Sunday, 7 June 2026

ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લો

 

ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લો

પોતાના ભૂતકાળમાંથી હંમેશાં કંઇકને કંઇક શિખવાનો પ્રયાસ કરવો જોઇએ.અમારો ભૂતકાળ ગમે તેટલો ખરાબ કેમ ના હોય પરંતુ તેમાંથી ઘણું બધું શિખવા મળે છે.જીવનમાંથી જે ચાલ્યું ગયું છે તેનો શોક મનાવવાના બદલે,તેને યાદ કરવાના બદલે ભાગ્ય અનુસાર જે મળ્યું છે તેને સંભાળવાનો પ્રયાસ કરીએ.

કેટલીક નવી યોજનાઓ બનાવીએ,નવી આશા અને અરમાનોની સાથે ફરીથી કર્મક્ષેત્રમાં ઝંપલાવીએ. જે ગુમાવી દીધું છે તે આપણું હતું જ નહી અને તેને પોતાનું માની યાદ કરી જીંદગીની સફર બગાડવી તે બુદ્ધિમાની નથી.જે પોતાનો સ્વાર્થ પુરો થતાં અમોને છોડી ગયા છે,જેને ગુમાવી દીધું છે તે ફરીથી પાછું આવવાનું જ નથી. પોતાના થયેલ નુકશાનના માટે બીજા કોઇને દોષી માનવાના બદલે અને તેનાથી બદલો લેવાના બદલે પોતાની શક્તિને પોતાના શ્રેષ્ઠ ઉદ્દેશ્યમાં લગાવીએ એ જ બુદ્ધિમાની છે.

જ્યાંસુધી મનમાંથી પોતાના ભૂતકાળના દુઃખો,ખરાબ સ્મૃતિઓને કાઢો નહી,તેમાંથી મુક્ત નહી થાઓ ત્યાંસુધી સોનેરી ભવિષ્યનો આનંદ કેવી રીતે માની શકશો? સમય બધાને મળે છે જીવન બદલવા માટે પરંતુ સમયને બદલવા જીવન બીજીવાર મળવાનું નથી માટે ભાગ્ય અનુસાર અને પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મો અનુસાર જે મળ્યું છે તે સર્વશ્રેષ્ઠ છે તેમ માની મનની ચંચળતા છોડશો તો જ જીવનમાં સાચા આનંદની પ્રાપ્તિ થશે.

ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્‍યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્‍મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્‍વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે. નિંદનીય વંદનીય ત્યારે જ બની શકે કે જ્યારે પ્રામાણિકતાથી પોતાની ભૂલો-પાપોનું સંત સમક્ષ પ્રસારણ કરે. સાંસારીક ભૂલો શોધવામાં આપણને આનંદ આવે છે તો સંસારમાં આપણાથી પણ ઘણી ભૂલો થાય છે તે શોધશો તો તમારૂં જીવન ધન્ય થઇ જશે.

લગભગ બીજાઓની ભૂલોના કારણે જ અમોને ક્રોધ આવતો હોય છે.હવે વિચાર કરીએ કે ભૂલ કોને કહેવાય છે? બીજાઓ દ્વારા સમજી વિચારીને,જાણી જોઇને જે ભૂલો કરવામાં આવેલ ના હોય તેના માટે તેમને દંડ આ૫વો વ્યાજબી નથી.આવા સંજોગોમાં સામાવાળાને ક્ષમા આપી દેવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આમ કરવાથી એક તો અમોને માનસિક શાંતિ મળશે,બીજું ભૂલો કરનારને પોતાની ભૂલોનો ૫શ્ચાતા૫ થશે.

સંસારમાં એવો કોઇ વ્યક્તિ નથી જેને જીવનમાં કોઇ ભૂલ જ ના કરી હોય કારણ કે અમે માનવ છીએ દેવતા નથી અને માનવ ભૂલોનું પૂતળું છે.સારા માનવ બનો અને બધાનું ભલું કરો.ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઇએ અને ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે અમારી વાણી વર્તનથી કોઇની લાગણી ના દુભાય.અમારૂં એક ખરાબ કર્મ અમોને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે.

ભૂલો કરવી એ મનુષ્યનો સ્વભાવ છે.જાણતાં કે અજાણતાં દરેકથી નાની-મોટી ભૂલો થઇ જ જાય છે.હવે થઇ ગયેલ ભૂલોને છુપાવવા માટે જુઠું બોલવું તેના કરતાં વિનમ્રતાપૂર્વક ભૂલોનો સ્વીકાર કરવો એ જીવનનો શ્રેષ્ઠ ગુણ છે.ભૂલોને છુપાવવા જુઠું બોલવું એ મોટામાં મોટી ભૂલ છે.ભૂલો છુપાવો નહી પરંતુ ભૂલોને સુધારો.જ્યારે અમે જૂઠું બોલીને ભૂલોને છુપાવવા પ્રયત્ન કરીએ તો અમારા જીવનમાં અમારા સુધરવાની સંભાવના રહેતી નથી.જો આપણને જૂઠું બોલવાની ટેવ પડી જાય તો પછી સત્ય બોલવું અમારા માટે કઠિન થઇ જાય છે.જૂઠું ના બોલાય તેવો પ્રયાસ કરીએ અને સત્ય એવું બોલીએ કે તેનાથી કોઇ બીજાને પીડા ના થાય.પોતાનાથી થયેલ ભૂલોનો સ્વીકાર કરવાથી આપ બીજાઓની નજરમાં ક્ષમાના પાત્ર બની જાઓ છો.

જે ભૂલો અમારાથી ભૂતકાળમાં થઇ ગઇ છે તેમાં હવે કોઇ સુધારો થઇ શકે તેમ નથી પરંતુ આત્માવલોકન અવશ્ય કરી શકાય છે.ભવિષ્યમાં અમે ભૂતકાળમાં થયેલ ભૂલોને ફરીથી ના કરીએ એવો પ્રયાસ કરવો જોઇએ.ભૂલો કરવી ખરાબ નથી પરંતુ એકની એક ભૂલ વારંવાર કરવી એ ખોટું છે.

મહાપુરૂષોનો મત છે કે આંધળો એ નથી જેને આંખો નથી પરંતુ આંધળો એ છે કે જેને પોતાની ભૂલો દેખાતી નથી.પોતાની ભૂલો ના જોવી એ અંધાપન છે અને આ અંધાપન જ અમારી પ્રગતિને રોકે છે. જીવનમાં હરક્ષણ પોતાની સાથે વિતાવો અને કેટલોક સમય સ્વ-નિરીક્ષણમાં લગાવો.

ભૂતકાળને જોવા પાછા વળીને જોવાથી કોઇ ફાયદો થવાનો નથી પરંતુ તે પત્થરોને અવશ્ય યાદ કરજો જેની ઠોકર ખાઇને અમે નીચે પડી ગયા હતા.આવો પ્રગતિના પથ ઉપર નિરંતર આગળ વધવા અમારાથી ભૂતકાળમાં થયેલ ભૂલોને યાદ ન કરતાં,નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરવા એક આદર્શ જીવન જીવવાનો સંકલ્પ કરીએ..

બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે તેને કોઇ ભૂલ બતાવે અને સમજાવવા પ્રયત્ન કરે તો તેનો સ્વીકાર કરે. જે પોતાની ભૂલ સમજવા જ તૈયાર નથી અને ઉલ્ટી-સીધી વાતો કરીને કે છળકપટ કરીને પોતે જ સાચો છે તે સાબિત કરવા પ્રયત્ન કરે તે મૂર્ખ છે.આવા મૂરખ સમાજના નિયમોની ઉપેક્ષા કરીને મનમાની કરે છે અને પોતાનું જ નુકશાન કરે છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

No comments:

Post a Comment