Friday 16 August 2024

ભીમાશંકર જ્યોર્તિલિંગની કથા

 

ભીમાશંકર જ્યોર્તિલિંગની કથા

 

દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીનું છઠ્ઠું ભીમાશંકર મહાદેવનું મંદિર પુનાથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પાસે આવેલું છે.

 

ભીમાશંકર જ્યોર્તિલીંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.આ સ્થળ ભીમા નામની નદીનું ઉદગમ સ્થાન છે.ભીમા નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે.આ મંદિરનું બાંધકામ પ્રાચિન અને અર્વાચિન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે.જેનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું, સભામંડપ અને મંદિરનું શિખર ૧૮મી સદીમાં નાના ફડનવીસે બનાવડાવ્યું હતું.અન્ય શિવ મંદિરની જેમ આનું ગર્ભગૃહ પણ નીચાણમાં આવેલું છે.

 

અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે.૧૩મી સદીના સાહિત્યમાં ભીમાશંકર મંદિર અને ભીમારથી નદીનો ઉલ્લેખ જોવા મળે છે.અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચિમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ આપ્યો હતો.ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે.કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી.બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્ય હતા.દાનવો સામેનાં યુદ્ધમાં શાકીની અને ડાકીની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી,તેમને પણ અહીં પુજવામાં આવે છે.ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે,આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે.આ સાથે અહીં સર્વતીર્થ-કુશારણ્ય તીર્થ અને જયકુંડ આવેલા છે.કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદીનું પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે.

 

ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે.તે શિવના બાર જ્યોતીર્લિંગમાંનું એક છે.શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે.આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે.પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર-નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરૂં પાડે છે.અહી ભીમા નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે.જંગલોની અવિરત હારમાળા, પર્વતના શિખરો,ભીમા નદીના પાણીનો ગણગણાટ આ સૌને કારણે આ સ્થળ ખરેખર સ્વર્ગ સમાન લાગે છે.

 

આપણા દેશમાં એવા ઘણા સ્થળો છે જ્યાં ગયા પછી જુદા જુદા ભાવ જાગૃત થાય છે.આજથી હજારો વર્ષો પહેલાં સહ્યાદ્રિ પર્વતની આજુબાજુના વિસ્તારમાં એક પ્રભાવશાળી,અતિશય ખુબસૂરત કર્કટી નામની રાક્ષસી રહેતી હતી.લોકો ઉપર તેનું ઘણું જ વર્ચસ્વ હતું.સમાજમાં તેનું બહુમાન થતું હતું.લોકો તેનો પડ્યો બોલ ઝીલતા હતા.લોકો તેની સલાહ લેવા આવતા હતા.તેને એક નાનો હોશિયાર ચબરાક ભીમ નામનો પૂત્ર હતો.આપણી એવી સમજણ છે કે રાક્ષસ એટલે લાંબા દાંત,મોટા નખ,ભયંકર બિહામણો ચહેરો હોય પરંતુ આ સત્ય નથી.’’ખાઓ-પીવો અને મજા કરો..એવું ભોગવાદી જીવન જીવનાર,ભગવાનને ન માનનાર,ભોગોમાં જ રચ્યાપચ્યા રહેનારને રાક્ષસ કહેવામાં આવે છે.’’

 

એકવાર પોતાનો ભૂતકાળ યાદ આવતા વૃક્ષની પાછળ છુપાઇને કર્કટી રડી રહી હતી તે ભીમ જોઇ જાય છે.અનેકોનો આધાર મારી ર્માં નિરાધારની જેમ કેમ રડે છે? ત્યારે કર્કટી કહે છે કે બેટા મને મારો ભૂતકાળ યાદ આવતાં હૈયું ભરાઇ આવ્યું છે. ભીમ કહે છે કે ર્માં તને મારા બાપુજીની યાદ આવી? મને પણ યાદ આવે છે.તૂં મને બતાવ કે મારા પિતાજી કોન છે? ક્યાં રહે છે? તેમનું નામ શું છે? ભીમે જ્યારે બહુ જીદ કરી ત્યારે કર્કટી કહે છે કે તર્કટ-વિરાધ નામના શક્તિશાળી વીર સાથે ઠાઠમાઠથી મારૂં લગ્ન થયું. અમારા દિવસો ખુબ જ સુખમાં પસાર થતા હતા.એકવાર ઋષિમુનીઓ સાથે રામ આવ્યા અને મારા પતિ સાથે ખટપટ થતાં રામે મારા પતિને મારી નાખ્યા.વિરાધના મૃત્યુ સાથે જ મારૂં સંસારસુખ હણાઇ ગયું.મારા સ્વપ્નો વેરવિખેર થઇ ગયા.વિધવા દશામાં હું પિયર આવી.મારા પિતાનું નામ કર્કટ અને માતાનું નામ પુષ્કસી હતું.મારા માતાપિતા પણ દુઃખી થયા અને તેમને પણ બ્રાહ્મણો અને ઋષિઓ ઉપર નફરત ઉભી થઇ.તે સમયે ઋષિમુનીઓને માનનારો અગત્સ્યનો શિષ્ય સુતિક્ષ્ણ રાજા હતો.વેર લેવાની વૃત્તિથી સુતિક્ષ્ણ મારા પિતા પાસે ગયા,સંઘર્ષ થતાં તેને મારા પિતાને પણ  મારી નાખ્યા.

 

હું યુવાન,રૂપવતી,સુંદરતાની મૂર્તિ અને કડક સ્વભાવની હોવાથી આસપાસના લોકો મારાથી દબાયેલા રહેતા અને મારો આદર કરતા હતા.મારો હાથ પકડવાની કે મારી ઉપર ખરાબ નજર કરવાની કોઇ હિંમત નહોતું કરતું પરંતુ એક દિવસ એક યુવકે અજ્ઞાત સ્થાનમાં મારો હાથ પકડ્યો,અમારી ચાર આંખો એક થઇ.તે શૂરવીર હતો અને ઋષિમુનીઓનો કટ્ટર વિરોધી હતો.હું ખુબ ખુશ થઇ,અમારી વચ્ચે પ્રિત બંધાઇ અને અમે એકબીજા સાથે પરણવાનું વચન આપ્યું.અમારા દિવસો આનંદમાં જતા હતા,તે લંકાનો રાજકુંવાર કુંભકર્ણ હતો.તારો જનમ થાય ત્યાર પહેલાં જ તેમને લંકામાં જવું પડ્યું.મેં તેમની સાથે લંકા જવાની જીદ કરી ત્યારે તેણે કહ્યું કે મોટાભાઇને કહીને તને ઠાઠમાઠથી લઇ જઇશ.હું તેમની રાહ જોઇ રહી હતી ત્યારે જ મને સમાચાર મળ્યા કે રામ-રાવણના યુદ્ધમાં તારા પિતાજીને રામે હણી નાખ્યા છે.હવે તૂં જ એકમાત્ર સહારો છે એમ કહીને કર્કટી રડી પડે છે.ભીમના મનમાં ઋષિમુનિઓ વિરૂદ્ધ કર્કટીએ હળાહળ ઝેર રેડ્યું. ભીમ અત્યંત ક્રોધે ભરાયો અને પોતાની ર્મા ઉપર થયેલ અન્યાયનો બદલો લેવા તૈયાર થયો.

 

તમામ હકીકત સાંભળીને ભીમ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે ભગવાન વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું.આ માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી.કરૂણામય સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી તેની તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેને શક્તિ વરદાન સ્વરૂપે આપી અને આ શક્તિના જોરે ભીમાસુર બેફામ બન્યો. જેમને મારી ર્માં ને બે-બે વાર વિધવા બનાવી,મારા પિતાને માર્યા તેમની સામે બદલો લઇશ.તેને ઇશ્વરવિમુખ સમાજ નિર્માણ કર્યો.ઋષિમુનિઓનો સંહાર કરતો ગયો.તે સમયે ફક્ત સુદક્ષિણ નામનો રાજા બાકી રહ્યો હતો તેને પકડીને સહ્યાદ્રિ પર્વત ઉપર કેદ કર્યો.મૂર્તિપૂજા બંધ થઇ.યજ્ઞો બંધ થયા.

 

બ્રહ્માજીના વરદાનના પ્રભાવથી ભીમાસુરે શિવભક્ત મહારાજાઓને જીતી લીધા.મહાભયંકર પરાક્રમ વાળા પ્રભાવશાળી કામરૂપેશ્વરને જીતીને કેદ કરી અનેક ક્લેશ આપ્યા.ઇન્દ્ર સહિત દેવતાઓ અને ઋષિઓને ઘણું જ કષ્ટ પહોચાડી તેઓને પોતાના સ્થાનથી હટાવ્યા.ત્યારે વ્યાકુળ થઇને ઇન્દ્ર સહિત દેવતાઓ અને ઋષિઓ બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં ભગવાન શંકરની શરણમાં ગયા.તેમને મહાકોશી નદીના કિનારે લોકકલ્યાણ કરનાર ભગવાન શંકરની અનેક સ્ત્રોતોથી સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા.આ કર્મયોગીઓની નિષ્ઠા જોઇ ભગવાને વિરાટ સ્વરૂપે તેમને દર્શન આપ્યા અને કહ્યું કે ડરો છો શા માટે? જગતમાંથી શ્રદ્ધા-નિષ્ઠા અને મક્કમતા રાક્ષસોથી હટશે નહી માટે તમે લડવા જાઓ તમારી સાથે ઇશશક્તિ ઉભી છે. હુંકારમાંથી પ્રચંડ શક્તિ નિર્માણ થઇ તેઓના પરસેવા અને લોહીથી નદી વહેવા લાગી તે નદી એ જ ભીમાનદી.

 

ભીમાનદીના કાંઠે કામરૂપેશ્વરે પાર્થિવ શિવલિંગ બનાવી ગહન ધ્યાન કરવા લાગ્યા જ્યાં શિવજી પોતાના ગણો સહિત તેમની રક્ષા માટે ગુપ્તરૂપમાં સ્થિત થયા.આની ખબર કોઇકે ભીમાસુરને આપતાં તે તલવાર લઇને રાજા પાસે જાય છે.રાજા કામરૂપેશ્વર વિચાર કરે છે જે થવાનું છે તે તો થઇને જ રહેશે,તેને કોઇ ટાળી શકતું નથી..દયાળુ શિવજી નિશ્ચિંતરૂપથી આ પાર્થિવ લિંગમાં ઉપસ્થિત છે.

 

ભીમાસુરે રાજાને ધમકાવીને ભયંકર કૃપાણથી પાર્થિવ લિંગ ઉપર પ્રહાર કર્યો.તે સમયે પાર્થિવ લિંગમાંથી શિવજી પ્રગટ થયા અને કહ્યું કે હું સદાય ભક્તોની રક્ષા કરૂં છું આમ કહીને શિવજીએ પોતાના પિનાકથી તેની તલવારના બે ટુકડા કરી દીધા.ભીમાસુરે ત્રિશૂળ ફેક્યું,શક્તિથી અને પટ્ટિશથી પ્રહાર કર્યો તો શિવજીને તેના અનેક ટુકડા કરી નાખ્યા.તે સમયે નારદજીએ આવીને હાથ જોડીને પ્રાર્થના કરી કે આપ શીઘ્ર આ અસુરનો વધ કરો.ભગવાન શિવે તમામ રાક્ષસોને ભસ્મ કરી દીધા..

 

કામરૂપેશ્વર રાજા બન્યો ત્યારે તેણે કહ્યું કે ભગવાન અમારૂં સદભાગ્ય કે આપના દર્શન થયા.અમારા કરતાં વધારે તપશ્ચર્યા કરનારને પણ આપનાં દર્શન થતા નથી પરંતુ અમોને દર્શન થયા તેનું કારણ ભીમ હતો તે વીર હતો તેને અને આ રાક્ષસોનો સંહાર કરવા તમે આવ્યા.તેમણે જે સત્યાનાશ કર્યો છે તેના પુનઃનિર્માણ કરવા, ભક્તોને સાંત્વના આપવા તમે અહી જ રહો. ભક્તોની ભક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું તે રીતે શત્રુની પ્રચંડ શક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું તેનું લોકોને સ્મરણ રહે તેથી ભીમનું નામ ભગવાન શિવના નામ સાથે જોડી દેવામાં આવ્યું તે ભીમાશંકર જ્યોર્તિલિંગ.

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

https://lokarpan.in/?p=498029

No comments:

Post a Comment