Friday 16 August 2024

દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર

 

દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર

 

       નાગેશ્વર જ્યોતિર્લિંગ કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે.તે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.રૂદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે.નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

 

આપના દેશમાં એક કાળ એવો હતો કે જ્યારે લોકોમાં શ્રદ્ધા હતી ૫રંતુ વચ્ચેના કાળમાં લોકો આળસુ અને પ્રમાદી થયા હતા.તે સમયે પશ્ચિમ સાગરના કિનારે દ્વારીકા નજીક એક વન હતું જે સોળ યોજન વિસ્તારમાં પથરાયેલું હતું.દારૂકા નામની એક અતિ પ્રભાવી રાક્ષસી ત્યાં રહેતી હતી.આળસુ લોકો ઉ૫ર તેને તિરસ્કાર થતો.આ દારૂકાએ પાર્વતીમાતાની તપશ્ચર્યા કરી,માતાજીએ પ્રસન્ન થઇ તેને તે જ્યાં જવા ઇચ્છે ત્યાં પોતાના સ્વજનોને લઇને વનસહિત જઇ શકશે તેવી અખૂટ શક્તિ આપી હતી જેનાથી તે અહંકારી બની હતી.

 

દારૂકા દારૂક નામના રાક્ષસ સાથે ૫રણી.સામાન્ય રીતે એવી સમજણ છે કે સ્ત્રી કોઇનું નુકશાન કરતી નથી અને તેમાંએ આર્ય સ્ત્રી કોઇ દિવસ સંસ્કૃતિ બગાડતી નથી પરંતુ સ્ત્રી જ્યારે ભયંકર બને છે ત્યારે જીવન મૂલ્યો અને નૈતિક મૂલ્યો તોડી સંસ્કૃતિનું અધઃ૫તન કરે છે.જેમ આજના ગુંડા તત્વો કામ કરે છે તેમ સ્ત્રી ગુંડ બની સંહારક બને છે.દારૂકા આવી સ્ત્રી હતી.તે અનેક રાક્ષસોને સાથે લઇને સત્પુરૂષોને દુઃખ આપતી હતી. તે સમયના લોકો દારૂકાને દેવી સમજીને પૂજતા હતા. તેના પ્રભાવથી લોકો તેના ઇશારે ચાલતા.લોકોમાં રહેલી કૃતિ-ઘૃતિ અને મેઘા શક્તિને જાગૃત કરી સમજાવ્યુ કે આળસુ લોકોને આલોકમાં સુખ મળતું નથી.દારૂકવનની બધી જગ્યા તેની માલિકીની હતી.તેનો પ્રભાવ જબજસ્ત હતો તેથી તેને જીવનનાં નૈતિક,સાંસ્કૃતિક,આધ્યાત્મિક મૂલ્યો કચડી નાખ્યાં,લોકોની શ્રદ્ધા ઉડાવી દીધી અને દારૂકાએ આખો રાક્ષસી સમાજ નિર્માણ કર્યો.

 

રાક્ષસો એટલે અમે અમારૂં રક્ષણ કરવા સમર્થ છીએ એમ સમજનાર,અમને કોઇના ટેકાની જરૂર નથી, કોઇ દેવતા કે ભગવાન અમારૂં રક્ષણ કરનાર નથી,અમે અમારૂં રક્ષણ કરીશું આવી સમજણવાળા બધા રાક્ષસ કહેવાય.આ જોઇ તે સમયના બ્રાહ્મણોને ઘણું દુઃખ થયું પરંતુ મુઠ્ઠીભર બ્રાહ્મણો લાચાર બન્યા.તેમની લાચારીનું કારણ આ રાક્ષસોએ સમાજનો ગુરૂ બદલ્યો હતો અને જેનો ગુરૂ બદલાય તે લાચાર થાય.રાક્ષસો હંમેશાં મીઠી ભાષા બોલી ગુરૂ બદલાવે.દારૂકાના અનુયાયીઓએ ૫ણ લોકોમાં બ્રાહ્મણ વિરૂદ્ધ વિચાર વહેતા મુક્યા અને તેમને લોકોની નજરોમાં ઉતારી પાડી બ્રાહ્મણોનું વર્ચસ્વ ખલાસ કર્યું.

 

હતાશ અને હડધૂત બ્રાહ્મણો ઓર્વમુનિના આશ્રમે ગયા અને રજૂઆત કરી કે આખો સમાજ ભોગ પ્રધાન બન્યો છે તેને બદલવાની જરૂર છે.ઓર્વમુનિએ કહ્યું કે બ્રાહ્મણો કાર્ય કરવા લાગે તો સમાજ આપો આપ બદલાશે.ફક્ત વિચાર અને પ્રેમથી કાર્યો થતા નથી,દયાળું પ્રભુ સૌનું કલ્યાણ કરો એમ ફક્ત બોલવાથી કલ્યાણ થતું નથી,જ્ઞાનની ઉપાસના હોવી જરૂરી છે.તમારામાંથી જ્ઞાનપિપાસા ખલાસ થઇ છે તેથી અસુરો પાછળ પડ્યા છે.જ્ઞાનની સાથે નિષ્ઠા ૫ણ હોવી જોઇએ.સમાજમાં કોઇ૫ણ વિચાર ઉભો કરવો હોય તો તીવ્ર સંકલ્પની જરૂર છે.સંકલ્પ કેવો હોવો જોઇએ? તે માટે મુનિએ એક વાર્તા કહી.

 

બે ભક્તો તપ કરતા હતા.બંન્નેને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હતો.નારદજીએ વિચાર કર્યો કે લાવને તેમની પરીક્ષા કરૂં.નારદજી પહેલા ભક્ત પાસે ગયા અને પુછ્યું કે ભક્તરાજ ! તમે તપશ્ચર્યા શા માટે કરો છો? ત્યારે ભક્તરાજે કહ્યું કે ભગવાનનાં દર્શન કરવા માટે. અરે ! એમ ભગવાન રસ્તામાં ૫ડ્યા છે? એના માટે તો ખુબ તપશ્ચર્યા કરવી ૫ડે. ભક્તે કહ્યું કે કેટલા વર્ષ? આ ઝાડ ઉ૫ર જેટલાં પાંદડાં છે તેટલા વર્ષ તપ કરો તો ભગવાનનો સાક્ષાત્કાર થાય, તો તો પછી મારી તપશ્ચર્યાનો કોઇ અર્થ નથી એટલા વર્ષ તો હું જીવીશ ૫ણ નહી એમ કહી પેલો ભગત ઉઠીને ચાલતો થયો.નારદજી બીજા ભક્ત પાસે ગયા અને ત્યાં ૫ણ તેવી જ રીતની વાત કરી ત્યારે બીજા ભગતે કહ્યું કે વાંધો નહી..એટલા વર્ષો પછી તો ભગવાન મળશેને? એમ કહી તપ કરવા બેસી ગયો.આટલી ધીરજ અને નિષ્ઠા હોવી જોઇએ.

 

ઓર્વમુનિએ બ્રાહ્મણોને કહ્યું કે દુર્બળતા કાઢી પ્રભાવી બનો,પ્રજામાં શ્રદ્ધા અને પ્રેમ છે ૫ણ જ્ઞાન નથી તેઓને જ્ઞાન આપી નિષ્ઠા જાગૃત કરો.બ્રાહ્મણોનું સંગઠન નિર્માણ કરો.થોડા સમયમાં બ્રાહ્મણોએ જ્ઞાન મેળવી એક પ્રચંડ સંગઠન તૈયાર કર્યું અને ધીરે ધીરે બ્રાહ્મણ વર્ગે લોકો ઉ૫ર પોતાની પકડ મજબૂત કરી. દારૂકાની સત્તા રહી નહી એટલે તેને દૂર દરીયા કિનારે પોતાના વૈભવ સહિત સ્થાળાંતર કરી પોતાના પ્રભાવ અને કતૃત્વથી ત્યાં ૫ણ રાક્ષસી વિચારવાળો સમાજ નિર્માણ કરી દરીયા કિનારો કબ્જે કર્યો.

 

એક વખત સુપ્રિય નામનો વૈશ્ય દેશદેશાંતરમાં વેપાર કરી અઢળક સં૫ત્તિ કમાઇ પાછો ફરતો હતો. તેની પાસે અનેક હોડકાં હતાં,તેને ખબર ન હતી કે દારૂકાએ આ બધો વિસ્તાર કબ્જે કર્યો છે,તેનો કાફલો આગળ વધતાં જ દારૂકાએ તેને અટકાવ્યો અને કહ્યું કે તમારી તમામ સં૫ત્તિ અમારે હવાલે કરો. સુપ્રિય ભગવાનનો ભક્ત હતો.ભગવાનના કાર્યમાં વૈભવ ખર્ચિસ એ ભાવનાથી તેણે સં૫ત્તિ કમાઇ હતી.આ સં૫ત્તિ રાક્ષસો લઇ લે તે તેનાથી સહન ના થયું અને સુપ્રિયે વૈભવ આપવાની ના પાડી તો યુદ્ધ થયું તેમાં સુપ્રિય અને તેના કાફલાની હાર થઇ અને દારૂકાએ બધી સં૫ત્તિ કબ્જે કરી સુપ્રિય અને તેના માણસોને કેદ કર્યા.

 

સુપ્રિય હતાશ થઇ મૃત્યુંજય ભગવાન શિવને યાદ કર્યા.ભગવાનની પ્રેરણાથી તેને યાદ આવ્યુ કે નાગેશ ભગવાનની ઉપાસના કરનાર એક પ્રચંડ શક્તિ નિર્માણ થઇ છે.તેને ચુપચાપ પોતાના એક માણસને મોકલી સંદેશ મોકલાવ્યો કે પ્રભુકાર્ય માટે હું સં૫ત્તિ કમાઇ પાછો ફરતો હતો ત્યારે દારૂકા અને તેના માણસોએ બધો વૈભવ લૂંટી અમોને બંદી બનાવ્યા છે.આ લોકોએ દારૂકા ઉ૫ર દમદાટીવાળો પત્ર લખ્યો કે સુપ્રિયને તેના વૈભવ સાથે મુક્ત કરો નહી તો અમે બદલો લઇશું.

 

દારૂકા બુદ્ધિશાળી હતી.તેને ભેદનીતિ અપનાવી જવાબ આપ્યો કે તમારી અને અમારી શરત હતી કે આપણે ઝઘડો ન કરવો.કોઇપણ બ્રાહ્મણને તકલીફ ન આપવી તે શરત અમે પાળી છે.સુપ્રિય બ્રાહ્મણ નથી ૫ણ વૈશ્ય છે તેથી અમે કોઇ શરતભંગ કરી નથી.બ્રાહ્મણોએ કહ્યું કે બ્રાહ્મણ કોઇ દિવસ એકલો હોતો નથી, ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા મળીને બ્રાહ્મણ થાય,જે વર્ણાશ્રમ ધર્મ પાળે છે,વૈદિક વિચારને માન્યતા આપે છે તે તમામ અમારા છે માટે આ લોકોને મુક્ત કરો ૫ણ દારૂકાએ તેમની અવગણના કરી અને યુદ્ધ થયું. બધાએ ભેગા મળી નાગેશ ભગવાનને પ્રાર્થના કરી તે સમયે જ્યોતિસ્વરૂપ પરીવાર સહિત અદભૂત ભગવાન શિવ પ્રગટ થઇને સુપ્રિય વૈશ્યને પાશુપાત નામનું અસ્ત્ર આપીને કહ્યું કે મારી બધી શક્તિ તમારી સાથે છે.નાગેશ ભગવાનની કૃપાથી રાક્ષસોની હાર થઇ.

તે સમયે દુઃખીત મનવાળી દારૂકાએ ભગવતી પાર્વતીની સ્તુતિ કરી.પાર્વતીજીએ પ્રસન્ન થઇને કહ્યું કે હું તારા માટે શું કરૂં? ત્યારે દારૂકાએ કહ્યું કે હે દેવી ! મારા વંશની રક્ષા કરો.માતાજીએ કહ્યું કે હું તારા વંશની અવશ્ય રક્ષા કરીશ તેવું વરદાન આપીને માતાજીએ ભગવાન શિવ સાથે ઝઘડો કર્યો ત્યારે શિવજીએ પાર્વતીજીને કહ્યું કે તમે ઇચ્છો તેમ કરો.પોતાના પતિ શિવજીનું આવું વચન સાંભળીને તેમને કહ્યું કે આપનું વચન યુગના અંત સુધી સત્ય થશે,ત્યાંસુધી તામસી સૃષ્ટિ બનેલી રહેશે જો આમ નહી થાય તો પ્રલય આવી જશે.આ રાક્ષસી દેવી દારૂકા મારી શક્તિ છે,તમામ રાક્ષસોમાં બલિષ્ઠ છે તે રાક્ષસો ઉપર રાજ કરશે.તેનો વંશ આગળ વધશે અને મારી આજ્ઞાથી તેઓ આ વનમાં નિવાસ કરશે.

ભગવાન શિવે કહ્યું કે હું મારા ભક્તોના રક્ષણ માટે આ વનમાં પ્રીતિપૂર્વક નિવાસ કરીશ.અહી જે પોતાના વર્ણોચિત્ત ધર્મમાં સ્થિર રહીને મારૂં દર્શન કરશે તે ચક્રવર્તી રાજા બનશે.કળિયુગ પુરો થયા પછી સતયુગના પ્રારંભમાં વિરસેન નામનો શ્રેષ્ઠ રાજા થશે જે રાક્ષસોનો કુળ સહિત સંહાર કરશે.આ જગ્યાએ જ્યોતિર્લિંગના રૂપમાં શિવજી નાગેશ્વર નામથી અને દેવી પાર્વતી નાગેશ્વરી નામથી પ્રસિદ્ધ થયાં.

 

નિષધ નામના દેશમાં ક્ષત્રિયકૂળમાં મહાસેનનો પૂત્ર વિરસેન મહાન શિવભક્ત થયા.તેને કઠિન તપ કર્યુ જેના ફળસ્વરૂપે શિવજી પ્રગટ થઇ પાશુપત અસ્ત્ર આપી કહ્યું કે તમે મુખ્ય રાક્ષસીઓનો કૂળ સહિત વિનાશ કરો.મારા દર્શનથી તમારામાં કોઇ ખામી નહી રહે અને ત્યાંસુધી પાર્વતીજીના વરદાનની સમય મર્યાદા પણ પુરી થઇ જશે.આમ દારૂકા સહિત તેના વંશજોનો નાશ થયો.મરતાં પહેલાં તે રાક્ષસ કન્યાની અંતિમ ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.(શિવપુરાણમાંથી સાભાર)

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

https://lokarpan.in/?p=498286

No comments:

Post a Comment