Sunday 23 July 2017

શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.



શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.

ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્‌ !
ઉર્વારૂકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત !!
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્
શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.ભગવાન શિવ જ્ઞાનનું રૂપક અને ભગવાન વિષ્ણુએ પ્રેમનું રૂપક છે.જગતમાં જ્ઞાન વગરનો પ્રેમ અને પ્રેમ વગરનું જ્ઞાન બંને અધૂરા છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહેલી છે.
ભગવાન શિવ બરફ આચ્છાદિત ધવલ શિખર ૫ર બેઠા છે.જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઇએ.ચારિત્ર્યની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી.ભલે વિદ્યાથી અલંકૃત હોય તો ૫ણ દુર્જન માણસનો ત્યાગ કરી દેવો જોઇએ.જ્ઞાની માણસ વિચારનો તેમજ  આચારનો સજ્જન હોવો જોઇએ.જ્ઞાન વાણીવિલાસના માટે નહી ૫રંતુ ચારિત્ર્ય ઘડતર માટે હોવું જોઇએ.
ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતા પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છતાં સૌમ્ય છે, અકિંચન હોવા છતા પણ સર્વેશ્વર છે.
માનવીની દ્રષ્ટિના સારા ખરાબ બનાવોનું મૂલ્યાંકન જગત સાથે રાખી કરે છે. ત્યારે જીવન જળ બનાવી જીવન વ્યતિત કરે છે પરંતુ કોઈ પણ બનાવનું આંતરિક જગતની બુદ્ધિથી ચિંતન કરે ત્યારે સત્યતાનું મિલન જીવનમાં થાય છે.
ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમના આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શિતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ,સિંહ,મયૂર અને સર્પ વેર ભૂલાવી એકબીજા સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.
ભગવાન શિવ દિગંબર છે.સમગ્ર સૃષ્‍ટ્રિને આવરીને ૫ણ જે શેષ રહે એવા એ પ્રભુ ૫રમાત્મા તત્વને કોન આવૃત કરી શકે ? ઉચ્ચ વિચારો,કલ્પનાઓ કે ભાવનાઓને જેને જીવનમાં સાકારીત કરવી હોય તેમને સાદું જીવન જીવવું જોઇએ.
        પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્‍મભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્‍ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્‍ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ..
        શિવનો અર્થ છેઃ કલ્યાણ..તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો..તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે.શરીર નંદીની જેમ આત્માભિમુખ બને..શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ..સ્થિર તથા દ્રઢ રહીએ..એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્‍મ શરીરનું એટલે કેઃમનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે..આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે,એટલે કેઃ મનની ગતિ..વિચારોનો પ્રવાહ..ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે..ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે..શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..કૂર્મનું આ પ્રતીક સમજાવે છે કે શિવ પાસે જતાં પૂર્વે જીવોએ પોતાનું જીવન સંયમી બનાવવું જોઈએ અને ઇન્દ્રિયોને વિષયોના ગુલામ બનતી અટકાવવી જોઈએ.
નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે.
ગણેશ અને હનુમાન..ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કેઃકલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.
ગણેશનો આદર્શ છેઃબુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો..એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે.જેમકેઃ
અંકુશ- સંયમ..આત્મ નિયંત્રણનું..
કમળઃ-એ પવિત્રતા,નિર્લે૫તાનું..
પુસ્તકઃ- એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા
મોદક(લાડું) - એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.
હનુમાનજીનો આદર્શ છેઃ વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે..અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્‍ત થાય છે.ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્‍તિ થાય છે,પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્‍ત થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કેઃ હું મોટો છું..શ્રેષ્‍ઠ છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે..આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે,એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે.મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે..તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્‍મ જગત બહાર જ છુટી જાય છે,ત્યાર પછી પોતાનામાં કારણ જગતની..આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે..તે અવર્ણનીય છે..શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
        શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી..તપસ્વી..અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.ભસ્મ ચિત્તાભસ્મલે૫, આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
        ત્રિદલ..બિલિપત્ર..ત્રણ નેત્ર..ત્રિપુંડ..ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ - આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે.ત્રિકાય..ત્રિલોક..ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સ્થાનમાં ત્રિકુટી..સહસ્ત્રચક્ર.. સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ..બ્રહ્મ કલશ..આજ્ઞા ચક્ર..શિવ પાર્વતી યોગ - જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્‍તિની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્‍ય દર્શન..અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.ભગવાન શિવનું ત્રિનેત્રધારી છે.ત્રીજા નેત્ર દ્વારા શિવે કામદહન કર્યું હતું. ભગવદ્ગીતામાં કહે છે કે ज्ञानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुतेतथा એટલે કે કર્મનું બીજ કામના છે તેથી કામના રૂપી વાસના બળી ગયા પછી જીવોને કર્મો કનડતા નથી. આથી જ શિવ કહે છે કે સાચો જ્ઞાની એ છે કે જે પોતાના જ્ઞાનથી કામના રૂપી વાસનાને બાળી નાખે છે. 
શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે,તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે.ત્રિદેવ એટલે બ્રહ્મા-વિષ્‍ણું-મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છેઃઅ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
શિવજી ત્રિનેત્ર છે.સાચા જ્ઞાની ૫ર કામના પ્રહારની અસર થતી નથી,સાચો જ્ઞાની પોતાના જ્ઞાનાગ્નિથી કામનાઓને બાળી દે છે.કામના દૂર થયા બાદ કરેલાં કર્મો બાધક નિવડતાં નથી.કર્મનું બીજ કામના છે,તે બળી ગયા બાદ કર્મો માણસને નડતાં નથી.જ્ઞાનીએ પ્રેમની નજરથી સૃષ્‍ટ્રિની તરફ જોવું જોઇએ.પ્રેમ વગરનું કોરૂં જ્ઞાન જીવનને નિરાનંદી બનાવે છે.
        વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ..શંખ.. ઘંટ..ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કેઃ આત્મસ્થ રહેવું..બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે..તે જ્ઞાન ગંગા છે.સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી..ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા.. જેની બ્રહ્મા-વિષ્‍ણું-મહેશ ઉપાસના કરે છે.જલધારી જીવોને સતત સત્કર્મ માટે કર્મશીલ બની રહેવાનુ સૂચન કરે છે
શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.આમાં સંકેત એ છે કેઃએવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.પ્રેરણા-સહયોગિની છે.
        શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્‍યનું પ્રતિક છે.શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્‍યની તરફ જ ગતિ કરે છે,તેનું લક્ષ્‍ય ધ્રુવની જેમ અવિચલ રહે છે.કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે..તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ..ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ.જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.
આમ,શિવાલય સ્થિત આ પ્રતિકો..ચિન્હોના તત્વ રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના..વગેરેની યથાર્થ સાર્થકતા છે.
ભગવાન શિવનું નિવાસ સ્થાન સ્મશાન એ સામાન્ય માનવને મૃત્યુનો ડર દૂર કરનારૂં છે.જેને સમાજ નકારે છે તેવી વસ્તુઓએ સ્વીકારી ભગવાન શિવ દર્શાવે છે કે દોષથી ભરેલ જે કોઈ વસ્તુ કે જીવ મારી પાસે ભાવથી આવે છે તેમના દોષને હું નથી જોતો હું બસ તેને અપનાવી લઉં છુ.
આકાર અને નિરાકાર વચ્ચેનો અદ્રશ્ય છતાં અતૂટ સેતુ એટલે જીવ અને શિવનું મિલન.શિવમાંથી છુટો પડેલો જીવ ફરી પાછો શિવમય બની શકે છે.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ એમ.માછી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
Join me
@
forangelsonly

No comments:

Post a Comment