Monday 21 September 2015

મોક્ષ માર્ગ



મોક્ષ માર્ગ
આજે માનવ સમાજ અલગ અલગ વર્ગોમાં વહેંચાયેલ છે.તમામ વર્ગ અલગ અલગ ધર્મોનું પાલન કરે છે. વિશ્વમાં અનેક ધર્મો છે જે પોત પોતાના અનુયાયીઓને અનેક પ્રકારથી સુખી કરવાનો દાવો કરે છે.સંસારના મોટા ભાગના ધર્મો માનવીને તેના માનવ જન્મના ઉદ્દેશ્યની પ્રાપ્‍તિ કરાવવા પ્રયત્નશીલ છે.માનવને સમજાવે છે કે તારો મૂળ ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્‍તિ કરવાનો છે.
મોક્ષ અવસ્થા શું છે ? તેના વિશે વિચાર કરવો અત્યંત આવશ્યક છે.કેટલાક દાર્શનિકોનો મત છે કે..તમામ દુઃખો તથા કષ્‍ટોથી મુક્તિ પ્રાપ્‍ત કરવી તે મોક્ષ છે.આ લેખના માધ્યમથી આપણે ચિંતન કરવાનું છે કે શું માનવ કષ્‍ટ વિના આ અવસ્થાને પ્રાપ્‍ત કરી શકે છે ? કેટલાક લોકો જન્મ મૃત્યુમાંથી છુટકારાને મોક્ષ કહે છે, પરંતુ શું જીવ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઇ શકે છે ? આદિ ગુરૂ શંકરાચાર્યજી કહે છે કે જીવન મુક્તિ એ જ મોક્ષ છે,તો શું વ્યક્તિ જીવતાં જીવ મુક્તાત્મા બની શકે છે ?
ઉ૫નિષદો આ વિશે કહે છે કે જીવ અને બ્રહ્મની સામ્યાવસ્થા મોક્ષ છે..જીવ અને બ્રહ્મનું પૂર્ણ તાદાત્મય જ મોક્ષ છે...પ્રવાહશીલ નદીઓ જેવી રીતે સાગરમાં સમાઇ જાય છે,તેવી જ રીતે જ્ઞાની પુરૂષો ૫ણ નામ..રૂ૫.. બંધનોથી ઉ૫ર જઇ ૫રમાનંદમાં સમાઇ જાય છે...જીવ બ્રહ્મમાં પૂર્ણરૂ૫થી એકાકાર બની જાય છે.
મોક્ષની ઉ૫રોક્ત અવસ્થાઓને ધ્યાનથી જોઇએ તો આ વિશે બે ધારણાઓ પ્રચલિત છે.
(૧)મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ ના કરવો.શરીર અને ઇન્દ્દિયોના બંધનોથી છુટકારો મેળવી બ્રહ્મમાં લીન થવું. (ર) જીવતાં જીવ બ્રહ્મની સાથે સબંધ થવો અને મોક્ષનો અનુભવ કરવો..
વાસ્તવમાં જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.પ્રત્યેક અવસ્થાની પ્રાપ્‍તિના માટે સાધનોનો ઉ૫યોગ કરવામાં આવે છે.
મોક્ષની અવસ્થાની પ્રાપ્‍તિના માટે મુખ્ય બે સાધન છે..ધર્મ અને સદગુરૂ.
આવો પ્રથમ ધર્મની શક્તિનું વિશ્લેષણ કરીએ...
સંસારમાંના જે ૫ણ ધર્મો આવાગમન(પુનઃજન્મ)માં વિશ્વાસ રાખે છે,તે સૂક્ષ્‍મશરીરની માન્યતામાં ૫ણ વિશ્વાસ રાખે છે,તે પોતાના અનુયાયીઓને આ શરીર તથા ઇન્દ્દિયોથી છુટકારો મેળવી મોક્ષની પ્રાપ્‍તિ માટે પ્રેરણા આપે છે.તેમનું માનવું છે કે શરીરના લીધે જ ઇન્દ્દિયો અને મનનું અસ્તિત્વ છે અને તે જ અજ્ઞાન,અવિદ્યા અને અવિવેકનું કારણ છે,જેનાથી છુટકારો મેળવવો જરૂરી છે અને તેના માટે તેઓ યમ,નિયમ,યોગસાધના, ધારણા,ધ્યાન અને સમાધિના માધ્યમથી અજ્ઞાન,અવિદ્યા અને અવિવેકથી છુટકારો અપાવે છે.કેટલાક ધર્મો પોતાના અનુયાયીઓને પ્રાર્થના,કિર્તન,સતસાહિત્યના ૫ઠન પાઠન..વગેરેના માધ્યમથી છુટકારો મેળવવા પ્રેરણા આપે છે,પરંતુ તેનાથી બંધનોમાં છુટકારો મળી શકતો નથી.
જ૫-માલા છાપા તિલક સરે ના એકો કામ,મન કાચે નાચે વૃથા સાચે રાચે રામ !!
આ પંક્તિ અનુસાર બંધનમાંથી મુક્ત થવાના બદલે બંધન વધુ ગાઢ બને છે અને કાર્ય સિદ્ધ થતું નથી.
મર્જ બઢતા ગયા જ્યો જ્યો દવા કી !!
જેટલું આવા રીતિરીવાજોમાં,વિધિઓનું પાલન કરવામાં આવે તેટલું સંસારના દલદલમાં ફસાતા જવાય છે, એટલે ફક્ત ધર્મ વ્યક્તિને મોક્ષ પ્રાપ્‍ત કરાવવામાં અસમર્થ છે.
ઉ૫રોક્ત વિવેચનથી અમે જાણ્યું કે ફક્ત ધર્મ મોક્ષ પ્રાપ્‍ત કરાવી શકતો નથી,પરંતુ મોક્ષ પ્રાપ્‍તિની જિજ્ઞાસા જગાડે છે.જેમ ખેડૂત બીજ વાવવા માટે જમીન તૈયાર કરે છે,પરંતુ બીજ જ ના હોય તો વાવણી માટે તૈયાર કરેલ ખેતરનો શું લાભ ?
બીજી મોક્ષ પ્રાપ્‍તિના માટેની વિધિનું અવલોકન કરીએ કે જે સદગુરૂની કૃપાથી થાય છે.
સદગુરૂની મહિમા વિશે સંત કબીર સાહેબ કહે છે કે...
પાછા લાગે જાઉં થા લોક વેદ કે સાથ,
આગે સે સદગુરૂ મિલા દિ૫ક દીયા હાથ... તથા
અવ્વલ અલ્લાહ જાયે ના લખીયા,ગુરૂ ગુર દીના મીઠા,
કહે કબીર મેરી શંકા નાસી સર્વ નિરંજન દીઠા...!
સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે...
કોડીની ના કિંમત એની જે કાંઇ તે કરતો રહે,
કહે અવતાર વિના પ્રભુ જાને જન્મ-મરણમાં ૫ડતો રહે...(અવતારવાણીઃ૨૪૪)
ભગવાન શ્રીકૃષ્‍ણ મોક્ષના સબંધમાં શ્રીમદ્ ભગવદ ગીતામાં કહે છે કે...
મન્મના ભવ મદભક્તો મદ્યાજી ર્માં નમસ્કુરૂ
મામેવેષ્‍યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઅસિ મે !! (ગીતાઃ૧૮/૬૫)
તૂં મારો ભક્ત થઇ જા..મારામાં મનવાળો બની જા..મારૂં પૂજન કરનાર બની જા અને મને નમસ્કાર કર,આમ કરવાથી તું મને જ પામીશ,આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરૂં છું કેમ કે તૂં મને ઘણો પ્રિય છે.
સહુથી ૫હેલાં હું ભગવાનનો છું એ રીતે પોતાની અહંતા (મારાપણા) ને બદલી દેવી જોઇએ.અહંતા બદલ્યા વિના સાધના સુગમતાથી થતી નથી.જીવ માત્ર ૫રમાત્માને અત્યંત પ્રિય છે.જીવ ભગવાનથી વિમુખ થઇને પ્રતિક્ષણ વિયુક્ત થવાવાળા સંસાર (ધન-સં૫ત્તિ,કુટુંબ,શરીર,ઇન્દ્દિયો,મન,બુદ્ધિ,પ્રાણ..વગેરે)ને પોતાનો માનવા લાગે છે.જ્યારે સંસારે જીવને ક્યારેય પોતાનો માન્યો નથી.જીવ જ પોતાના તરફથી સંસાર સાથે સબંધ જોડે છે.સંસાર પ્રતિક્ષણે ૫રિવર્તનશીલ છે અને જીવ નિત્ય અપરિવર્તનશીલ છે.જીવથી આ જ ભૂલ થાય છે કે તે પ્રતિક્ષણે બદલાવાવાળા સંસારના સબંધને નિત્ય માની લે છે.જેમનો આપણી સાથે વાસ્તવિક અને નિત્ય સબંધ છે તે ૫રમાત્માના શરણમાં ચાલ્યા જવું જોઇએ.
ભગવાન આગળ શ્રીમદ ભગવદ્ ગીતામાં પોતાના ઉ૫દેશની અત્યંત ગો૫નીય સાર વાત બતાવે છે કે...
"સર્વધર્માન્‍પરિત્‍યજ્ય મામેકં શરણં વ્રજ !
 અહં ત્‍વા સર્વપાપેભ્‍યો મોક્ષયિષ્‍યામિ મા શુચઃ" (ગીતાઃ૧૮/૬૬)
તું તમામ ધર્મોનો આશ્રય છોડીને તું કેવળ મારે એકલાને જ શરણે આવી જા.હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઇશ,તું શોક કરીશ નહી.આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરૂ જ મોક્ષ પ્રાપ્‍તિ કરાવવા માટે સક્ષમ હોય છે.
સર્વે ધર્મો એટલે જીવના ધર્મો.હું ગરીબ નહી, હું શ્રીમંત નહી, નાનો નહી, મોટો નહી.. તેવી રીતે હું કાંઇ જ નહી, કોઇ જાતનો ધર્મ મારે નહી, હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી.. આ નિર્ગુણ અવસ્‍થાની ટોચ છે. હું નિર્વિકલ્‍૫ નિરાકારરૂપ મારે કોઇ સંકલ્‍૫-વિકલ્‍૫ નથી, મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્‍દ્રિયોમાં છું, તમામ સ્‍થળે વ્‍યાપી રહેલો વિભુ છું.મંગલકારી-કલ્‍યાણકારી ચિદાનંદ સ્‍વરૂ૫ છું, મને રાગ-દ્રેષ,લોભ-મોહ-મદ-ઇર્ષ્‍યા નથી, મારે ધર્મ,અર્થ,કામ,મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.
ભગવાન કહે છે કેઃસઘળા ધર્મોના આશ્રય,ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કેઃ શું કરવાનું છે? અને શું નથી કરવાનું ? આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે પોતે ભગવાનના શરણે જવું - આ તમામ શાસ્‍ત્રોનો સાર છે.આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી.ભક્ત પ્રભુનું શરણું સ્‍વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય,નિઃશોક,નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.ગીતામાં ધર્મ શબ્‍દનો અર્થ કર્તવ્‍ય કર્મ છે અને કર્તવ્‍યકર્મનો સ્‍વરૂ૫થી ત્‍યાગ કરવાનો નથી.સઘળા ધર્મો એટલે કેઃ કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એજ સર્વશ્રેષ્‍ઠ ધર્મ છે.
આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્‍તિ થાય છે તે પ્રમાણે સ્‍વર્ગ અને નરકની પ્રાપ્‍તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્‍૫ન્‍ન થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.જેમ નિંદ્રાની સમાપ્‍તિ થતાં સ્‍વપ્‍નમાંના ઘર,પત્‍ની..વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્‍યાગ કરવાથી સર્વ ધર્મોનો આપોઆ૫ લય થાય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ..મહાઆકાશમાં એકતા પામે છે, તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્‍વરૂ૫માં એકતા પામશે, માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્‍ધ માર્ગ છોડી દે.સર્વ બંધનોનું મૂળ ઉત્‍૫ન્‍ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્‍નતા જ છે, તે મારા સ્‍વરૂ૫ના જ્ઞાન(બ્રહ્મજ્ઞાન)થી નાશ પામશે.અનન્‍યભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.
મારા શરણમાં આવ્‍યા ૫છી તૂં ચિંતા કરે છે..તે તારૂં અભિમાન અને શરણાગતિમાં કલંક છે.મારા (પ્રભુ) શરણે આવ્‍યા ૫છી ૫ણ મારી ઉ૫ર પુરો વિશ્ર્વાસ,ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્‍યેનો અ૫રાધ છે.પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્‍તવમાં બળનું અભિમાન છે.ભક્ત બન્‍યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે.જેણે ૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે -આ ભાવને દ્રઢતાથી સ્‍વીકારી લે છે તો તેનો ભય,શોક,ચિંતા,શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.
આધુનિક યુગમાં સંપૂર્ણ અવતારવાણીની નીચેની પંક્તિઓ આ સત્યતાને સિદ્ધ કરે છે..
જ્ઞાન ગુરૂનું જ માનવોને પ્રભુનું ઘર બતાવે છે,
જ્ઞાન ગુરૂનું જ માનવોને મુક્તિનો માર્ગ બતાવે છે...(અવતારવાણીઃ૪૨)
આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરૂ જ મોક્ષના દાતા છે.

સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
મું.છક્કડીયા ચોકડી(ધાણીત્રા),તા.ગોધરા,જી.પંચમહાલ(ગુજરાત)
E-mail: sumi7875@gmail.com







No comments:

Post a Comment