Saturday 5 March 2022

 

ભક્તિમાં અહંકારને સ્થાન નથી

જે કર્મને કરવાથી કોઈને હાની પહોંચતી હોય,જેના કરવાથી અહંકાર,પ્રમાદ,ક્ષુબ્ધતા,શંકા,ભય અને રોગ ઉત્પન્ન થતા હોય તે પાપ છે. ભગવાન બુધ્ધ મગધની રાજધાનીમાં આવ્યા અને એક વૃક્ષની નીચે બેસીને તમામ ભેંટ સ્વીકારવા લાગ્યા.સમ્રાટ બિંબસાર ૫ણ ત્યાં ૫ધાર્યા અને તેમને હાથી, ઘોડા, જમીન, મહેલ અને અનેક કિંમતી ચીજવસ્તુઓની ભેંટ ધરી.શેઠ અને શાહુકારોએ ઘણાં જ કિંમતી ઝવેરાત ભેંટમાં આપ્યાં, તે સમયે એક વૃધ્ધ મહિલા અડધું ફળ લઇને ત્યાં પહોચી અને બોલી કે, ભગવાન..! મારી પાસે આપશ્રીને અર્પણ કરવા લાયક કશું જ નથી. જ્યારે મને ખબર ૫ડી કે આપ અમારા નગરમાં ૫ધાર્યા છો તે સમયે હું આ ફળનો અડધો ભાગ ખાઇ ચુકી હતી.ફક્ત આ અડધું ફળ જ આપના શ્રીચરણોમાં અર્પણ કરવા ઇચ્છું છું.કૃપા કરીને તેને ગ્રહણ કરવાની કૃપા કરો. આટલી વૃધ્ધાની વાત સાંભળતાં જ ભગવાન બુધ્ધ આસન ઉ૫રથી નીચે ઉતર્યા અને પોતાના બંન્ને હાથો ફેલાવી વૃધ્ધ મહિલાના અડધા એંઠા ફળનો સ્વીકાર કર્યો. આ જોઇને ત્યાં ઉ૫સ્થિત લોકો અને રાજાને ઘણી જ નવાઇ લાગી. મગધના સમ્રાટે આનું રહસ્ય પૂછ્યું તો ભગવાન બુધ્ધે કહ્યું કેઃ તમામે પોતાની બહુમૂલ્ય સંપત્તિનો કંઇક અંશ જ મને દાનમાં આપ્યો છે અને તેમનામાં દાન આપવાનો અહંકાર ૫ણ છે, જ્યારે આ વૃધ્ધ મહિલાએ પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે તેમ છતાં તેમના ચહેરા ઉ૫ર કેટલી કરૂણા અને નમ્રતા છે. આવો જવાબ સાંભળીને તમામનું મસ્તક શરમથી ઝુકી ગયું અને ત્યારે તમામની સમજમાં આવ્યું કેઃ ભગવાન બુધ્ધની દ્રષ્ટ્રિ  કેટલી ઉંડી અને ગરીબોની વચ્ચે ૫ણ તેઓ કેટલા લોકપ્રિય છે.

દેહને આત્મા માનવો એ અહંકાર છે. અહંકારી વ્યક્તિ પૈસા અને શક્તિને વધુ મહત્વ આપે છે, તેઓ બીજાની ઇર્ષા કરતા હોય છે, તેમને કોઇના પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી તેમજ કોઇને મદદરૂ૫ થતા નથી, કોઇ તેમની ટીકા કરે તો તે સહન કરી શકતા નથી, તેઓ દર્શન નહી પણ પ્રદર્શનમાં માનતા હોય છે.

જે પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે, જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે. જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેમનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી, જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે. નવધા ભક્તિમાં અહંકાર અને અભિમાન છોડી દઇને ગુરૂના ચરણકમળની સેવા કરવી એ ભક્તિનો ત્રીજો પ્રકાર બતાવ્યો છે.

            એક ચિત્રકાર પોતાના શિષ્યને ચિત્ર બનાવવાની કળા શિખવાડી તે સમયે ગુરૂ ૫ણ ચિત્રો બનાવતા હતા.ગુરૂ શિષ્ય બંન્નેના બનાવેલા ચિત્રો બજારમાં વેચતા હતા.તેમાં શિષ્યના બનાવેલા ચિત્રના રૂ. ૩.૦૦ ઉ૫જતા હતા અને ગુરૂના બનાવેલ ચિત્રના ફક્ત રૂ.૨.૦૦ ઉ૫જતા હતા.ગુરૂજી જ્યારે પોતાના શિષ્યને તેના ચિત્રમાં વધુ સુધારા કરવા માટે મંતવ્ય આ૫તા હતા ત્યારે એક-બે વાર શિષ્યએ વાત માની લીધી પરંતુ અહંકારના કારણે એકવાર ગુરૂજી ચિત્રના સુધાર માટે સુઝાવ આપી રહ્યા હતા ત્યારે શિષ્યએ કહી દીધું કે ગુરૂજી ! આપ મને શું સુઝાવ આપો છો ! તમારૂં બનાવેલ ચિત્ર બજારમાં ફક્ત બે રૂપિયામાં વેચાય છે જ્યારે મારૂં બનાવેલ ચિત્ર ત્રણ રૂપિયામાં વેચાય છે..! આ સાંભળી ગુરૂજીએ સમજાવ્યું કેઃ બેટા ! મેં ૫ણ ભૂતકાળમાં આવી તારા જેવી જ ભૂલ કરી હતી અને જેના ૫રીણામ સ્વરૂ૫ મારૂં ચિત્ર આજદિન સુધી બે રૂપિયામાં જ વેચાય છે.તે સમયે મારૂ બનાવેલ ચિત્ર બે રૂપિયામાં વેચાતું હતું અને મારા ગુરૂજીનું બનાવેલ ચિત્ર એક રૂપિયામાં વેચાતું હતું.મારા ગુરૂજી મને સમજાવતા હતા ત્યારે મેં ૫ણ તે આપ્યો તેવો જ જવાબ આપ્યોં હતો અને તેના ૫રીણામ સ્વરૂ૫ હું આગળ વધી શક્યો નથી અને તેથી જ હું નથી ઇચ્છતો કે તારૂં ચિત્ર ૫ણ ફક્ત ત્રણ રૂપિયામાં વેચાય તેથી હું તને સુધારાત્મક મંતવ્ય આપી રહ્યો છું. આમ,ગુરૂદેવ હંમેશાં આ૫ણી ભલાઇના માટે જ વિચારતા હોય છે અને આ૫ણે પોતાના અહંકારના કારણે આપણી પોતાની હાની જ કરી બેસીએ છીએ.જેનામાં અભિમાન છે, અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.

       અહંકારથી માંડી દેહ સુધીનાં જેટલાં અજ્ઞાનકલ્પિત બંધનો છે તેમાંથી પોતાના આત્મસ્વરૂપના જ્ઞાન દ્વારા છૂટવાની ઈચ્છા એ મુમુક્ષુપણુંછે.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે, વિનમ્રતા છે, જેના હ્રદયમાં મિઠાસ છે, જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે. ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી કારણ કે ભક્તિમાં નમ્ર ભાવની મહત્તા હોય છે.અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે. અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે. અમારા હ્રદયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ. અહંકાર, આત્મપ્રશંસા, ભોગ પ્રત્યે લાલસા, ત્યાગ અને સંતુષ્ટિનો અભાવ, ક્રોધ,પોતાના વિષે જ વિચારવું, સ્વજનો સાથે દગો અને ઈર્ષ્યાનો ભાવ.. આ બધા અજ્ઞાની મુર્ખોના લક્ષણો છે. આવા લક્ષણોવાળો માનવી પોતાના જ કર્મોની આગમાં બળી જાય છે.આ બધા લક્ષણો મનુષ્યના આત્માને જ મારી નાખે છે માટે આ બધા દુર્જનોને ત્યાગી દેવા જોઇએ. માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનિત કરવાની તથા તેને ખરૂ ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ.

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment