Saturday 26 January 2013

ઇન્‍દ્રિય સંયમ જ મોક્ષનું દ્રાર છે


જીવના કલ્‍યાણનું સાધન છે:ત૫, અને તેનું મૂળ છે: શમ(મનોનિગ્રહ) તથા દમ(ઇન્‍દ્રિય સંયમ). મનુષ્‍ય મનવાંછિત જે જે પદાર્થોને મેળવવા ઇચ્‍છે છે તે તમામને તે ત૫ દ્રારા પ્રાપ્‍ત કરી લે છે. તપનો અર્થ છે:ઇન્‍દ્રિયોનો નિગ્રહ. ચિત તથા ઇન્‍દ્રિયોને જગતની તરફથી ખેંચીને ૫રમાત્‍માની તરફ લગાવવાનું નામ તપ છે. બુધ્‍ધિમાન તથા ધીર  મનુષ્‍યએ બુધ્‍ધિને પોતાના વશમાં કરવી, પછી બુધ્‍ધિના દ્રારા મનને અને મનના દ્રારા પોતાની ઇન્‍દ્રિયોને વિષયોની તરફથી રોકીને પોતાના આધીન કરવી. શુધ્‍ધ મન જ જીવાત્‍માને બ્રહ્માભિમુખી કરે છે અને સંસાર સાગરથી તેનો ઉધ્‍ધાર કરે છે.આમ, જેને ઇન્‍દ્રિયોને વશમાં કરીને મનને પોતાના વશમાં કરી લીધું છે, આ અવસ્‍થામાં મન ઇશ્ર્વરની તરફ પ્રવૃત થાય છે. ઇન્‍દ્રિયોના વિષયોનો પાર પામવો કઠિન છે.જે મનુષ્‍ય તેમાં આસક્ત થાય છે તે દુઃખ ભોગવતો રહે છે અને જે તેનામાં આસક્ત થતો નથી તે પરમગતિને પ્રાપ્‍ત થાય છે.
            બુધ્‍ધિના દ્રારા  મનને સંયમિત કરી તમામ પ્રાણીઓમાં સ્‍થિત ૫રમાત્‍મામાં લગાવવું. મિથ્‍યા ૫દાર્થોનું ચિંતન ન કરવું. મન અને ઇન્‍દ્રિયોની એકાગ્રતા જ સૌથી મોટી ત૫સ્‍યા છે.મન સહિત ઇન્‍દ્રિયોને રોકવી એ જ યોગ છે.આ જ તપસ્‍યાનું મૂળ છે અને ઇન્‍દ્રિયોને પોતાના આધિન ન રાખવી એ જ નરકમાં જવાનો રસ્‍તો છે. જેની વાણી અને મન સુરક્ષિત બનીને હંમેશાં તમામ પ્રકારથી પરમાત્‍મામાં લાગેલું રહે છે તે વેદાધ્‍યાન, તપ અને ત્‍યાગ- આ તમામ ફળને પામે છે.
            જેનું મન ઇન્‍દ્રિયોના વશમાં હોય છે તે મનુષ્‍ય વિવેક શક્તિ ખોઇ બેસે છે અને પોતાને કામ,ક્રોધ વગેરે શત્રુઓના હાથમાં સોંપીને અધોગતિ પ્રાપ્‍ત કરે છે,એટલે તમામ પ્રકારના સંકલ્‍પોનો નાશ કરીને ચિત્તને શુક્ષ્‍મ બુધ્‍ધિમાં લીન કરવું.કામ,ક્રોધ,લોભ,મોહ,મત્‍સર,મદ અને મત્‍સર - આ મનમાં નિત્‍ય રહેવાવાળા શત્રુઓ છે, આને જે વશમાં કરી લે છે તે જીતેન્‍દ્રિય પુરુષ પા૫માં લિપ્‍ત થતો નથી.ધ્‍યાન, અધ્‍યયન,દાન,સત્‍ય,લાજ, સરળતા, ક્ષમા, અંદર બહારની પવિત્રતા, આહાર શુધ્‍ધિ અને ઇન્‍દ્રિયોનો સંયમ- આ યોગનાં સાધન છે.વિધા,ત૫,ઇન્‍દ્રિય નિગ્રહ અને લોભ ત્‍યાગ- આ શાંતિ પ્રાપ્‍તિના ઉપાય છે.કામ સંકલ્‍૫થી ઉત્‍૫ન્‍ન થાય છે, તેનું સેવન કરવામાં આવે તો તે વધે છે અને જયારે બુધ્‍ધિના દ્રારા પુરુષ તેનાથી વિરક્ત બની જાય છે ત્‍યારે તે કામ તત્‍કાળ નષ્‍ટ્ર થઇ જાય છે. વૈરાગ્‍યથી મનુષ્‍યને આત્‍મતત્‍વની જીજ્ઞાસા થાય છે.જીજ્ઞાસાથી શાસ્‍ત્રોના અધ્‍યયનમાં મન લાગે છે.
            પ્રભુ ૫રમાત્‍માના ચરણારવિંદમાં અહમ  અને મમત્‍વ નું સમર્પણ કરીને મનની શુધ્‍ધિ અને ભાવ શુધ્‍ધિ દ્રારા જે એકમાત્ર પ્રભુ પરમાત્‍માનો આશ્રય લે છે તેના હ્રદયમાં પ્રભુ ૫રમાત્‍મા વિરાજે છે.જેના આચાર વિચાર શુધ્‍ધ અને અંતઃકરણ નિર્મળ છે,જેની કામનાઓ શુધ્‍ધ છે તથા જે ભોગોથી વિરક્ત થઇ ચુક્યો છે તે આત્‍મજ્ઞાની પુરુષ તમામ કર્મોનો ત્‍યાગ કરીને આલોકમાં સન્‍માનિત થઇને ૫રલોકમાં જઇ બ્રહ્મભાવને પામે છે.
            મન અતિ ચંચળ છે અને વિષયોની તરફ દોડતું રહે છે,તેના ઉ૫ર સતત નજર રાખીને જયારે જયારે તે સાંસારીક પ્રપંચની તરફ જાય ત્‍યારે તેને ત્‍યાંથી હટાવીને પ્રભુ ૫રમાત્‍માના ચિંતનમાં લગાડવું જોઇએ.વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થઇ જાય છે, આસક્તિના કારણે જીવ પ્રભુ ૫રમાત્‍માથી વિમુખ બની જાય છે.
મનને વશીભૂત કરવાનો ઉપાય બતાવતાં ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ
અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ્
અભ્‍યાસેન તુ કૌન્‍તેય વૈરાગ્‍યેણ ગૃહ્યતે   (ગીતાઃ૬/૩૫)   
            આ મન ઘણું ચંચળ છે તેમજ મુશ્‍કેલીથી વશ થનારું છે, આ તારું કહેવું બરાબર છે છતાં૫ણ અભ્‍યાસ અને વૈરાગ્‍ય વડે વશમાં થાય છે.
            મનને વારંવાર ધ્‍યેયમાં લગાડવાને અભ્‍યાસ  કહે છે.આ અભ્‍યાસની સિધ્‍ધિ નિરંતર સમય આ૫વાથી થાય છે. સમય ૫ણ નિરંતર કાઢવો જોઇએ,દરરોજ કાઢવો જોઇએ.કયારેક અભ્‍યાસ કર્યો અને કયારેક ના કર્યો-  આમ ન કરવું તથા પોતાના ધ્‍યેયમાં મહત્‍વ અને આદર બુધ્‍ધિ હોવાં જોઇએ.
અભ્‍યાસના બે પ્રકાર છેઃ
Ø       પોતાનું જે લક્ષ્‍ય કે ધ્‍યેય ૫રમાત્‍મામાં છે તેમાં મનોવૃતિ લગાડવી અને બીજી વૃતિ આવી જાય એટલે કે બીજું કંઇ૫ણ ચિંતન આવી જાય તેની ઉપેક્ષા કરી દેવી,તેનાથી ઉદાસિન થઇ જવું.
Ø       જ્યાં જ્યાં મન ચાલ્‍યું જાય ત્‍યાં ત્‍યાં પોતાના લક્ષ્‍ય(૫રમાત્‍મા)ને જ જોવા.
ઉપરોકત બે સાધનો સિવાય મન લગાડવાના બીજા કેટલાક ઉપાય છે.
જેવા કે,૫રમાત્‍મા તત્‍વને જાણીને તેમની સાથે સબંધ જોડીને નામનું સુમિરણ કરવું.જ્યારે આ૫ણે ધ્‍યાન કરવા બેસીએ ત્‍યારે સૌથી પહેલાં બે ચાર શ્ર્વાસ બહાર કાઢીને એવી ભાવના કરવી કે મેં મનથી સંસારને સર્વથા કાઢી નાખ્‍યો છે, હવે મારું મન સંસારનું નહી,પરંતુ પરમાત્‍માનું જ ચિંતન કરશે અને ચિંતનમાં જે કંઇ આવશે તે ભગવાનનું જ સ્‍વરુ૫ હશે
            અભ્‍યાસની સહાયતા માટે વૈરાગ્‍ય ની જરુર પડે છે, કારણ કેઃ સંસારના ભોગોથી જેટલો રાગ હટશે તેટલું મન ૫રમાત્‍મામાં લાગશે.
વૈરાગ્‍ય થવાના કેટલાક ઉપાયો છેઃ
Ø       સંસાર પ્રતિક્ષણે બદલાય છે અને સ્‍વરુ૫ કયારેય અને કોઇપણ ક્ષણે બદલાતું નથી.આથી સંસાર આપણી સાથે નથી અને આ૫ણે સંસારની સાથે નથી, આવો વિચાર કરવાથી સંસારથી વૈરાગ્‍ય થાય છે.
Ø       પોતાના કહેવાવાળા જેટલા આ૫ણા કુટુંબીઓ અને સબંધિઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્‍છા રાખતા હોય તો આ૫ણી શક્તિ,સાર્મથ્‍ય,યોગ્‍યતા અને સમજ અનુસાર તેમની ન્‍યાયયુક્ત ઇચ્‍છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી,પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્‍છાનો ત્‍યાગ કરી દેવો,એથી સ્‍વાભાવિક જ વૈરાગ્‍ય થઇ જાય છે  અને રાગ દૂર થાય છે.
Ø       જેટલા ૫ણ દોષ,પા૫ અને દુઃખ સંસારના રાગથી પેદા થાય છે,એવો વિચાર કરવાથી વૈરાગ્‍ય થઇ જાય છે.
મનને પ્રભુ પરમાત્‍માના ચરણારવિંદમાં જોડીને નિરંતર નામ સુમિરણ કરતાં કરતાં સાંસારીક કાર્યો કરવાં જોઇએ.પરમગતિ (મોક્ષ) પ્રાપ્‍ત કરવા માટે હંમેશાં પ્રભુ ૫રમાત્‍માનું ચિંતન જ  શ્રેષ્‍ઠ ઉપાય છે.
            મનુષ્‍યનું આ શરીર જ રથ છે,આત્‍મા સારથી છે,ઇન્‍દ્રિયો ઘોડાઓ છે.જેવી રીતે કુશળ સારથી ઘોડાઓને પોતાને વશમાં કરીને સુખપૂર્વક યાત્રા કરે છે,તેવી જ રીતે સાવધાન મનુષ્‍ય ઇન્‍દ્રિયોને કાબૂમાં રાખીને સુખપૂર્વક જીવનયાત્રા પસાર કરે છે.મનુષ્‍ય જે કંઇ શુભ અથવા અશુભ કર્મ કરે છે તેનું ફળ તેને અવશ્‍ય ભોગવવું ૫ડે છે.
            મન એવમ્ મનુષ્‍યાણાં  કારણં બન્‍ધમોક્ષયોઃ મનુષ્‍યનું મન જ જગતમાં બંધન અને મોક્ષનું મુખ્‍ય કારણ છે.વિષયાસક્ત મનથી બંધન થાય છે અને વિષયવૃતિ રહિત મનથી મુક્તિ થાય છે,એટલે મુક્તિની ઇચ્‍છા રાખનારાઓએ હંમેશાં મનને વિષય રહિત બનાવવું જોઇએ.મન અને ઇન્‍દ્રિયોનો સંયમ જ શાસ્‍ત્રનું મૂળ છે.
            જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્‍યારે સમજવું જોઇએ કે, અમે પ્રભુ પરમાત્‍માને ભુલી ગયા છીએ,એટલે તે સમયે પ્રભુ પરમાત્‍માનું સ્‍મરણ કરવું જોઇએ.જીવનનું સાચું ધન તો ધર્મ,સેવા,સુમિરણ,સત્‍સંગ,ભજન છે.પ્રભુ પરમાત્‍માના સિવાય આ જગત દુઃખની ખાણ છે.ઇન્‍દ્રિય સંયમ જ મોક્ષનું દ્રાર છે.ઇન્‍દ્રિયોને ખરાબ વિષયોની તરફ ના જવા દેવી તથા હંમેશાં તેને પોતાના વશમાં રાખીને કલ્‍યાણકારી વિષયોમાં લગાવવું એ જ ઇન્‍દ્રિય નિગ્રહ છે.જેના મનમાં આસક્તિ છે તેની કયારેય મુક્તિ થતી નથી.સદગુરુ કૃપાથી પ્રભુ પરમાત્‍માને જાણ્‍યા બાદ તેમની શરણાગતિ લીધા વિના,મનને પ્રભુ પરમાત્‍મામાં લીન કર્યા સિવાય જીવની આનંદની ભુખ અન્‍ય કોઇ૫ણ ઉપાયથી દૂર થતી નથી. પ્રભુ પરમાત્‍માની ઉ૫ર થોડો ઘણો પણ પ્રેમ હોય તો મનમાં આનંદનો સંચાર થાય છે.
            કઠોપનિષદ(૧/૩/૮) માં કહ્યું છે કેઃ "ઇન્‍દ્રિયોના દ્રારા જે પ્રભુ પરમાત્‍માની આજ્ઞાનુસાર ૫વિત્ર કર્મોનું નિષ્‍કામભાવથી આચરણ કરે છે તથા પ્રભુ પરમાત્‍માને અર્પણ કરેલ ભોગોનું રાગ-દ્રેષ રહિત બનીની નિષ્‍કામભાવથી શરીર નિર્વાહના માટે ઉ૫ભોગ કરે છે તે પ્રભુ પરમાત્‍માના ૫રમધામને પ્રાપ્‍ત કરી લે છે,જયાં ગયા ૫છી પાછું સંસારમાં આવવું ૫ડતું નથી."
            મનુષ્‍યએ અન્‍નદોષ અને રાગદોષથી બચવું જોઇએ,તેનાથી મન ઉ૫ર વિશેષ અસર ૫ડે છે અને આ અસરથી મનુષ્‍ય પુરેપુરો બદલાઇ જાય છે.અન્‍ન અને જળના સૂક્ષ્‍મ અંશથી મન બને છે.ચિત્તમાં જેવા સંસ્‍કાર અને જેવી પ્રાણશક્તિ હોય છે તે પ્રમાણે જ ક્રિયાઓ થાય છે.આ સંસ્‍કાર બે પ્રકારના હોય છેઃદ્રવ્‍ય સંસ્‍કાર અને ભાવ સંસ્‍કાર.ખાનપાન દ્રારા જે સંસ્‍કાર ઉત્‍પન્‍ન થઇને ચિત્તને પ્રભાવિત કરે છે તે દ્રવ્‍ય સંસ્‍કાર છે તથા ઇન્‍દ્રિયો અને મનના અનુભવના દ્રારા ચિત્તમાં જે સંસ્‍કાર-ભાવના જાગૃત થાય છે તે  ભાવ સંસ્‍કાર  છે.આપણે શુધ્‍ધ સાત્‍વિક આહાર, સેવા,સુમિરણ, સત્‍સંગથી,પ્રભુ પરમાત્‍માની નિષ્‍કામ ભક્તિથી,પ્રભુ પરમાત્‍માની કથા શ્રવણથી, પરોપકાર, દાન, સ્‍વાધ્‍યાય..વગેરેથી સારા સંસ્‍કાર લાવવાનો હંમેશાં પ્રયાસ કરવો જોઇએ. પ્રાણીઓની ઉ૫ર જન્‍મ-જન્‍માંત્તરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્‍કર્મો કરવાની ચેષ્‍ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્‍માનો વાસ છે, આવો નિશ્ર્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે, દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્‍માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે.
                        તન પવિત્ર સેવા કિયે, ધન પવિત્ર કર દાન,
                        મન પવિત્ર હરિભજન કરે, હોત ત્રિવિધ કલ્‍યાણ.....

No comments:

Post a Comment