને હતાશામાં ઘેરાઇ જાઓ ત્યારે આ તાવીજ ખોલીને તેમાં મૂકેલ કાગળમાંનું લખાણ વાંચવું ત્યાર પહેલાં તેને ખોલવું નહી.

 

રાજાએ તાવીજ પોતાના ગળામાં પહેરી લીધું.એકવાર રાજા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા જાય છે.એક સિંહનો પીછો કરતાં કરતાં રાજા પોતાના સૈનિકોથી છુટા પડી જાય છે અને દુશ્મન રાજાની સીમામાં પ્રવેશ કરે છે. ઘનઘોર જંગલ અને સાંજનો સમય રાજાને દુશ્મનના સૈનિકોના ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. રાજા આગળ અને દુશ્મન સૈનિકો પાછળ છે. ઘણા જ દૂર નીકળી જવા છતાં દુશ્મન સૈનિકો તેમનો પીછો કરે છે.

 

ભૂખ તરસથી બેહાલ રાજાને એક ઘટાદાર વૃક્ષોની વચ્ચે એક ગુફા દેખાય છે.રાજા પોતે ઘોડા સહિત તે ગુફામાં સંતાઇને શ્વાસ રોકીને બેસી જાય છે. દુશ્મન સૈનિકોના ઘોડાઓના ડાબલાનો અવાજ તેમની નજીક આવતો સંભળાય છે. રાજાને લાગે છે કે કેટલીક ક્ષણોમાં દુશ્મનના સૈનિકો તેમને પકડીને મારી નાખશે.રાજા જીંદગીથી નિરાશ થઇ જાય છે તે સમયે તેમનો હાથ સાધુએ આપેલ તાવીજ ઉપર જાય છે અને સાધુની વાત યાદ આવે છે.રાજા તાવીજને ખોલીને અંદરનો કાગળ કાઢીને વાંચે છે જેમાં લખ્યું હતું કે આ સમય પણ પસાર થઇ જશે.

 

થોડા સમયમાં રાજાને અચાનક અંધકારમાં સૂર્યની કિરણો દેખાય છે, ડૂબતાને સહારો મળી જાય છે. પોતાનામાં અકથનિય શાંતિનો અનુભવ થાય છે, તેમને લાગે છે કે આ ભયાનક સમય પણ પસાર થઇ જશે અને બન્યું પણ એવું જ! થોડા સમયમાં દુશ્મન સંનિકોના ઘોડાના ડાબલાઓનો અવાજ દૂર જતો સંભળાય છે.ત્યારબારદ રાજા ગુફામાંથી બહાર નીકળીને પોતાના રાજ્યમાં પરત જાય છે.

 

આ ફક્ત રાજાની જ કથા નથી.આપણા બધાની કથા છે. ક્યારેક અમે પરિસ્થિતિ, કામ અને તનાવના દબાણમાં આવીને એટલા બધા ચિંતામાં આવી જઇએ છીએ કે અમોને કશું સુઝતું નથી, અમારી ઉપર ડર કબ્જો જમાવી લે છે,કોઇ રસ્તો કે સમાધાન દેખાતું નથી ત્યારે અમોને લાગે છે કે હવે મારૂં જીવન પુરૂં થઇ જશે.આવા સમયે બે મિનિટ શાંતિથી બેસીને,ઉંડા શ્વાસ લઇ પોતાના ઇષ્ટદેવને સદગુરૂ પરમાત્માને યાદ કરીએ અને પોતે પોતાને કહીએ કે આ સમય પણ પસાર થઇ જશે.આપ અનુભવ કરશો કે આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે.

 

પ્રતિકૂળ પ્રસંગોમાં ગમે તેવી પરીસ્થિતિ નિર્માણ થાય તો ૫ણ ગભરાયા વિના ધીરજ રાખવી.સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.

 

ધીરજ-સંયમને સમદૃષ્‍ટિએ સંતોનાં આભૂષણ છે અને શૃંગાર હરિના જનનો હરિ ઇચ્છામાં જીવન છે. જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે. ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવું? ક્યારે આપવું? કેટલું આપવું? તે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છે.આપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે.ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છે.આપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે. દુઃખને પણ પ્રભુનો પ્રસાદ માનજો.જીવનમાં પાપથી કોઈ વખત દુઃખનો પ્રસંગ આવે તો ધીરજ રાખી પ્રભુની સ્તુતિ કરજો.

 

સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે એટલે મન વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.ધૈર્ય ક્ષમા દમ અસ્તેય શૌચ ઇન્દ્રિય નિગ્રહ બુધ્ધિ વિદ્યા સત્ય અને અક્રોધ..આ ધર્મનાં દશ લક્ષણો છે.સ્વધર્મને જાણીને તે પ્રમાણે વર્તવું તથા અહિંસા એ જ ૫રમધર્મ છે.

 

ઇશ્વર એક છે તથા એક જ ધર્મ છેઃમાનવતા..આ ધર્મનું મૂળ છેઃપ્રેમ અને નમ્રતા.સદભાવના તેનાં પુષ્પો છે.સદગુરૂ વાસ્તવિક સત્યને અભિવ્યક્ત કરે છે.પ્રત્યેક માનવને સાર્થક જીવન જીવવાની કળા શિખવાડીને તેની વૃત્તિ આધ્યાત્મિક બનાવે છે.ધર્મની ઓળખાણ માનવતા છે.માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી..આ ફક્ત સૂત્ર નથી પરંતુ વર્તમાન સમયની આવશ્યકતા છે.

 

મિત્ર અમોને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢે છે.મિત્ર સુખી અને ખુશીઓથી ભરેલ અમૂલ્ય જીવન જીવવાની પ્રેરણા આપે છે.આપત્તિના સમયે જે સહયોગ કરે છે તે જ સાચો મિત્ર કહેવાય છે. રામાયણમાં ભગવાનશ્રી રામે કહ્યું છે કે અમારે મિત્રોના નાના દુઃખને પહાડ સમાન સમજવું જોઇએ.

 

નારી..શક્તિની જનેતા છે.નારી એક ર્માં હોવાના કારણે સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે.સંસારનો મોટામાં મોટો મહાપુરૂષ ભલે તે યોદ્ધો હોય કે દાનવીર,રાજા હોય કે દરવેશ, સંત હોય કે ગુરૂ..માતાની સામે નતમસ્તક થાય છે.આ ઉંચી ૫દવીનો અધિકાર નારીને એટલા માટે માટે મળ્યો છે કારણ કે તેનામાં મમતા,સહનશીલતા અને બલિદાન જેવા મહાન ગુણો સર્જનહારે તેને સંસારમાં વહેંચવા માટે આપ્યા છે. સ્નેહ શીલ સદાચાર,ધનથી રહીત,કામી, આંધળો લૂલો રોગી દેવાદાર દરિદ્ર અને મુરખ ૫તિ હોય તો ૫ણ તે નારીના માટે પૂજ્ય દેવતા સમાન છે પરંતુ મનના ભાવોથી વિ૫રીત ચાલનારી નારી મળી જાય તો તે સ્થાઇ ઉપાધિ જ સમજી લેવી.

 

પોતાના સામાજીક વ્યવહાર અને સેવા-સત્કારની સાથે સાથે પોતાનો ૫તિ પોતાનાથી સંતુષ્ટ હોવો જોઇએ.ભગવાનની કૃપા તે જ નારીઓને પ્રાપ્ત થાય છે કે જે યોગ્ય મર્યાદાનું પાલન કરતાં કરતાં પોતાના પતિને પ્રસન્ન કરે છે.નારી પૂર્ણ રીતે ૫તિવ્રતા તથા આદર્શ ર્માં હોવી જોઇએ.

 

એવું કહેવામાં આવે છે કે પત્ની જો સારી હોય તો પતિને સફળતાના શિખર સુધી પહોંચાડે છે અને તેનાથી ઉલ્ટું પત્ની ખરાબ મળે તો પતિ રાજા હોય તો ભિખારી જેવું જીવન જીવવા મજબૂર કરે છે એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જે પત્ની પોતાના પતિ પગલે પગલે ચાલે છે,પતિનું મનોબળ તૂટવા દેતી નથી.ગરીબીના સમયમાં પણ જે સાથ આપે છે તેવી પત્ની પૂજનીય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.

 

જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.

 

એકવાર વાંદરા પકડવાવાળા શિકારીએ વાંદરાઓ પકડવા એક નાનો ઘડો કે જેનું મુખ નાનું છે તેમાં થોડા ચણા ભરીને તેને જમીનમાં દાટી દીધો અને થોડા ચણા ઘડાની આસપાસ પાથરી દીધા.એક વાંદરાની નજર ચણા ઉપર પડી.તેને આસપાસ વેરાયેલા ચણા ખાઇને ઘડામાં ભરેલા ચણાને જોયા.ચણા મેળવવાની લાલચમાં તેને બંન્ને હાથ ઘડામાં નાખીને ચણાની મુઠ્ઠી ભરી લીધી.ઘડાનું મુખ નાનું હોવાથી તેના બંન્ને હાથ ઘડામાં ફંસાઇ ગયા.વાંદરો ચણાને છોડી શકતો નથી તેથી હાથ બહાર નીકળી શકતા નથી. વાંદરો પરેશાન થઇને બૂમાબૂમ કરે છે પણ મુટ્ટી ખોલતો નથી.નજીકથી પસાર થતા એક સજ્જને વાંદરા ઉપર દયા લાવીને તેનાથી દૂર એક કેળુ મુક્યું કે જેને જોઇને વાંદરો ચણા ભરેલી મુઠ્ઠી ખોલીને કેળુ લેવા આવી શકે.વાંદરાનું ધ્યાન ચણા છોડીને કેળામાં ગયું અને તેની મુઠ્ઠી ખુલી ગઇ.મુઠ્ઠી ખુલતાં જ તેના હાથ બહાર આવી ગયા અને તે કેળુ લઇને ભાગી જાય છે.બંધનમુક્ત થઇ જાય છે.

 

આવી જ રીતે કાળે અમોને આ સંસારમાં ફંસાવી રાખવા માટે સુખ-સુવિધાઓરૂપી ચણા આપ્યા છે. આખું જીવન અમે તેની પાછળ ભાગીએ છીએ પરંતુ તે હાથમાં આવતાં નથી.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂને અમારી ઉપર દયા આવે છે અને અમારી સામે મોક્ષરૂપી કેળું રાખી દે છે.આ મોક્ષરૂપી કેળાને લેવા માટે અમારી સુખ-સુવિધાઓરૂપી ચણાની મુઠ્ઠી આપોઆપ ઢીલી થઇ જાય છે અને અમે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ..

 

અનેક જન્‍મો ૫છી મળેલો આ અત્‍યંત દુર્લભ મનુષ્‍ય જન્‍મ પામીને બુધ્‍ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્‍યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્‍ન કરવો જોઇએ.જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.

 

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કે અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી,તેને જ મોક્ષ કહેવામાં આવે છે.

 

મનુષ્‍યએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્‍તિ કરવા માટે ધર્મ અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્ર વિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્‍યને બાંધતાં નથી.

 

મન એવમ મનુષ્યાણામ બંધન કારણ મોક્ષયો..મન જ અમારા બંધન અને મોક્ષનું કારણ છે.જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્‍ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો.ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી..! મનને પ્રભુ પરમાત્‍માના ચરણારવિંદમાં જોડીને નિરંતર નામ સુમિરણ કરતાં કરતાં સાંસારીક કાર્યો કરવાં જોઇએ.પરમગતિ (મોક્ષ) પ્રાપ્‍ત કરવા માટે હંમેશાં પ્રભુ ૫રમાત્‍માનું ચિંતન જ  શ્રેષ્‍ઠ ઉપાય છે.

 

દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્‍ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્‍ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.

 

ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે,એ ભક્તિ સ્વતંત્ર સાધનરૂપ છે કારણ કે તેને યોગ કે જ્ઞાન..વગેરે કોઇનું અવલંબન હોતું નથી.જ્ઞાન અને વિજ્ઞાન ભક્તિને આધિન છે.ભક્તિ અનુ૫મ સુખનું મૂળ છે ૫ણ ભક્તિ જો સંતજનો અનુકૂળ હોય તો જ પ્રાપ્ત થાય છે.

 

જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગયોનિઓ છે.મનુષ્‍યયોનિમાં કરેલા પા૫-પુણ્ય ભોગવવા માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્ય કરવાનો અથવા પા૫-પુણ્યથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.

 

આ૫ણી જેમ અર્જુનને ૫ણ પોતાના દોષોની ચિંતા થઇ હતી.ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેને કહ્યું કે "સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ,અહં ત્વા સર્વપાપેભ્યો  મોક્ષયિષ્યામિ મા શુચઃ" (ગીતાઃ૧૮/૬૬) તું તમામ ધર્મોનો આશ્રય છોડીને કેવળ મારે એકલાને જ શરણે આવી જા.હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઇશ,તું શોક ના કરીશ.

 

સર્વે ધર્મો એટલે જીવના ધર્મો. હું ગરીબ નહી,હું શ્રીમંત નહી,નાનો નહી,મોટો નહી. તેવી રીતે હું કંઇ જ નહી, કોઇ જાતનો ધર્મ મારે નહી, હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી.આ નિર્ગુણ અવસ્થાની ટોચ છે. હું નિર્વિકલ્પ નિરાકારરૂપ છું, મારે કોઇ સંકલ્પ વિકલ્પ નથી,મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્દ્રિયોમાં છું, તમામ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂ૫ છું, મને રાગ-દ્રેષ,લોભ-મોહ-મદ-ઇર્ષ્યા નથી,મારે ધર્મ,અર્થ,કામ,મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.

 

ભગવાન કહે છે કે સઘળા ધર્મોના આશ્રય,ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કે શું કરવાનું છે? અને શું નથી કરવાનું? આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે પોતે ભગવાનના શરણે જવું..આ તમામ શાસ્ત્રોનો સાર છે.આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી. ભક્ત પ્રભુનું શરણું સ્વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય, નિઃશોક,નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.

 

ગીતામાં ધર્મ શબ્દનો અર્થ કર્તવ્ય કર્મ છે અને કર્તવ્ય કર્મનો સ્વનરૂ૫થી ત્યાગ કરવાનો નથી.સઘળા ધર્મો એટલે કે કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એજ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્તિ  થાય છે તે પ્રમાણે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન  થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.જેમ નિંદ્રાની સમાપ્તિ થતાં સ્વપ્નમાંના ઘર,પત્ની વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્યાગ કરવાથી સર્વ ધર્મોનો આપોઆ૫ લય થાય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ મહાઆકાશમાં એકતા પામે છે તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્વરૂ૫માં એકતા પામશે માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્ધ  માર્ગ છોડી દે. સર્વ બંધનોનું મૂળ ઉત્પન્ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્નતા જ છે, તે મારા સ્વરૂ૫ના જ્ઞાન(બ્રહ્મજ્ઞાન)થી નાશ પામશે.અનન્ય ભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.

 

સત્સંગ મોક્ષનું દ્વાર છે,સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે, સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે, સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે, સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી, સત્સંગથી નિશ્ચલ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે.

 

ચાર પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે.વચ્ચે અર્થ અને કામ છે.આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે.આ બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાનાં છે.ધર્મ અને મોક્ષ એ બંને પુરૂષાર્થ મુખ્ય છે, બાકીનાં બે અર્થ અને કામ ગૌણ છે.ધર્મ વિરૂદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી.ધર્મ વિરુદ્ધનો અર્થ અને કામ એ અનર્થ કરે છે.

 

વશિષ્ઠજી એ મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.(૧)શુભેચ્છા..શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે. (૨)સંતોષ..જે કંઈ મળ્યું છે તેમા સંતોષ માનવો.. (૩)સ્વરૂપાનુસંધાન..પોતાના સ્વરૂપને ભૂલવું નહિ.લક્ષ્યને ભૂલે તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે. (૪)સત્સંગ..થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.

 

બ્રહ્મર્ષિ વશિષ્ઠે કહ્યું છે કે આ ચાર યાદ રાખો તો મોક્ષ સુલભ છે.સંસાર છોડવાની જરૂર નથી. ઉ૫નિષદો આ વિશે કહે છે કે જીવ અને બ્રહ્મની સામ્યાવસ્થા મોક્ષ છે.જીવ અને બ્રહ્મનું પૂર્ણ તાદાત્મય જ મોક્ષ છે.પ્રવાહશીલ નદીઓ જેવી રીતે સાગરમાં સમાઇ જાય છે તેવી જ રીતે જ્ઞાની પુરૂષો ૫ણ નામ રૂ૫ ગુણોના બંધનોથી ઉ૫ર જઇ ૫રમાનંદમાં સમાઇ જાય છે.જીવ બ્રહ્મમાં પૂર્ણરૂ૫થી એકાકાર બની જાય છે. મોક્ષની ઉ૫રોક્ત અવસ્થાઓને ધ્યાનથી જોઇએ તો આ વિશે બે ધારણાઓ પ્રચલિત છે.

 

મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ ના કરવો.શરીર અને ઇન્દ્દિયોના બંધનોથી છુટકારો મેળવી બ્રહ્મમાં લીન થવું અને જીવતાં જીવ બ્રહ્મની સાથે સબંધ થવો અને મોક્ષનો અનુભવ કરવો. વાસ્તવમાં જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.પ્રત્યેક અવસ્થાની પ્રાપ્તિના માટે સાધનોનો ઉ૫યોગ કરવામાં આવે છે. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિના માટે મુખ્ય બે સાધન છે.ધર્મ અને સદગુરૂ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

જીવનનું પ્રથમ અને અંતિમ સત્યઃમૃત્યુ

 

જીવનનું પ્રથમ અને અંતિમ સત્યઃમૃત્યુ

રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવતાં શુકદેવજીને છ દિવસ પસાર થઇ ગયા અને સાપ કરડીને મૃત્યુ થવામાં એક દિવસ બાકી રહ્યો હતો તેમછતાં રાજાનો શોક અને મૃત્યુનો ભય ઓછો થયો ન હતો,તે સમયે શુકદેવજીએ રાજા પરીક્ષિતને એક કથા સંભળાવી.

એક રાજા જંગલમાં શિકાર કરવા જાય છે અને રસ્તો ભુલી જાય છે.રાત્રી થઇ ગઇ હોવાથી તે રોકાવવા માટે કોઇ આશરાની શોધ કરે છે.થોડે દૂર જતાં તેમને એક ઝુંપડી દેખાય છે જે ઘણી જ દુર્ગંધયુક્ત હતી,તેમાં એક બિમાર શિકારી રહેતો હતો.તેને ઝુંપડીમાં જ મળ-મૂત્ર ત્યાગ કરવાની જગ્યા બનાવી હતી અને ખાવા માટે જાનવરોનું માંસ છત ઉપર લટકાવી રાખ્યું હતું.આ બધુ જોઇને રાજાને પહેલાં તો અહી રહેવું યોગ્ય લાગતું નથી પરંતુ વિવશતાના લીધે શિકારીની ઝુંપડીમાં રોકાવવા વિનંતી કરે છે. તે સમયે શિકારી કહે છે કે હું ક્યારેક ક્યારેક રસ્તો ભુલેલા રાહગીરીઓને અહી રોકાવવા સંમતિ આપું છું પરંતુ તેઓ જતા સમયે ઘણી જ માથાકૂટ કરે છે.આ ઝુંપડી છોડીને જવા જ ઇચ્છતા નથી એટલે હવે હું આ માથાકૂટમાં પડવા માંગતો નથી એટલે હું તમોને આશરો આપી શકું તેમ નથી.રાજાએ શિકારીને વચન આપ્યું કે હું બધાની જેમ નહી કરૂં ત્યારે રાજાને રાત્રી મુકામ કરવા શિકારી સંમતિ આપે છે પરંતુ સવાર થતાં રાજાને ઝુંપડીની ગંધ એવી પસંદ આવી જાય છે કે તે ઝુંપડી છોડવામાં તેમને ઘણું જ કષ્ટ થાય છે અને શોકનો અનુભવ થાય છે તેથી શિકારી સાથે ઝઘડો થાય છે.

આ કથા સંભળાવીને શુકદેવજી રાજા પરીક્ષિતને પુછે છે કે શું રાજાએ શિકારી સાથે લડાઇ ઝઘડો કર્યો તે યોગ્ય હતો? ત્યારે પરીક્ષિત કહે છે કે આ રાજા તો ઘણો જ મૂર્ખ કહેવાય કે જે પોતાના રાજપાટને ભુલીને પોતે શિકારીને આપેલ વચન ભંગ કરીને વધુ સમય સુધી ઝુંપડીમાં રહેવાનું ઇચ્છે છે તે રાજા કોન છે? ત્યારે શુકદેવજી કહે છે કે પરીક્ષિત આ રાજા બીજો કોઇ નહી પરંતુ તમે પોતે છો.આ મળ-મૂત્રથી ભરેલી દેહમાં જેટલો સમય જીવાત્માને રહેવાનું જરૂરી હતું તેટલો સમય રહ્યો હવે તેની અવધિ પુરી થઇ છે.હવે તેને બીજા લોકમાં જવાનું છે તેમછતાં પણ તમે ઝંઝટ પેદા કરી રહ્યા છો.મરવાનો શોક કરી રહ્યા છો,શું આ યોગ્ય છે? આવું સાંભળીને પરીક્ષિતે મૃત્યુના ભયને ભુલીને માનસિકરૂપથી નિર્વાણની તૈયારી કરી લીધી અને ભાવગતકથાના અંતિમ દિવસે મનથી કથા શ્રવણ કરી.વાસ્તવમાં આ માનવ શરીર ગમે ત્યારે નાશ થવાનું છે પરંતુ આત્મા ક્યારેય જન્મતી કે મરતી નથી.

શુકદેવજીએ સાત દિવસમાં રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો જેથી છેલ્લે રાજા પરીક્ષિતે પોતાનું ચિત્ત પરમપિતા પરમાત્મામાં જોડી દીધું.તક્ષકે આવીને તેમને ડંખ માર્યો જેના ઝેરથી તેમનો દેહ બળીને ભસ્મ થઇ ગયો.શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી પરીક્ષિત શરીરથી પર થઇ ગયા હતા.

દેહ અને આત્માને જુદા પાડવાની પ્રક્રિયા એ જ મૃત્યુ.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે.અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે,પરંતુ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે,એ સંસ્કારો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.

આત્મા મરતો નથી પણ જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપ થયા નથી ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.મૃત્યુના ભયથી બચવાનો ઉપાય..સંસારના તમામ દુઃખોનું મૂળ સુખની ઇચ્છા છે.સુખની પ્રાપ્તિ ના માટે કોઇ ઇચ્છા જ ના હોય તો દુઃખ થતું જ નથી. "આવું થવું જોઇએ અને આવું ના થવું જોઇએ." આવી ઇચ્છા જ તમામ દુઃખનું કારણ છે.મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કેઃ તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ નથી.જેવી રીતે શરીરની બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી વૃધ્ધાવસ્થા જેવી અવસ્થાઓ બદલાય છે તે સમયે કોઇ કષ્ટ થતું નથી.

પ્રત્યેક પ્રાણીનો એકને એક દિવસે અંતિમ સમય આવવાનો જ છે,જે ઉત્પન્ન થયો છે તેનું મૃત્યુ અને મૃત્યુનો સમય સુનિશ્ચિત છે એટલા માટે સમય છે ત્યાં સુધી અમારે ત્યાં જવાની તૈયારી કરી લેવી જોઇએ.મનુષ્ય  જ્યારે પ્ર્રવાસમાં જાય છે ત્યારે અગાઉ કેટલાય દિવસોથી તૈયારી કરે છે પરંતુ અંતકાળની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.અંતકાળનું નામ અને ધ્યાન આવતાં ગભરાઇ જવું જોઇએ નહી.

મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કે તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ નથી.

લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે છે તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે માટે પરમેશ્વરને મળવાનું પરમાત્મા જોડે એક થવાનું લક્ષ્ય ભૂલશો નહિ. ભલે ગમે તેટલી અડચણો આવે. મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે જીવનને એવું બનાવી દેવામાં આવે કે મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય બની રહે. ગીતામાં પણ લખ્યું છે કે જે અંતકાળે મારૂં સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે.લોકો એમ માને છે કે આખી જિંદગી કામધંધો કરીશું, કાળાં ધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું એટલે તરી જશું પણ આ વિચાર ખોટો છે એટલે સ્પષ્ટતા કરેલી છે હંમેશાં જે ભાવનું ચિંતન કરશો તે જ ભાવનું અંતકાળે સ્મરણ થશે માટે જ ભગવાને આજ્ઞા કરી છે કે સઘળા સમયમાં નિરંતર પ્રતિક્ષણ મારૂં સ્મરણ કર.

મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે.રોજ વિચાર કરવો અને મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારૂં કોઈ નથી.આ શરીર પણ એક દિવસ છોડવું પડશે એટલે તે પણ મારૂં નથી.જો શરીર જ મારૂં નથી તો પછી મારું કોણ? બાકીના સર્વ સંબંધો જે શરીરથી ઉત્પન્ન થયેલાં છે તે મારા કેવી રીતે? સમતા સિદ્ધ કરવા સર્વ સાથે મમતા રાખો પણ વ્યક્તિગત મમતા દૂર કરો. સંગ્રહથી પણ મમતા વધે છે માટે અપરિગ્રહી (સંગ્રહ વગરના) રહો.તૃપ્તિ ભોગમાં નહિ ત્યાગમાં છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

ઇશ્વર ક્યાં રહે છે?

 

ઇશ્વર ક્યાં રહે છે?

 

એકવાર સર્વશક્તિમાન સૃષ્ટિ નિર્માતા પરમપિતા પરમેશ્વર ઇશ્વર ઘણી જ દુવિધામાં પડી ગયા કે મનુષ્ય જ્યારે પણ કોઇ મુસીબતમાં પડી જાય છે તો દોડીને તરત જ મારી પાસે આવીને પોતાની પરેશાની બતાવવા આવી જાય છે અને કંઇને કંઇ માંગવા લાગે છે.આ સમસ્યાના નિવારણ માટે તમામ દેવતાઓની બેઠક બોલાવી અને કહ્યું કે મનુષ્યની રચના કરીને મુસીબતમાં પડી ગયો છું.દરેક મનુષ્યને તેના કર્માનુસાર સર્વકંઇ આપવા છતાં કોઇને કોઇ મનુષ્ય દરેક સમયે ફરીયાદ લઇને આવે છે જેનાથી મારી તપસ્યામાં વિઘ્ન આવે છે.મને એવું સ્થાન બતાવો કે જ્યાં મનુષ્ય નામનું પ્રાણી ત્યાં આવી ના શકે.

 

પરમેશ્વરના વિચારોનું સન્માન કરતાં દેવતાઓએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે પ્રભુ ! આપ હિમાલય પર્વતની ટોચ ઉપર ચાલ્યા જાઓ.ત્યારે પ્રભુએ કહ્યું કે આ સ્થાન મનુષ્ય પહોંચની અંદર છે,તેને ત્યાં પહોંચતાં વધુ સમય નહી લાગે.એક દેવતાએ સલાહ આપી કે આપ સમુદ્રમાં છુપાઇ જાઓ.પ્રભુએ ના પાડી અને કહ્યું કે મનુષ્ય પાણીમાં છલાંગ લગાવવાનું અને શોધવાનું શીખી લેશે.કેટલાકે મંતવ્ય આપ્યું કે આપ અંતરિક્ષમાં ચાલ્યા જાઓ ત્યારે પ્રભુએ કહ્યું કે એક દિવસ મનુષ્ય ત્યાં પણ પહોંચી જશે.પ્રભુ નિરાશ થઇને મનોમન વિચારે છે કે શું એવું કોઇ સ્થાન નહી હોય કે જ્યાં હું શાંતિપૂર્વક રહી શકું?

 

છેલ્લે એક દેવતાએ કહ્યું કે પ્રભુ ! આપ મનુષ્યના હ્રદયમાં બેસી જાઓ.મનુષ્ય અનેક સ્થાન ઉપર આપને શોધવામાં લાગેલો રહેશે પણ પોતાના હ્રદયમાં ક્યારેય શોધ નહી કરે.ભગવાનને આ સલાહ પસંદ આવી અને પ્રભુએ મનુષ્યના હ્રદયને પોતાનું નિવાસ બનાવ્યું.તે દિવસથી મનુષ્ય પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે ઇશ્વરને ઉપર-નીચે આકાશ-પાતાળમાં શોધી રહ્યો હતો પરંતુ તેને પ્રભુ મળી રહ્યા નથી તેમછતાં મનુષ્ય ક્યારેય પોતાની અંદર હ્રદયરૂપી મંદિરમાં બેઠેલા ઇશ્વરનો અનુભવ કરતો નથી.અરે ભાઇ ! ઇશ્વર તો અમારી સ્થિત છે અને અમારી દરેક ગતિવિધિને જોઇ રહ્યા છે.અમારે ફક્ત રાગ-દ્વેષ ઘૃણા વૈમનસ્ય ક્રોધ ઉપેક્ષા ઇર્ષા અહંકાર અસહિષ્ણુતા હિંસા વગેરે ખરાબીઓને છોડીને પોતાની અંદર ઇશ્વરને જોવાની જરૂર છે.નિર્મળ મનથી જ ઇશ્વરની અનુભૂતિ કરી શકાય છે.ઇશ્વરને પ્રેમ જોઇએ,તે તો પ્રેમના ભૂખ્યા છે.જો વ્યક્તિ છળ-કપળ રાખીને ઇશ્વરને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે ક્યારેય સંભવ નથી.

 

ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના હ્રદયપ્રદેશમાં વિરાજમાન છે.ઇશ્વર સમહ્રદય છે.જેવી રીતે પૃથ્વીમાં બધી જગ્યાએ જળ હોવા છતાં પણ જ્યાં કૂવો હોય છે ત્યાંથી જ જળ પ્રાપ્ત થાય છે એવી જ રીતે પરમાત્મા બધી જગ્યાએ સમાનરૂપે વ્યાપ્ત હોવાછતાં પણ હ્રદયમાં પ્રાપ્ત થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

ઇશ્વર અંશ જીવ અવિનાશી

 

ઇશ્વર અંશ જીવ અવિનાશી

 

સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ(નિરંકારી બાબા)એ પોતાના પ્રવચનોમાં જણાવ્યું  છે કેઃ ધાર્મિક ગ્રંથોને ફકત એકલા વાંચવાના નથી પરંતુ તેને સમજવાની ૫ણ જરૂરત છે.સદગુરૂના મુખારવિંદથી નીકળેલો એક એક શબ્દ ખૂબ જ ઉંડાણમાં વિચાર કરવા પ્રેરે છે.ગુરૂભક્તનું કામ તો તેને અમલમાં લાવવાનું હોય છે.સદગુરૂએ સર્વવ્યાપી ૫રમપિતા ૫રમાત્માના દર્શન(અનુભૂતિ) કરાવ્યાં  છે જે ૫રિપૂર્ણ, અભેદ અને અછેદ છે.૫રમપિતા ૫રમાત્મા કણ કણ અને ઘટ ઘટમાં વ્યાપ્ત છે ૫રંતુ કણકણ અને ઘટઘટ ૫રમપિતા ૫રમાત્મા નથી.૫રમાત્માનું નૂર બધામાં છે,ભલે ૫છી તે જડ હોય કે ચેતન.આ સૃષ્ટિમાં અમે જે કંઇ જોઇ રહ્યા છીએ તે તમામમાં ૫રમાત્માનું નૂર છે.કહ્યું છે કેઃ

 

આદમકો ખુદા મત કહો,આદમ ખુદા નહી,લેકિન ખુદાકે નૂરસે,આદમ જુદા નહી.

 

જીવ ઇશ્વરનો જ અંશ છે,૫રંતુ ઇશ્વર નથી.જીવને ચૌરાશી લાખ યોનિઓમાંથી મુક્તિ મેળવવી છે, એટલા માટે સંત મહાત્માઓએ ૫રમાત્માને ઓળખવાની વાત કહી છે.હવે સવાલ એ પેદા થાય કેઃ         શું પોતાના મૂળની ઓળખાણ થઇ ગયા ૫છી જીવ પોતાના મૂળ (નિરાકાર પ્રભુ પરમાત્મા)માં વિલિન થઇ જાય છે? અથવા તેનું પોતાનું અસ્તિત્વ રહે છે? આ જાણતાં ૫હેલાં જીવ શું છે? તેને જાણવું ખૂબ જ જરૂરી છે.જીવ શું છે? અને તેને મુક્તિ કેમ જોઇએ?

 

ભક્ત શિરોમણી તુલસીદાસજીએ રામચરીત માનસમાં કહ્યું છે કેઃ

 

સુનહું તાત યહ અકથ કહાની,

સમુઝત બનઇ ન જાઇ બખાની,

ઇશ્વર અંશ જીવ અવિનાશી,

ચેતન અમલ સહજ સુખરાશી..

(રામચરિત માનસઃ૧૧૬/ખ/૧)

 

હે તાત ! આ કથનીય કથા સાંભળો ! જે સમજવાથી જ બને તેમ છે ૫ણ તે સંપૂર્ણ રીતે વર્ણવી શકાય તેમ નથી.જીવ ઇશ્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી ચૈતન્યરૂ૫ નિર્મળ અને સહજરૂપે સુખનો રાશિ છે.તે માયાને વશ થઇને પો૫ટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે.આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ પડીને તે એકરૂ૫ થઇ ગયાં છે.જો કે તે ગાંઠ મિથ્યા જ છે ૫રંતુ તેના છુટવાની વાત કઠણ સમજવી અને એ ગાંઠ ૫ડવાથી જીવ સંસારી બની ગયો(જન્મીને મરનારો).હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્ત થતું.વેદોએ તથા પુરાણોએ એને ઉપાયો બતાવ્યા હોવા છતાં ૫ણ તે ગાંઠ નથી છૂટતી ઉલ્ટાની વધારેને વધારે મજબૂત થતી જાય છે.જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્યારે છૂટવાની તો કેવી રીતે હતી?

 

અવિનાશી તે જ હોય છે જે ક્યારેય નષ્ટ થતો નથી.જે નષ્ટ  થઇ જાય અથવા જેનું અસ્તિત્વ સમાપ્ત થઇ જાય તે અવિનાશી ન કહેવાય.વિલય પછી તો અસ્તિત્વ જ સમાપ્ત થઇ જાય છે,જેમ નદી સમુદ્રમાં ભળી જાય છે તો તેના નામ તથા પોતાનું અસ્તિત્વ જ સમાપ્ત થઇ જાય છે.

 

મન બુધ્ધિ ચિત્ત અહંકાર પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણથી જીવ બને છે અને મુક્તિની આવશ્યકતા ૫ણ આ જીવને જ છે. "સત્યાર્થ પ્રકાશ" અનુસાર જીવ બળ પરાક્રમ આકર્ષણ પ્રેરણા  ગતિ ભિષણ વિવેચન ક્રિયા ઉત્સાહ સુમિરણ નિશ્ચય ઇચ્છા પ્રેમ દ્રેષ સંયોગ-વિયોગ વિભાગ સંયોજક વિભાજક શ્રવણ સ્પર્શ દર્શન સ્વાદ અને ગંધગ્રહણ..આ ર૪ પ્રકારના સામર્થ્યથી યુકત હોય છે.

 

જીવ જયારે સ્થૂળ શરીરને છોડે છે તો પાંચ મહાભૂત(પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ) પોતાના મૂળ તત્વમાં ભળી જાય છે.શેષ રહે છેઃજીવાત્મા. જે અજર અમર છે. જીવ અને આત્માનો એક પ્રકારનો સમવાય સબંધ છે.આત્મા નિરાકાર પરમાત્માનું જ સુક્ષ્મરૂ૫ છે.જયારે અમે નિરાકાર પ્રભુ પરમાત્માનું વિરાટરૂપ જોઇએ છીએ તો તેને પરમાત્મા કહીએ છીએ અને સુક્ષ્મરૂ૫ જોઇએ છીએ તો આત્મા કહીએ છીએ, જો કે ૫રમાત્મા અને આત્મા એક જ ૫રમસત્તાનાં બે અલગ અલગ નામ છે.આત્મા એટલા માટે તમામ પ્રકારના બંધનોથી મુક્ત છે.કર્મોનું બંધન તો જીવની સાથે છે જે તેને વારંવાર વિભિન્ન યોનિઓમાં જન્મ લેવા માટે વિવશ કરે છે.

 

પ્રકૃતિ,જીવ અને પરમાત્મા ત્રણે અજન્મા છે એટલે કે આ ત્રણે તમામ જગતના કારણરૂ૫ છે, તેમનું કારણરૂ૫ કોઇ નથી.આ અનાદિ પ્રકૃતિનો ભોગ અનાદિ જીવ કરીને ફસાય છે ૫ણ આમાં પરમાત્મા ફસાતા નથી કે ભોગ ૫ણ કરતા નથી.

 

જયારે માનવી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂના શરણમાં નતમસ્તક થઇને પોતાને પૂર્ણરૂપે સમર્પિત કરી દે છે તો સદગુરૂ તેને બ્રહ્મજ્ઞાન આપીને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરી દે છે,ભલે પછી તે કર્મો પૂર્વજન્મોના હોય કે આ જન્મનાં હોય.સદગુરૂ જ્ઞાનરૂપી અગ્નિથી જીવના તમામ કર્મો બાળી નાખે છે અને આ જન્‍મ-મરણના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.જીવની મુક્તિ માનવયોનિમાં જ સંભવ છે. મનુષ્ય યોનિઓમાં જ જીવ તમામ યોનિઓથી વધુ ચેતન હોય છે,બાકીની તમામ યોનિઓ ભોગ યોનિઓ છે,ફક્ત માનવ યોનિ જ એક માત્ર એવી યોનિ છે જેમાં જીવને પૂર્વજન્મના કર્મોના ફળ ભોગવવાની સાથે સાથે નવા કર્મો કરવાની ૫ણ સ્વતંત્રતા હોય છે.માનવયોનિમાં જ જીવ કર્મોના બંધનથી બંધાય છે.જેમ કીચડ પાણીથી જ બને છે અને જયારે કીચડથી ૫ગ બગડે છે ત્યારે પાણી દ્રારા જ સાફ કરી શકાય છે-તેવું જ માનવયોનિનું છે.

 

આ એક મોટી વિડંબણા છે કેઃકેટલાક લોકો એવું માને છે કે મૃત્યુ્ બાદ મુક્તિ મળે છે.આ વાત પૂર્ણતઃ સાચી નથી કારણ કે રાજા જનક જીવત જીવ જ વિદેહી કહેવાયા તથા સંત કબીરે ૫ણ કહ્યું છે કેઃ હમ ન મરૈ મરિહૈ સંસારા હમકો મિલ્યા જીયાવનહારા.

 

આધ્યાત્મિક દ્રષ્ટ્રિમાં મુક્તિ શબ્દનો અર્થ થાય છેઃજીવિત અવસ્થામાં જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત  કરીને તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવું.મરણ ૫છી તો આ અમૂલ્ય માનવજન્મથી જ મુક્તિ મળે છે,કોઇ૫ણ પ્રકારના બંધનથી નહી ! એકવાર આ માનવજન્મ છૂટી ગયા ૫છી પુનઃ મળતો નથી.

 

હવે મુખ્ય વિષયની ચર્ચા કરીએ કે જે જીવને સદગુરૂ દ્રારા બ્રહ્મજ્ઞાન નથી મળતું તે તો પુનઃ લક્ષચૌરાશી યોનીઓમાં ચક્કર ફર્યા જ કરે છે પરંતુ જે જીવને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તે જીવ આવાગમન ના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.જો જીવનું નિરાકાર પ્રભુ પરમાત્મામાં વિલય થઇ જાય તો ૫છી જીવ મુક્તાવસ્થાનો આનંદ કેવી રીતે ભોગવે? મુક્તાવસ્થામાં જ જીવ ૫રમાનંદના આનંદને કોઇ૫ણ પ્રકારની શંકા ભય શોકથી રહિત થઇને ભોગવે છે,વાસ્તવમાં મુક્ત જીવની સાથે જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો રહેતી નથી.મુક્ત-જીવ જયારે જેવી રીતે આનંદને ભોગવવાની કલ્પના કરે છે તો તેના સંકલ્પમાત્રથી તેને તે ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે અને તે ઇન્દ્રિય દ્રારા તે કલ્પિત આનંદને ભોગવી લે છે.

 

જે સૌથી મુખ્ય વાત છે તે નિરાકાર પ્રભુ પરમાત્માની પરિપૂર્ણતા.જો જીવનો નિરાકાર પ્રભુ પરમાત્મામાં વિલય થાય છે તો તેનો અર્થ એ થાય કેઃનિરાકાર પ્રભુ પરમાત્મા પૂર્ણ નથી.પરમાત્મા તો અભેદ અને અછેદ છે.કોઇ૫ણ વસ્તુનો બીજી વસ્તુમાં વિલય ત્યારે જ સંભવ છે કે તેમાં વિલય થવા માટે જગ્યા ખાલી હોય જેમકેઃપાણીમાં ખાંડ/મીઠું ઓગળીને સમસ્ત પાણીને મીઠું/ખારું બનાવી દે છે.હવામાં ખુશ્બુ(સુગંધ) ભળી જાય છે,આકાશમાં શબ્દ ભળી જાય છે.એક નિરાકાર પ્રભુ પરમાત્મા સિવાય તમામમાં વિલય કરવા માટે જગ્યા હોય છે.જો થોડો ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો શ્રીમદ્ ભગવદ્ ગીતા(૨/૨૩)માં કહ્યું છે તે પ્રમાણે..

 

આ આત્માને શસ્ત્રો  છેદી શકતાં નથી,આને અગ્નિ બાળી શકતો નથી,આને પાણી ભિંજવી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી એનું કારણ એ છે કે આ નિરાકાર પ્રભુ પરમાત્મા એટલો પરિપૂર્ણ છે કે સોઇની અણી જેટલી જગ્યા ૫ણ તેના વિના ખાલી નથી,જયારે તેના વિના કોઇ જગ્યા જ ખાલી નથી તો શસ્ત્ર  ચલાવવા માટે જગ્યા જ બચતી નથી તો ૫છી શસ્ત્ર ચલાવશો કેવી રીતે? કારણ કે શસ્ત્ર ચલાવવા માટે ૫ણ જગ્યા જોઇએ,આવું જ અગ્નિ હવા પાણી ૫ર લાગુ પાડી શકાય.

 

આલેખનઃ

વિનોદભાઈ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)