Saturday 7 September 2013

ગંગાસતીનાં ભજન



ગંગાસતીનાં ભજન
વીજળીને ચમકારે

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી વીજળીને ચમકારે
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કેવાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી વીજળીને ચમકારે
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી વીજળીને ચમકારે
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરૂ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી વીજળીને ચમકારે

મેરુ તો ડગે

મેરૂ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.... મેરૂ....
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી,
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી... મેરૂ....
હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી... મેરૂ....
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી... મેરૂ....
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે.... મેરૂ....
સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી.... મેરૂ.....

એટલી શિખામણ દઈ
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું છે પ્રસન્ન રે...એટલી...
ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું >ને લાગી સમાધિ અખંડ રે,
મહાદશ પ્રગટાવી તે ઘડી ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે...એટલી....
બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો, ને અરસપરસ થયા એકતાર રે..એટલી....
નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું, ને મળી ગયો હરિમાં તાર રે...એટલી....
ઊલટ સમાવ્યો સૂલટમાં
ઊલટ સમાવ્યો સૂલટમાં ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા ને હરિ જોયા અખંડ સુન માંય રે ... ઉલટ.
આવરણ મટી ગયા ને હવે થયો છે આનંદ રે,
બ્રહ્મ ભાળ્યા એક તારમાં ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે ... ઉલટ.
અવિનાશી મેં અખંડ જોયા ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે ... ઉલટ.
અવાચ પદ અખંડ અનામી ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે ... ઉલટ.
અસલી જે સંત હોય તે
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત
અમરીયા બની જે નિતનિત ખેલે રે મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.

જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત
મનથી રે રાજી તમે એમ જ રહેજો તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે...
અભ્યાસ જાગ્યા પછી....
તીરથ વ્રત પછી કરવા નહીં ને કરવા નહીં સતગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ...
અભ્યાસ જાગ્યા પછી....
હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પર પંથથી રહેવું દુર રે,
મોહ તો સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર રે...
અભ્યાસ જાગ્યા પછી....
મંડપને મેલા પછી કરવા નહીં એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા બાળવા હોય પરિપૂર્ણ રાગ રે....
અભ્યાસ જાગ્યા પછી....

અંત:કરણથી પૂજાવાની આશા
અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે ...
અંતઃકરણથી...
અંતર નથી જેનું ઉજળું,ને જેને મોટાપણું મનમાંય રે,
તેને બોધ નવ દીજીએ ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ...
અંતઃકરણથી....
શઠ નવ સમજે સાનમાં ને ભલે કોટિ ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને એવાની અંતે ફજેતી થાય રે ...
અંતઃકરણથી....
એવાને ઉપદેશ કદી નવ દેવો ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,એવાનો કરવો નહિ ઈતબાર રે ...
અંતઃકરણથી....
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા
ને એ જવાનું લેવું નહિ નામ રે ... દળી દળીને.
સેવા કરવી છેલ્લા જનમવાળાની
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું
ને તો મેળવવો વાતનો એકતાર રે .... દળી દળીને.
વિષયવાળાને આ વાત ન કહેવી,
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે,
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે ... દળી દળીને.
ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે ... દળી દળીને.
ઝીલવો જ હોય તો રસ
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે
એ તો પુરણ અધિકારીને ઠેરાશ ... ઝીલવો જ હોય
માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ
જુઓને વિચારી તમે મનમાં,
દૃશ્ય પદારથ નથી રે'વાનું પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં ... ઝીલવો જ હોય.
આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય.
કોટિ કે જનમની મટાડો કલ્પના ત્યારે,
જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય.

દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.
જીવ ને શિવની થઈ એકતા
જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.
તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
>
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.
મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.
સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.
છૂટાં છૂટા તીર અમને મારો મા
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર
બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે ...  છૂટાં છૂટાં તીર
બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર
ચક્ષુ બદલાણી ને
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.
નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.
અવિગત અલખ અખંડ અવિનાશી રે અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.
ઉપદેશ મળી ગયો ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,ભલે હોય શ્રીમંત કે ભૂપ રે…. કુપાત્રની પાસે ..
ભજની જનોએ ભક્તિમાં રેવું ને,કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,બાંધવા સૂરતા કેરા તાર રેકુપાત્રની પાસે
ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,રાખવો રે એમાં ઘણો સ્નેહ રેકુપાત્રની પાસે
સંશય ટળે ને મનડું ગળે ને રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં એવાને દેખાડવો હરિનો દેશ રેકુપાત્રની પાસે
ગુપત રસ આ જાણી લેજો
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ ! જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,ને સેજે સંશય બધા મટી જાય...ગુપત.
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,જેથી જનમ મરણ સહેજે મટી જાય...ગુપત.
પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,ભાવ કભાવ મનમાં નહિ થાય...ગુપત.
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,વરસાવો નિર્મળ નર...ગુપત.
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે...ગંગા સતી
અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે... ગંગા સતી
જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,મળી ગયો તુરિયામાં તાર રે....ગંગા સતી
ત્યાં તો એટલામાં અજુભા આવ્યા તેને કરાવ્યો સત્સંગ રે,
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે હવે કોણ ચડાવે પુરણ રંગ રે...ગંગા સતી
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે..
ભજની જનોએ ભક્તિમાં રેવું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે કુપાત્રની પાસે
ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે કુપાત્રની પાસે
સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે કુપાત્રની પાસે
કળજુગ આવ્યો હવે કારમો
કળજુગ આવ્યો હવે કારમો રે,
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે,
રહેશે નહિ તેની મર્યાદ .... કળજુગ.

ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે,
ને રહેશે નહિ આત્મ ઓળખાણ ... કળજુગ.
વિષયના વેપારમાં ગુરુજીને વામશે,
જૂઠાં હશે નર ને નાર,
આડ ધરમની ઓથ લેશે,
પણ રાખે નહિ અલખ ઓળખાણ ... કળજુગ.
એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર .... કળજુગ.
સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે કરજો સાચાનો સંગ ... કળજુગ.
ધ્યાન ધારણા કાયમ રાખવી
ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું,
વિશેષ રાખવો ઉલ્લાસ રે ... ધ્યાન.
ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ ન રહેવું,
ને ભલે કબજે કર્યું પોતાનું મન રે ... ધ્યાન.
આઠે પહોર રે'વું આનંદમાં,
જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નીમ રે ... ધ્યાન.
નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દુજો રંગ રે ... ધ્યાન.
પી લેવો હોય તો રસ પી લેજો
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે .... પી લેવો હોય
જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે ... પી લેવો હોય
આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે .... પી લેવો હોય
વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ
મન મેલીને થાઓ હોંશિયાર રે,
ગંગા સતી એમ બોલિયા રે
હેતના બાંધો હથિયાર રે .... પી લેવો હોય
પરિપૂર્ણ સતસંગ
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે ... પરિપૂર્ણ.
નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે ... પરિપૂર્ણ.
સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ.
મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ.
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં
ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં
રંગ ને રૂપમાં રમવું નહીં
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું
ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં
દાતા ને ભોક્તા હરિ એમ કહેવું
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં
અભ્યાસી થઈને પાનબાઈ એવી રીતે રહેવું
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં
હેઠા ઊતરીને પાસ લાગ્યા
હેઠા ઊતરીને પાસ લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે હેઠા.
અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે હેઠા.
સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે હેઠા.
સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે'ર રે હેઠા.
માણવો હોય તો રસ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે'વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે'ણી પાળવા હેતથી હાલો ... માણવો.
રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે'ણી થકી રોમરોમ ભીંજાય,
રે'ણી થકી રસ શરીરમાં પરવરે,
રે'ણી થકી ઉગાવો જોને થાય ... માણવો.
રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે'ણી થકી અમર જોને થવાય,
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે'ણી થકી પાર પોગી જોને જવાય ... માણવો.
રે'ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે'ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે'ણી પાળ્યેથી આનંદ વરતાય ... માણવો.
મનડાને સ્થિર કરે
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે ... મનડાને.
અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે...
સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી
વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી .... મનડાને સ્થિર
મનડાને સ્થિર કરી
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી ... મનડાને.
સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે'વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી ... મનડાને.
કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી ... મનડાને.
ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ,
વિપરીત થાશે નહીં ચિત્ત જી ... મનને.
મન વૃત્તિ જેની સદાય નીર્મળ
મન વૃત્તિ જેની સદાય નીર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ....
પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે .... મન વૃતિ જેની
અંતર કેરી આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું ભાન .... મન વૃતિ જેની
હાનિ અને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગા સતી જોને એમ જ બોલિયા
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે .... મન વૃત્તિ જેની
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવી
કર જોડી લાગવું પાય રે .... ભક્તિ રે કરવી એણે
જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિરમાણ રે ... ભક્તિ રે કરવી એણે
પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે ... ભક્તિ રે કરવી એણે
ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે .... ભક્તિ રે કરવી એણે
વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં,
ને સુરતા લગાવી ત્રાટક માંય રે;
સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,
ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે ... વચન.
ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે,
ને જમાવી આસન એકાંત માંય,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયો,
ને વરતે છે એવાં વ્રતમાન રે ... વચન.
ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,
ને તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે,
ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો,
ને પ્રકટ્યું નિર્મળ જ્ઞાન રે
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કીધો વાસનાનો સર્વ ત્યાગ રે ... વચન.
વચન વિવેકી જે
વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથાર્થ વચનની સાન જેણે જાણી રે
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે પાનબાઈ,
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એક મના થઈને આરાધ કરે તો,
નકળંક પ્રસન્ન થાય રે... વચન વિવેકી.
વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ!
વચને મંડાય પ્રભુનો પાઠ,
વચન ન પૂરાય તે તો નહિ રે અધૂરો,
વચનનો લા'વે જોને ઠાઠ રે ... વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
કરવો વચન વાળાનો સંગ રે ... વચન વિવેકી.
લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં
ને મૂકીને બતાવો અપાન રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે રે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો
પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ નહીં બોલવું નહીં ને
ધારણા રે રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો
આહાર તો સર્વે સદગુણી કરવો
ને રૂડી રે પાળવી રીત રે
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પૂરણ રીત રે ... લાભ જ લેવો હોય તો
ખટમાસ એકાંતમાં આસન જીતવું બાઈ
ત્યારે અડધો યોગ કહેવાય રે,
ગંગા સતી તો એમ રે બોલિયા
પછી અભ્યાસ વધતો જોને જાય રે .... લાભ જ લેવો હોય તો
યોગી થવું હોય તો
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાવના હોય તો હિંમત રાખો,
ને જેનો પરિપૂર્ણ સરવમાં વાસ રે ... યોગી.
રજોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણોનો નાશ રે ... યોગી.
સત્વગુણમાં ભેદ છે મોટો,
ને એક શુદ્ધ બીજો મલિન કે'વાય
મલિન ગુણોનો ત્યાગ કરવો,
ને પરિપૂર્ણ યોગી થાય રે ... યોગી.
વિદેહદશા તેહની પ્રગટે તેથી,
ત્રણ ગુણોથી થયો પાર રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂર્યાતિતમાં તાર રે ... યોગી.
શીલવંત સાધુને વારે વારે નમીએ
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેના બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે
જેને મહારાજ થયાં મહેરબાન રે .... શીલવંત સાધુને
શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને
પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે,
મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે
એવી રૂડી પાળે જોને રીત રે .... શીલવંત સાધુને
આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને
એનાં જાગી ગયો તુરિયનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને
સદાય ભજનનો જેને આરત રે ... શીલવંત સાધુને
સંગત તમે જ્યારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવ પાર રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
દેખાડે હરિ કેરા દ્વાર .... શીલવંત સાધુને
વીણવો હોય તો રસ
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત;
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ ... વીણવો.
આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,
કોઈને કહ્યો નવ જાય;
એ રસ હું તમને બતાવું પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય .... વીણવો.
આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી પાનબાઈ!
ત્યારે લેર સમાય ... વીણવો.
આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે, ત્યાં તો
નિરખ્યા ત્રિભુવનનાથ ... વીણવો.
વિવેક રાખો તમે સમજી ચાલો
વિવેક રાખો તમે સમજી ચાલો,
ને વસ્તુ રાખો ગુપત રે
મુખના મીઠા ને અંતરના ખોટા,
ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે ... વિવેક.
અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રે'ણી નહીં લગાર રે,
વચન લંપટ ને વિષય ભરેલા
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે ... વિવેક.
અહંતા મમતા આશા ને અન્યાય
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા,
ને પોતાની ફજેતી થાય રે .... વિવેક.
દાઝના ભરેલા ન દુબજામાં પુરા,
ને નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલ્યાં
ને તમે એવાથી પામજો ત્રાસ રે ... વિવેક.
વસ્તુ વિચારીને દીજીએ
વસ્તુ વિચારીને દીજીએ
જોજો તમે સુપાત્ર રે,
વરસા સુધી અધિકારીપણું જોવું
ને ફેર ન રહે અણુમાત્ર રે ... વસ્તુ.
ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,
ગુરુજીના વચનમાં આનંદ પામે
જે આવી લાગે એને પાય રે ... વસ્તુ.
એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,
ને તેને કરજો ઉપદેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એને વાગે નહિ કઠણ વચનો લેશ રે ... વસ્તુ.
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે ... સ્થિરતાએ.
આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે ... સ્થિરતાએ
લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે ... સ્થિરતાએ.
ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે ... સ્થિરતાએ.
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે
ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે
વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેલવી રે
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે
વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે બીજું કાંઈ ન રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે .... સાનમાં રે
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે .... સર્વ ઈતિહાસનો
પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ... સર્વ ઈતિહાસનો
શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે .... સર્વ ઈતિહાસનો
ભક્તિ વિના પાનબાઈ, ભગવાન રીઝે નહીં
ભલે કોટિ રે કરે ઉપાય રે,
ગંગા સતી તો એમ જ બોલિયા
આપદા ભક્તિ વિના નવ જાય રે ... સર્વ ઈતિહાસનો
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે .... સરળ ચિત્ત રાખી
રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે .... સરળ ચિત્ત રાખી
ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું રસમાણ રે .... સરળ ચિત્ત રાખી
નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગા સતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે .... સરળ ચિત્ત રાખી
સદગુરુના વચનના થવા અધિકારી
સદગુરુ વચનના થવા અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે ... સદગુરુના.
અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
હીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાશે આપોઆપ રે ... સદગુરુના.
સત્સંગ રસ એ તો અગમ અપાર છે,
>
તે તો પીવે કોઈ પીવનહાર,
તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે ... સદગુરુના.
ધડ રે ઉપર જેને શીશ નવ મળે
એવો ખેલ છે ખાંડા કેરી ધાર,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે ... સદગુરુના.
હું અને મારું ઈતો મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે ... સદગુરુના.


No comments:

Post a Comment