Thursday, 19 June 2025

જગતમાં મોટામાં મોટું કોન?

 

જગતમાં મોટામાં મોટું કોન?

 

એક વખત નારદજી વૈકુઠલોકમાં આવ્યા.લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા, શોધતાં શોધતાં છેવટે ભગવાનને ધ્યાનમાં બેઠેલા જોયા તો નારદજી પૂછે છે તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન કરૂં છું.નારદજી કહે છે કે શું તમારા ભક્તો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે? કે જેથી તમે તેનું ધ્યાન કરો છો? ભગવાન કહે કે હા, મારા ભક્તો મારા કરતા શ્રેષ્ઠ છે.નારદજી કહે છે કે તે સાબિત કરી આપો.

 

ભગવાન પૂછે છે જગતમાં મોટામાં મોટું કોણ? નારદજી કહે પૃથ્વી.ભગવાન કહે પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગના ફણા ઉપર રહેલી છે. નારદજી કહે છે તો શેષનાગ મોટા.ભગવાનઃ અરે એ શેષનાગ શાના મોટા? એ તો શંકરના હાથનું કડુ છે એટલે શેષનાગ કરતાં શિવજી મોટા થયા પણ તેમનાથી રાવણ જબરો કે જેણે શિવજી સાથે કૈલાસને ઉઠાવેલા તેથી રાવણ મોટો. અરે રાવણ શાનો મોટો? વાલી રાવણને બગલમાં દબાવી સંધ્યા કરતો માટે વાલી મોટો? નારદ કહે વાલી શાનો મોટો? વાલીને ભગવાન રામે મારેલો એટલે આપ જ સર્વથી શ્રેષ્ઠ છો.

 

ભગવાન કહે છે કે ના હું પણ શ્રેષ્ઠ નથી.મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે કારણ કે આખું જગત મારા હૈયામાં છે પરંતુ હું રહું છું ભક્તના હૈયામાં. મને હૈયામાં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે એવા જ્ઞાની ભકતો મારાથી પણ શ્રેષ્ઠ છે.મારા ભક્તો મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પામે છે જ્યારે જે દેહમાં આસક્ત પુરૂષ અધોગતિ પામે છે.ઈશ્વરથી વિખુટા પડેલા જીવને સુખ નથી.પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે.જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.જે ઈશ્વરને ભૂલ્યો છે તે ભૌતિક સુખ ભલે ભોગવે પણ તેને અંદરની શાંતિ મળતી નથી.વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે.જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે.મન ભગવાનનું ચિંતન કરતું નથી.વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે.કોઈ સેવા કરતું નથી.વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં સત્સંગ અને ભજન ન કરે તો મન અને જીભ જુવાન બને છે.સારૂં સારૂં ખાવાનું મન થાય છે.

 

ડોસીને સારૂં સારૂં ખાવાની ઈચ્છા થાય છે ત્યારે તે છોકરાના છોકરાનું નામ દઇને કહે છે કે આજે તો બાબાની ઈચ્છા છે કે પત્તરવેલના પાનનાં ભજીયાં કરો.ખાધેલું પચે નહિ પણ વારંવાર ખાવાની ઈચ્છા વૃદ્ધાવસ્થામાં થાય છે.લૂલી બહુ પજવે છે.તેલ-મરચાના ગરમ ગરમ પદાર્થ ખાય,ઉપર ઠંડું પાણી પીવે પછી ક્યાં જાય? કફ વધે,રાત્રે ઉધરસ આવે,શ્વાસમાં ઘરડ-ઘરડ અવાજ થાય છે.છોકરો કહે છે કે બાપા તમને પચતું નથી તો શું કામ વધારે ખાઓ છો? તમારી ઉધરસથી અમને ઊંઘ આવતી નથી.તમારી પથારી બહાર કુતરાંની પાસે કરશું.ડોસાની પથારી બહાર કુતરાની જોડેજોડે થાય તો પણ ડોસો સંતોષ માને છે.

 

છોકરાંઓ તિરસ્કાર કરે તો પણ ડોસાની નફ્ફટ જેવી વૃત્તિ થાય છે તે માને છે અને કહે છે કે આ છોકરાં છે તો તે કહે છે જેને છોકરાં નથી એને કોણ કહેવાનું હતું? વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે,રોગનું ઘર બને છે.શરીર સારૂં છે ત્યાં સુધી બાજી તમારાં હાથમાં છે.શરીર સારૂં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરો તો બેડો પાર છે.પથારીમાં ડોસો પડ્યો છે.અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે.પથારીમાં જ મળ-મૂત્ર થાય તે નરક જેવું જ દુઃખ છે.આવી પથારીમાં જ જયારે યમદૂત દેખાય છે ત્યારે જીવ બહુ ગભરાય છે.જે લોકો માટે પૈસાનું પાણી કર્યું હોય તે લોકો જ ડોસો જલ્દી મરે તેવી ઈચ્છા રાખતા હોય છે. બધાં સ્વાર્થના સગાં ભેગા થાય છે.છોકરીઓ પણ લાલચ કરતી હોય છે કે મારા બાપાએ મારા માટે પંદર-વીસ તોલા જુદું રાખ્યું હશે.દોડતી દોડતી આવશે બધા ડોસાને ઘેરીને બેઠા છે. બાપા..મને ઓળખી? બાપા હું તમારી સુમી..પણ સુમીબેનનું કંઈ અજવાળું પડતું નથી,એ ડોસો જવાની તૈયારીમાં છે તે બોલી શકતો નથી.વાણીનો લય મનમાં થાય છે,મનનો લય પ્રાણમાં થાય છે ત્યારે જીવાત્માના હૃદયમાં પ્રકાશ દેખાય છે તેના મનમાં જે વાસના હોય છે તે પ્રમાણે તે પ્રકાશમાં ચિત્ર થાય છે, તે સંસ્કાર જાગે છે તે પ્રમાણે તેને નવો દેહ મળે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment