બોધકથા..
જેવી કરણી તેવી ભરણી
આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે
ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે કોઇ
ર્ડાકટર,વૈધને બતાવવાનું બાકી રાખ્યું નહોતું તેમ છતાં તબિયતમાં કોઇપણ પ્રકારનો સુધારો ન થયો.ગામમાં
એક સંતનું આગમન થાય છે.જમીનદાર સંતના દર્શન કરવા જાય છે.સંતને પ્રણામ કરીને ખુબ જ
દુઃખી હ્રદયે કહે છે કે મહાત્માજી..હું આ ગામનો જમીનદાર છું,મારી પાસે સેકડો વિઘા જમીન છે અને સુખના તમામ સાધનો
હોવા છતાં મને જે ગંભીર પ્રકારની બિમારી થઇ છે તેમાં આરામ
થતો નથી.મહાત્માએ પુછ્યું કે તમોને કયો રોગ થયો છે? ત્યારે જમીનદાર કહે છે
કે મળ ત્યાગ કરતાં ઘણું જ લોહી નીકળે છે અને સહન ના થાય એટલું દર્દ થાય છે, લાગે છે કે મારા પ્રાણ નીકળી જશે.આપ આર્શિવાદ
આપો કે મારી આ બિમારીમાંથી છુટકારો મળે.
મહાત્માએ આંખો બંધ કરી
શાંત બેસીને પછી કહ્યું કે ખરાબ ના લાગે તો એક વાત પુછું? તમે ક્યારેય કોઇનું દિલ એટલુ બધું દુભાવ્યું
છે કે તેના નિશાસાનો દંડ તમો આજે ભોગવી રહ્યા છો? તમે તેને એટલું બધું દુઃખ આપ્યું હશે કે તેની
પીડા તમે ભોગવી રહ્યા છો? ત્યારે જમીનદાર કહે છે કે મેં કોઇનું દિલ દુભાવ્યું
હોય કે કોઇને દુઃખ આપ્યું હોય તેવું મને યાદ નથી.ત્યારે મહાત્મા કહે છે કે યાદ કરો
ક્યારેય તમે કોઇનો હક્ક તો નથી છીનવી લીધોને? કોઇની પીઠ પાછળ છરો મારીને કોઇની આજીવિકા તો નથી
છીનવી લીધીને? કોઇની સાથે તેના હિસ્સાનું બળજબરીથી પચાવી તો નથી
પાડ્યુંને? મહાત્માની પુરી વાત સાંભળીને જમીનદાર શર્મસાર બનીને
કહે છે કે મારી એક વિધવા ભાભી તેના પિયરમાં રહેતી હતી, તે તેના ભાગના હિસ્સાની માંગણી કરતી હતી પરંતુ
ભવિષ્યમાં તેના ભાગનો હિસ્સો લઇને તેના ભાઇને આપી દેશે એ ભયથી મેં તેના હિસ્સાની
જમીન-જાયદાદ અને સંપત્તિ મેં ન આપતાં હું તેનો ઉપભોગ કરૂં છું.
મહાત્માએ કહ્યું કે આજથી તમે તમારી વિધવા ભાભીને દર
મહિને સો રૂપિયા આપવાનું શરૂ કરી દો. આ પુરાતન સમયની વાત છે તે જમાનામાં સો
રૂપિયામાં સમગ્ર પરીવારનું ભરણપોષણ થઇ જતું હતું. બીજા મહિનેથી જમીનદાર કેટલાક
રૂપિયા વિધવા ભાભીને આપવાનું ચાલુ કરે છે.મહિના પછી મહાત્મા પાસે આવીને જમીનદાર
કહે છે મારી બિમારીમાં પંચોત્તેર ટકા સારૂં લાગે છે.મહાત્માજીએ વિચાર્યું કે
જમીનદારને સો ટકા સારૂં થઇ જવું જોઇએ તેમછતાં આમ કેમ બન્યું? મહાત્માજીએ કહ્યું કે તમે તમારી વિધવા ભાભીને દર
મહિને કેટલા રૂપિયા મોકલાવો છો? ત્યારે જમીનદાર કહે છે કે દર મહિને પંચોત્તેર રૂપિયા મોકલું
છું.ત્યારે મહાત્મા કહે છે કે એટલે જ તમોને સો ટકા સારૂં થતું નથી,તમે વિધવા ભાભીને બોલાવીને તેમના હક્કનું તમામ
આબરૂભેર આપી દો.તેમના હક્કની સંપત્તિનું તેમને મન ફાવે તેમ ભલે ખર્ચ કરે કે ગમે
તેને આપી દે તેમાં તમારે કોઇ દખલગીરી કરવાની નથી.
તમોને ખબર છે? તમે તેમનો હક્ક પચાવી પાડ્યો છે તેથી તે નિરાધાર વિધવા
ભાભી કેટલી રડતી કકળતી હશે? બીજાના સહારે જીવન જીવતાં અંતરથી કેટલા શ્રાપ આપતી હશે તેના
ફળસ્વરૂપે જ તમારી બિમારી મટતી નહોતી.વિચાર કરો..મૃત્યુ પછી આપણી સાથે શું આવવાનું
છે? મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા
માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું
જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જમીનદારને ઘણો જ
પશ્ચાતાપ થાય છે, તેમને તરત જ પોતાની વિધવા ભાભી તથા તેમના ભાઇઓને
બોલાવીને સમગ્ર ગામના લોકોની સાક્ષીએ તેના ભાગની જમીન,તેના હક્કના પૈસા આપી દીધા તથા પોતાની ભૂલ બદલ
જાહેરમાં ભાભીની માફી માંગે છે.ભાભીએ વિશાળ દિલથી તેમને માફ કરી દીધા અને
જમીનદારને ઘણા જ આર્શિવાદ આપે છે જેના પરીણામસ્વરૂપ જમીનદારની બિમારી કાયમ માટે
મટી જાય છે.
જો તમોને પણ કોઇ અસાધ્ય રોગ થયો હોય તો જરૂરથી વિચાર
કરજો કે સત્તા અને સંપત્તિના નશામાં મેં કોઇનો હક્ક તો નથી લઇ લીધોને? મેં કોઇનું દિલ તો નથી દુભાવ્યુંને? યાદ રાખો પ્રભુ પરમાત્માની લાઠીનો અવાજ નથી સંભળાતો
પરંતુ આપણે જેવી કરણી કરીશું તેવું ફળ આજે નહી તો કાલે ભોગવવું જ પડશે જ.! સારા
માનવ બનો અને બધાનું ભલું કરો.ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઇએ અને
ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે અમારી વાણી વર્તનથી કોઇની લાગણી ના
દુભાય.અમારૂં એક ખરાબ કર્મ અમોને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે.
કોઇપણ મનુષ્ય પોતાનાથી થયેલ પાપોને
છુપાવવા ગમે તેટલો પ્રયત્ન કરે તેમછતાં તેને છુપાવી શકતો નથી.જ્યારે કરેલ પાપોની
સજા ભોગવવાનો સમય આવે છે ત્યારે ભલભલાની અક્કલ ઠેકાણે આવી જાય છે અને પોતે કરેલ
પાપો યાદ આવે છે કે મેં કોની સાથે શું કર્યું હતું એટલે હંમેશાં એક વાત યાદ રાખજો કે જે
કરશે તે ભોગવશે.આપણે બધા એ જગતના માલિક પ્રભુ-પરમાત્માના શરણમાં છીએ.જ્યારે અમે એક પ્રભુ-પરમાત્માની શરણમાં છીએ,સદગુરૂ શરણમાં જઇને એક પ્રભુને જાણ્યા છે, પ્રભુને માનીએ છીએ તો અમારે સર્વ કંઇ પરમાત્માની ઉપર
છોડી દેવું જોઇએ..જો કોઇ વ્યક્તિ પોતે પોતાને ઇશ્વરથી મોટો સમજે છે અને બીજાઓની
બેઇજ્જતી કરે છે કે પોતાની માન-મોટાઇ અને અહંકારવશ બીજાઓનું અપમાન કરે છે તેને
તેના કરેલા કર્મોનું ફળ એક દિવસ અવશ્ય મળે જ છે.કુદરતના દરબારમાં દેર છે પરંતુ
અંધેર નથી.જેવું વાવ્યું છે તેવું જ સામે આવવાનું છે.જેવાં કર્મો કરીશું તેવા ફળ
ભોગવવાં જ પડવાનાં છે હવે નિર્ણય આપણે કરવાનો છે.મનુષ્ય પોતાના કર્મોનું જ ફળ પામે
છે.
કર્મનું ફળ કેવી રીતે મળે છે તેના વિશે અન્ય એક
પ્રસંગ જોઇએ.એક દિવસ એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને દરબારમાં બોલાવીને ત્રણેને
આદેશ આપે છે કે એક એક થેલો લઇને બગીચામાં જાઓ અને ત્યાંથી સારા સારા ફળ ભેગા કરીને
લઇ આવો.ત્રણે મંત્રીઓ અલગ અલગ બગીચામાં પ્રવેશ કરે છે.પહેલા મંત્રીએ એવો પ્રયત્ન
કર્યો કે રાજાના માટે તેમની પસંદગીના સારામાં સારા રસદાર મીઠા ફળ ભેગા કરવામાં
આવે.ઘણી જ મહેનત પછી ઘણા જ સારા અને તાજા ફળોથી થેલો ભરી દે છે.બીજા મંત્રીએ
વિચાર્યું કે રાજા તમામ ફળોનું પરીક્ષણ તો કરવાના નથી એટલે ઉતાવળથી થેલો ભરવા
લાગ્યો,જેમાં કેટલાક તાજા તો કેટલાક કાચા અને સળી ગયેલા
ફળથી થેલો ભરી દીધો.
ત્રીજા મંત્રીએ વિચાર્યું કે રાજાની નજર તો ફક્ત ફળ
ભરેલા થેલા ઉપર જ રહેવાની છે,થેલો ખોલીને રાજા જોવાના નથી કે અંદર ફળ કેવા છે? તેથી તેને સમય બચાવવા જલ્દી જલ્દી થેલામાં ઘાસ અને
પાંદડાં ભરી દીધાં.બીજા દિવસે રાજાએ ત્રણે મંત્રીઓને તેમના થેલા સાથે દરબારમાં
બોલાવ્યા અને થેલા ખોલીને જોયું પણ નહી અને આદેશ આપ્યો કે ત્રણે મંત્રીઓને
પોતપોતાના થેલા સહિત દૂર આવેલી એક જેલમાં પંદર દિવસ માટે પુરી દેવામાં આવે.હવે
જેલમાં તેમના ખાવા-પીવા માટે કોથળામાંના ફળ સિવાય કોઇ વ્યવસ્થા નહોતી તેથી જે
મંત્રીએ સારામાં સારા ફળ ભેગા કર્યા હતા તે આરામથી ફળ ખાઇને પંદર દિવસ પસાર કરી
દીધા.બીજા મંત્રી કે જેને કેટલાક તાજા અને કેટલાક કાચા અને સડેલા ફળ ભેગા કરીને
કોથળો ભર્યો હતો તેને કેટલાક દિવસ સુધી તાજા ફળ ખાધા પછી તેને ખરાબ અને સડેલા ફળ
ખાવા પડ્યા તેથી તે બિમાર પડી જાય છે અને ઘણી જ તકલીફ સહન કરે છે અને ત્રીજો
મંત્રી કે જેને કોથળામાં ફક્ત ઘાસ અને પાંદડાં જ ભેગા કર્યા હતા તે કેટલાક દિવસ
બાદ ભૂખના કારણે મરી જાય છે.
હવે આપણે પોતાની જાતને પુછવાનું છે કે અમે શું જમા
કર્યું છે? અમે અત્યારે જીવનના બાગમાં છીએ,જ્યાં ધારીએ તો સારા કર્મો જમા કરાવી શકીએ છીએ અને
ધારીએ તો ખરાબ કર્મો જમા કરી શકીએ છીએ પરંતુ એ યાદ રાખવાનું છે કે આપણે જે જમા
કરીશું તે જ આપણને જન્મો-જન્મ સુધી કામ આવવાનું છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment