Sunday, 7 June 2026

બોધકથા.. જે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.

 

બોધકથા..

 

જે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.

 

એકવાર એક ટીંટોડી તેની ચોંચમાં મરેલા ઉંદરને લઇને ઉડી રહી હતી,તેને જોઇને અનેક સમડીઓ અને બીજા ઘણા બધા ૫ક્ષીઓ તેની આસપાસ ફરવા લાગ્યા અને તેને અનેક જગ્યાએ ચોંચ મારી મારીને ઘાયલ કરી દીધી.છેવટે ટીંટોડીએ ઉંદરને ફેંકી દીધો કે તુરંત જ બધા હેરાન કરવાવાળા ચાલ્‍યા ગયા અને હેરાનગતિ દૂર થઇ.શરૂઆતમાં ટીંટોડીને લાગ્યું કે સમડી વગેરે મારા દુશ્મનો છે પણ તે ખોટું વિચારતી હતી કારણ કે ઉંદરને છોડતાંની સાથે જ સમડી વગેરે તમામ પક્ષીઓ ચાલ્યા ગયા.તેને કોઇની સાથે કોઇ દુશ્મની નહોતી કે તેના પ્રત્યે કોઇને વ્યક્તિગત દ્વેષ નહોતો.ઉંદરના કારણે સમડી વગેરે તેની પાછળ પડ્યા હતા.ઉંદરને પકડ્યો હતો એ જ તેની ભૂલ હતી અને તે મૂરખ વિચારતી હતી કે તેઓ બધાને મારી સાથે કોઇ દુશ્મનાવટ છે.આના ઉ૫રથી એ બોધ લેવાનો છે કે અ૫સંગ્રહના લીધે હેરાનગતિ થાય છે,તે છોડી દો તો તકલીફ દૂર થાય છે.અહી માંસના ટુકડાનો અર્થ થાય છે-ઉ૫ભોગ્‍ય વસ્‍તુ.

 

કવિએ કહ્યું છે કે જે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.જે વ્યક્તિ પોતાના મુખમાં વાસના રાખે છે સમજો તેને પોતાના મુખમાં મરેલો ઉંદર પકડી રાખ્યો છે જેથી તેને દરેક જગ્યાએ ક્રોધ આવશે,દુશ્મની ઊભી થશે.ભલે તમે કહેશો કે મેં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી,હું મારા ઘરમાં શાંતિથી રહું છું,મારા પરીવારની સંભાળ રાખું છું,હું કોઈના વ્યવહારમાં દખલ કરતો નથી તો પછી લોકો મારા દુશ્મન કેમ છે? પણ તમે સંસારમાં ઓતપ્રોત થઈ ગયા છો.જ્યારે તમારા મોંઢામાં મરેલો ઉંદર હોય છે ત્યારે સમડી વગેરે તમારી ઉપર હુમલો કરે તે સ્વાભાવિક છે.હવે જરા ઉંદરને છોડીને તો જુઓ ! અચાનક તમને લાગશે કે આખી દુનિયા તમારી મિત્ર બની ગઈ છે.વાસના દૂર થતાં જ આખી દુનિયા મિત્ર જેવી લાગે છે,કોઈ દુશ્મન રહેતો નથી.અત્યાર સુધી તમે જે પકડ્યું છે તેના લીધે જ ઉપદ્રવ હતો.

 

તમે બિનજરૂરી રીતે વ્યક્તિગત દુશ્મની માની લીધી હતી.તેની સાથે તમારે કોઈ લેવા-દેવા નહોતું. તે મરેલો ઉંદર તમારા મોંઢામાં હતો તેમાં જ દુશ્મનાવટના બીજ હતા.જો વાસના દૂર ન થાય તો ક્રોધ ક્યારેય દૂર થઈ શકતો નથી.લોકો પૂછે છે ક્રોધ કેવી રીતે દૂર થઈ શકે? હું તેમને કહું છું કે આ મુશ્કેલ કામ છે,તમે પ્રશ્ન જ ખોટો પૂછી રહ્યા છો.તમારે વૃક્ષના મૂળ બચાવવા છે અને તમે ડાળીઓ કાપો છો તેનાથી શું થશે કે તમે એક ડાળી કાપશો તો બીજી બે-ત્રણ ફુંટશે માટે તમારે મૂળને જ કાપવું પડશે અને આ મૂળ છે-વાસના.

 

ગુરૂ દત્રાતેયે ૨૪ ગુરૂઓ કર્યા તેમાં વાયુ તેમના ચોથા ગુરૂ હતા,વાયુ પાસેથી તેમને સંગ્રહ ન કરવો,ગતિ,નિર્લિ૫તા અને અપરીગ્રહતાની વાતો શિખ્‍યા હતા.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ અને અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે, તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ સંગ્રહ ના કરવો એ એક પ્રકારનો વિકાસ છે તે વાયુ પાસેથી શિખ્‍યા હતા.બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધ તથા ર્દુગંધ બંન્ને લઇને આવે છે.સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્‍ત રહે છે.નિર્લિ૫તા અને અપરીગ્રહતા આ બે વાતો વાયુ પાસેથી શિખ્‍યા હતા.

 

મધુમાખી પાસેથી તેમને બોધ મળ્યો કે સાધકે બીજા દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ ના કરવો. તેમની પાસે ભિક્ષા લેવાનું કોઇ પાત્ર હોય તો બે હાથ અને ભેગું કરી રાખવાનું કોઇ પાત્ર હોય તો તે પોતાનું પેટ છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન છે.શાસ્‍ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન-ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે. ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.એક પ્રાચિન ભજનની પંક્તિ છે કેઃ

 

ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,

કાં તો ભાગ્‍ય બીજાનું ભળ્યું,કાં તો ખોટી કમાણી મારા સંતો..

જૂના ધરમ લ્‍યો જાણી રે..

 

અંતઃકરણમાં જે અનેક સુક્ષ્‍મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે,ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાં સુધી કર્મ ચાલુ રહે છે.કર્મોને સમાપ્‍ત કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.મનને નિર્વિષય બનાવવું તથા શમ વિચાર સંતોષ અને સત્સંગ..આ ચારનું પ્રયત્નપૂર્વક સેવન કરવું.આ ચાર મોક્ષના દ્રારપાળ છે.

 

પ્રાણીઓની ઉ૫ર જન્‍મ-જન્માંત્તરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્‍કર્મો કરવાની ચેષ્‍ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્‍માનો વાસ છે,આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે,દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્‍માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે.તન પવિત્ર સેવા કિયે,ધન પવિત્ર કર દાન,મન પવિત્ર હરિભજન કરે,હોત ત્રિવિધ કલ્‍યાણ..અતૃપ્‍ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે પરંતુ સુક્ષ્‍મ સંસ્‍કારો ટકી રહે છે,એ સંસ્‍કારો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્‍મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્‍મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.પ્રેમનું પ્રમાણ વધારે એટલું વાસનાનું પ્રમાણ ઓછું.

 

કામના પુર્તિની સંભાવના થઇ રહી હોય પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉ૫ર ક્રોધ આવી જાય છે.રજોગુણથી ઉત્પન્ન આ કામ એટલે કે કામના જ તમામ પા૫નું કારણ છે,આ કામ જ ક્રોધમાં રૂપાંતર થાય છે.ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે,જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે.જે સતત બ્રહ્મચિંતન કરે તેને ક્રોધ આવતો નથી.ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર,નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે. ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે.ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે,એ એક નહીં પણ અનેક લોકોને એક સાથે બરબાદ કરે છે.માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા-નરસાનું ભાન નથી રહેતું.જો તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરશો તો તેના આ અવગુણો તમારામાં પણ પ્રવેશ કરશે અને તમે પણ ક્રોધ કરીને તમારૂં જીવન બરબાદ કરશો.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment