Thursday, 19 June 2025

પૂર્વજન્મના પ્રારબ્ધકર્મ અનુસાર ફળ ભોગવવું જ પડે છે.

 

પૂર્વજન્મના પ્રારબ્ધકર્મ અનુસાર ફળ ભોગવવું જ પડે છે.

 

ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્ધાં તને સ્વીકારે છે.શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો(ઇંડજ પિંડજ સ્વેદજ અને ઉદભિજ)નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્યા જન્મની પ્રાપ્તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે.સૃષ્ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં સૌથી મોટો કહેવાય છે કારણ કે તેની પાસે બુધ્ધિ,વિવેક,મૂલ્યાંકન કરવાની તથા વાસ્તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્યજીવનની સાર્થકતા છે.પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્થાન પ્રાપ્ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો-વિકર્ષણોથી મુક્તિ મળે છે.ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્ત કરી અલૌકિક આનંદ પ્રાપ્ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી,સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું..એ જ વાસ્તવમાં મનુષ્યજીવનનું લક્ષ્ય છે.

 

જન્મ લેતી વખતે જેટલું સંચિતકર્મ પાકીને ફળ આપવા પ્રારબ્ધ બન્યું હોય તેને અનુરૂપ દેહ મળે છે અને પૂર્વ જન્મોના કર્મો અનુસાર અમોને આ જનમમાં માતા-પિતા,ભાઇ-બહેન,પતિ-પત્ની,પ્રેમી-પ્રેમિકા,મિત્ર-શત્રુ અને સગા-સબંધી વગેરે સંસારમાં જેટલા સબંધો છે તે તમામ મળતા હોય છે કારણ કે આ બધાને અમારે કંઇક આપવાનું હોય છે કે તેમની પાસેથી અમારે કંઇક લેવાનું હોય છે.અમારા સંતાનના રૂપમાં કોન આવે છે? તેનો જવાબ છે કે સામાન્ય રીતે સંતાનના રૂપમાં અમારો પૂર્વજન્મનો કોઇ સબંધી જ આવીને અમારા ઘેર જન્મ લે છે.શાસ્ત્રોમાં તેના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે.

 

(૧)ઋણાનુબંધઃપૂર્વજન્મનો કોઇ એવો જીવ જેની પાસેથી અમે કંઇક ઉધાર લીધું હોય કે ગયા જનમમાં અમોએ તેનું ધન નષ્ટ કર્યું હોય તે અમારા ઘેર સંતાનના રૂપમાં જન્મ લે છે અને અમારૂં ધન બિમારી કે વ્યર્થના કાર્યોમાં તેની સાથેનો અમારો હિસાબ પુરો ના થઇ જાય ત્યાંસુધી નાશ કરતો રહે છે.

 

(ર)શત્રુપૂત્રઃપૂર્વજન્મનો કોઇ દુશ્મન અમારી સાથે બદલો લેવા માટે અમારા ઘરમાં સંતાન બનીને આવે છે અને મોટો થતાં જ માતા-પિતા સાથે લડાઇ-ઝઘડા અને મારપીટ કરે છે.આમ જીવનભર અમોને તે હેરાન-પરેશાન કરતો રહે છે.હંમેશાં કડવા વચનો બોલીને અમારી બેઇજ્જતી કરીને અમોને દુઃખી કરીને પોતે ખુશ થતો રહે છે.

 

(૩)ઉદાસીન પૂત્રઃઆવા પ્રકારના સંતાનો માતા-પિતાની સેવા કરતા નથી કે સુખ આપતા નથી, તે પોતાના માતા-પિતાને તેમના હાલ ઉપર મરવા માટે છોડી દેતા હોય છે અને લગ્ન પછી પોતાના માતા-પિતાથી અલગ થઇ જાય છે.

 

(૪)સેવકપૂત્રઃપૂર્વજન્મમાં અમે કોઇની ઘણી જ સેવા કરી હોય તો તે કરેલ સેવાનું ઋણ ઉતારવા માટે અમારા ઘેર પૂત્ર કે પૂત્ર બનીને આવે છે અને અમારી ઘણી જ સેવા કરે છે.જે વાવ્યું હોય તે જ લણવાનું હોય છે.જો અમે અમારા માતા-પિતાની સેવા કરીશું તો અમારા સંતાનો વૃદ્ધાવસ્થામાં અમારી સેવા કરશે નહી તો વૃદ્ધાવસ્થામાં કોઇ અમોને પાણી પિવડાવનાર પણ નહી હોય..

 

આપ એમ ના સમજશો કે આ બધી વાતો ફક્ત મનુષ્યને જ લાગુ પડે છે.આ ચાર પ્રકારમાં કોઇપણ જીવ અમારા સબંધી બનીને આવી શકે છે.અમે જો કોઇ ગાયની નિઃસ્વાર્થભાવથી સેવા કરી હોય તો તે પણ અમારી પૂત્રી કે પૂત્ર બનીને આવી શકે છે અને અમે કોઇ ગાયને સ્વાર્થભાવથી પાળી હોય અને જ્યારે તે દૂધ આપતી બંધ થઇ જાય ત્યારે તેને ઘરની બહાર છોડી મુકી હોય તો તે પણ ઋણાનુબંધ અનુસાર પૂત્ર કે પૂત્રી બનીને આવતી હોય છે.

 

ગયા જન્મમાં અમે કોઇ નિર-અપરાધી જીવને સતાવ્યો હોય તો તે અમારા જીવનમાં શત્રુ બનીને આવશે અને અમારી સાથે બદલો લેશે એટલે જીવનમાં ક્યારેય કોઇનું ખરાબ ન કરવું કે બીજા કોઇનું કોઇપણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે અમે બીજાઓની સાથે જેવો વ્યવહાર કરીશું કે બીજાઓને જે કંઇ આપીશું તે અમોને આ જન્મમાં કે આગલા જનમમાં સો ગણું થઇને પરત મળે છે.જો અમે કોઇને એક રૂપિયો આપીએ તો સમજો કે અમારા ખાતામાં સૌ રૂપિયા જમા થાય છે અને જો અમે બીજાનો એક રૂપિયો પડાવી લીધો છે તો સમજો કે આપણા ખાતામાં જમા રકમમાંથી સૌ રૂપિયા નીકળી જાય છે.

 

જરા વિચાર કરીએ..અમે કેટલું ધન સાથે લઇને આવ્યા હતા અને કેટલું ધન સાથે લઇને જવાના છીએ? જે જીવો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તે પોતાની સાથે કેટલું સોનું-ચાંદી કે રૂપિયા સાથે લઇને ગયા છે? જેને અમે મારૂં મારૂં કહીએ છીએ તે સોનું-ચાંદી,ધન-દૌલત મૃત્યુ થતાં ઘર કે બેન્કમાં જ પડેલું રહી જાય છે અને અંત સમયે અમોને પછતાવો થાય છે કે આ બધી કમાણી વ્યર્થ જ કરી હતી.

 

સંતાનોને સારૂં શિક્ષણ અને સારા સંસ્કાર આપ્યા હશે તો આવા સારા અને લાયક સંતાનો માટે આપણા ગયા પછી તેમના માટે પાછળ કંઇ જ છોડીને ના જઇએ તો પણ તે પોતે કમાઇને ખાવાના જ છે અને જો સંતાનો વ્યસની,નાલાયક અને બગડેલા હશે તો તેમના માટે ગમે તેટલું ધન ભેગું કરીને તેમને આપીને જઇશું તો પણ તમામ ધન-સંપત્તિ કેટલાક દિવસોમાં તે બરબાદ કરી દેવાના છે.

 

સમગ્ર જીવન દરમ્યાન લોહી-પરસેવો રેડીને ભેગું કરેલ તમામ ધન અહીંયાં જ રહી જાય છે, આપણે કશું જ સાથે લઇને જઇ શકતા નથી.જીવન દરમ્યાન સત્કર્મો કરીશું,ન્યાય-નીતિ અને ધર્મ અનુસાર આચરણ કરી જીવન જીવીશું તો તે અમારી સાથે આવે છે.

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

પુરાણકથા..મુક્તિનો ઉપાય

 

પુરાણકથા..મુક્તિનો ઉપાય

મનુષ્ય શરીર બદલો લેવા માટે નહી પરંતુ જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ માટે મુક્ત થવા માટે મળ્યું છે.

 

પુરાણો ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય નિધિ છે.પુરાણોમાં માનવજીવનને ઉન્નત કરવાની અનેક સરળ, સરસ-સુંદર અને વિચિત્ર કથાઓનો ભંડાર ભરેલો છે.આ કથાઓનું તાત્પર્ય રાગ-દ્વેષરહિત થઇને પોતાના કર્તવ્યોનું પાલન તથા ભગવાનને પ્રાપ્ત કરવાનું છે.પદ્મપુરાણના ભૂમિખંડમાં આવી જ એક કથા આવે છે.

 

અમરકંટક તીર્થમાં સોમશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો.તેની પત્નીનું નામ સુમના હતું.તે મહાન સાધ્વી અને પતિવ્રતા નારી હતી.તેમને કોઇ સંતાન ન હતું તથા ધનનો પણ અભાવ હતો.સંતાન ન હોવાથી અને ધનનો અભાવ હોવાથી સોમશર્મા ઘણા જ દુઃખી રહેતા હતા.એક દિવસ પોતાના પતિને અત્યંત ચિંતિત જોઇને સુમના કહે છે કે પ્રાણનાથ ! આપ ચિંતાને છોડી દો કારણ કે ચિંતા સમાન કોઇ દુઃખ નથી.સ્ત્રી-પૂત્ર અને ધનની ચિંતા તો ક્યારેય ન કરવી જોઇએ.આ સંસારમાં ઋણાનુબંધથી એટલે કે અન્ય કોઇ બીજાનું ઋણ ચુકવવા માટે અને અન્ય કોઇ બીજા પાસેથી ઋણ વસુલ કરવા માટે જ જીવનો જન્મ થાય છે.માતા-પિતા પૂત્ર-પૂત્રી ભાઇ-બહેન મિત્ર-સેવક વગેરે પોત પોતાના ઋણાનુબંધથી જ આ પૃથ્વી ઉપર જન્મ લઇને અમોને મળે છે.ફક્ત મનુષ્ય જ નહી પશુ-પક્ષી પણ ઋણાનુબંધથી જ મળે છે.

 

સંસારમાં શત્રુ-મિત્ર અને ઉદાસીન આ ત્રણ પ્રકારના પૂત્ર હોય છે.શત્રુ સ્વભાવવાળા પૂત્રના બે ભેદ છે.પૂર્વજન્મમાં કોઇએ બીજા પાસેથી ઋણ લીધુ હોય અને ચુકવવાનું બાકી રહી ગયું હોય તો બીજા જન્મમાં તે ઋણ ચુકવવા પૂત્ર બનીને આવે છે..કોઇએ પૂર્વજન્મમાં પોતાની અમાનત સાચવવા માટે આપી હોય અને તે પરત લેવા આવે ત્યારે તે અમાનત હડપ કરી જનારના ઘેર પૂત્ર બનીને આવે છે.આ બંન્ને પ્રકારના પૂત્રો બળપણથી માતા-પિતા સાથે વેર રાખે છે અને તેમની સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે અને મોટા થયા પછી તે માતા-પિતાની સંપત્તિને ખોટા કામોમાં બગાડી નાખે છે.જ્યારે તેમનું લગ્ન થઇ જાય છે ત્યારે તે માતા-પિતાને કહે છે કે આ ઘર,ખેતરો વગેરે ભૌતિક સંપત્તિ મારી છે.આમ અનેક રીતે માતા-પિતાને કષ્ટ આપે છે.માતા-પિતાના મૃત્યુ પછી તેમની શ્રાદ્ધ-તર્પણ વગરે ક્રિયાઓ પણ કરતો નથી.

 

મિત્ર સ્વભાવવાળો પૂત્ર બાળપણથી માતા-પિતાનો હિતૈષી હોય છે.તે માતા-પિતાને હંમેશાં સંતુષ્ટ રાખે છે અને મીઠી વાણીથી હંમેશાં તેમને પ્રસન્ન રાખે છે.માતા-પિતાની મૃત્યુ બાદ તેમની પાછળ શ્રાદ્ધ-તર્પણ,તીર્થયાત્રા, દાન વગેરે કરે છે.

 

ઉદાસીન સ્વભાવવાળો પૂત્ર હંમેશાં ઉદાસીન ભાવથી રહે છે.તે ના તો કાંઇ આપે છે કે ના તો કાંઇ લે છે.તે માતા-પિતાને સુખ કે દુઃખ આપતો નથી.

 

પ્રિયતમ ! જે મનુષ્યને જેટલું ધન મળવાનું લખેલું હોય છે તે વિના પરીશ્રમે મળી જ જાય છે અને ધનનો જવાનો સમય આવે છે તો ગમે તેટલી રક્ષા કરો છતાં પણ ચાલ્યું જાય છે..એવું સમજીને આપે ધનની ચિંતા કરવાની જરૂર નથી.

 

વાસ્તવમાં ધર્મનું પાલન કરવાથી જ પૂત્ર અને ધનની પ્રાપ્તિ થાય છે.ધર્મનું આચરણ કરનાર મનુષ્યને જ સંસારમાં સુખ મળે છે એટલે આપ ધર્મનું અનુષ્ઠાન કરો.જે મનુષ્ય મન-વાણી અને શરીરથી ધર્મનું આચરણ કરે છે તેના માટે સંસારમાં કોઇ વસ્તુ દુર્લભ નથી.

 

આટલું કહીને સુમનાએ વિસ્તારથી ધર્મનું સ્વરૂપ તથા ધર્મના અંગોનું વર્ણન કર્યું જેને સાંભળીને સોમશર્માએ પ્રશ્ન પુછ્યો કે તમોને આ તમામ ગહન વાતોનું જ્ઞાન કેવી રીતે થયું? ત્યારે સુમનાએ કહ્યું કે આપ જાણો છો કે મારા પિતાજી ધર્માત્મા અને શાસ્ત્રોના તત્વને જાણનારા હતા એટલે બધા લોકો તેમનો આદર સત્કાર કરતા હતા.તે પોતે પણ સંત-મહાત્માઓની પાસે જઇ સત્સંગ કરતા હતા.હું તેમની એકમાત્ર દિકરી હોવાથી તેમનો મારી ઉપર વિશેષ સ્નેહ હતો અને ઘણીવાર તેઓ મને પણ સત્સંગમાં લઇ જતા હતા એટલે સત્સંગના પ્રભાવથી મને આ ધર્મતત્વનું જ્ઞાન થયેલ છે.

 

આ બધું સાંભળીને સોમશર્માએ પૂત્ર પ્રાપ્તિનો ઉપાય પુછ્યો ત્યારે સુમનાએ કહ્યું કે આપ મહામુનિ વશિષ્ટજી પાસે જાઓ અને તેમને પ્રાર્થના કરો.તેમની કૃપાથી આપને ગુણવાન પૂત્રની પ્રાપ્તિ થશે.પત્નીના આમ કહેવાથી સોમશર્મા વશિષ્ટ મુનિ પાસે જઇને પુછે છે કે કયા પાપના લીધે મારે પૂત્ર અને ધનના અભાવનું કષ્ટ ભોગવવું પડે છે? વશિષ્ટજીએ કહ્યું કે પૂર્વજન્મમાં તમે ઘણા જ લોભી હતા અને બીજાઓની સાથે હંમેશાં દ્વેષ રાખતા હતા.તમે ક્યારેય સેવા સુમિરણ સત્સંગ તીર્થયાત્રા દેવપૂજન કે દાન વગેરે શુભ કર્મ નહોતા કર્યા.ધનને જ તમે સર્વસ્વ સમજતા હતા.તમે ધર્મને છોડીને ધનનો આશ્રય લીધો હતો.તમે દિવસ-રાત ધનની ચિંતામાં જ લાગેલા રહેતા હતા.અરબો-ખરબ સુવર્ણ મુદ્રાઓ તમોને પ્રાપ્ત થઇ હોવા છતાં તમારી તૃષ્ણા ઓછી ના થતાં વધતી જ ગઇ.તમારી પાસે જે કંઇ ધન હતું તે તમામ તમોએ જમીનમાં દાટી દીધું હતું.તમારા પૂત્ર અને પત્નીએ વારંવાર પુછવા છતાં તેમને ધન ન આપ્યું કે ધન ક્યાં સંતાડ્યું તે પણ ના બતાવ્યું.ધનના લોભમાં તમે પૂત્ર સ્નેહ પણ છોડી દીધો અને આ કર્મોના કારણે તમોને આ જન્મમાં દરિદ્ર અને પૂત્રહીન બન્યા છો.

 

એકવાર તમારા ઘેર આવેલ એક પ્રભુ ભક્ત અને ધર્માત્માની પ્રસન્નતાપુર્વક તમોએ સેવા કરી હતી અને અતિથિ સાથે તમે પણ પત્ની સહિત એકાદશીવ્રત રાખી ભગવાનું પૂજન કર્યું હતું આ કારણે તમોને ઉત્તમ બ્રાહ્મણ વંશમાં જન્મ મળ્યો છે. વિપ્રવર ! ઉત્તમ સ્ત્રી પૂત્ર કૂળ સુખ મોક્ષ વગેરે દુર્લભ વસ્તુઓ ભગવાનની કૃપાથી જ મળતા હોય છે એટલે તમે ભગવાનની શરણમાં જાઓ અને સેવા સુમિરણ સત્સંગ કરો.

 

વશિષ્ટજી દ્વારા સમજૂતી આપ્યા પછી સોમશર્માએ પોતાની પત્ની સુમનાની સાથે મળી ઘણી જ તત્પરતાથી ભગવાનના ભજનમાં લાગી ગયા.તેઓ ઉઠતાં-બેસતાં,ચાલતાં સૂતાં-જાગતાં તમામ સમયે પ્રભુમાં ધ્યાન લગાવી સુમિરણ કરવા લાગ્યા અને ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં વિચલિત થતા ન હતા. તેમની આવી લગન જોઇને ભગવાન તેમની સમક્ષ પ્રગટ થાય છે અને તેમને મનુષ્ય લોકના તમામ ઉત્તમ ભોગો અને ભગવદ ભક્ત તથા ધર્માત્મા પૂત્રની પ્રાપ્તિ થાય છે.

 

સોમશર્માના પૂત્રનું નામ સુવ્રત રાખવામાં આવે છે.સુવ્રત બાળપણથી ભગવાનનો અનન્ય ભક્ત હતો.રમત રમતાં પણ તેનું મન ભગવાનના ધ્યાનમાં લાગેલું રહેતું હતું.સુવ્રતની આવી અનન્યની ભક્તિથી પ્રસન્ન થઇને એકવાર ભગવાન તેને દર્શન આપે છે અને વરદાન માંગવાનું કહે છે ત્યારે સુવ્રત કહે છે કે હે પ્રભુ ! આપ જો પ્રસન્ન થયા હો તો મારા માતા-પિતાને પરમધામ મળે અને મારી સાથે મારી પત્નીને પણ આપના લોકની પ્રાપ્તિ થાય.ભગવાને સુવ્રતની ભક્તિથી સંતુષ્ટ થઇને ઉત્તમ વરદાન આપ્યું.

 

આમ પૂત્રની ભક્તિના પ્રભાવથી સોશર્મા અને સુમના પણ ભગવદધામમાં જાય છે.આ કથાની વિશેષ વાત એ છે કે સંસારમાં કોઇનું ઋણ ચુકવવા માટે કે કોઇની પાસેથી ઋણ વસુલ કરવા માટે જ જન્મ થાય છે કારણ કે જીવે અનેક લોકો પાસેથી ઋણ લીધું હોય છે અને અનેક લોકોને આપ્યું હોય છે.લેન-દેનનો આ વ્યવહાર અનેક જન્મોથી ચાલ્યો આવ્યો છે અને તેને બંધ કર્યા વિના જન્મ-મરણથી છુટકારો થઇ શકતો નથી.

 

સંસારમાં જેટલા અમારા સબંધીઓ છે તે તમામ લેન-દેન માટે જ અમોને મળ્યા છે એટલે મનુષ્યે તેમાં મોહ-મમતા રાખ્યા વિના પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું એટલે કે તેમની સેવા કરવી,તેમને યથાશક્તિ સુખ પહોંચાડવું.

 

મનુષ્ય શરીર વિવેક પ્રધાન છે એટલે પોતાના વિવેકને મહત્વ આપીને અમારી સાથે જે ખરાબ વ્યવહાર કરે છે તેમને પણ માફ કરી દઇ તેમની સાથે સારો વ્યવહાર કરીએ.મનુષ્ય શરીર બદલો લેવા માટે નહી પરંતુ જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ માટે મુક્ત થવા માટે મળ્યું છે.લેન-દેનનો આ વ્યવહાર બંધ કરવા માટેનો ઉપાય છેઃનિઃસ્વાર્થભાવથી બીજાઓના હિતના માટે કર્મ કરીએ.બીજાના હિતના માટે કર્મ કરવાથી જૂનુ ઋણ પુરૂ થાય છે અને બદલામાં કંઇજ ન ઇચ્છવાથી નવું ઋણ જમા થતું નથી અને આમ માનવ ઋણમુક્ત થતાં મનુષ્ય જન્મ-મરણથી છુટી ભગવાનના પરમધામમાં જાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

દેવર્ષિ નારદનું જીવનચરીત્ર

 

દેવર્ષિ નારદનું જીવનચરીત્ર

 

 

ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ વદ એકમ દેવર્ષિ નારદનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે.આજે નારદ મુનિ અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ..દેવર્ષિ નારદ ભક્તિના પ્રધાન આચાર્ય છે.તેમનું કાર્ય હંમેશાં શ્રીહરિના ગુણાનુવાદ કરવા તથા જીવોને શ્રીહરિના ચરણકમળોમાં પ્રેરિત કરવાનું છે.નારદજી હંમેશાં માનવમાત્રના મનમાં ભક્તિનો સંચાર કરવા માટે પોતાની વીણા ઉપર શ્રીલક્ષ્મી-નારાયણના ગુણોનું સંકિર્તન કરતાં કરતાં ત્રણે લોકોમાં વિચરણ કરે છે. તેમને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માનીએ છીએ કારણ કે તેમના મુખેથી સતત "નારાયણ" ના નામનું જ રટણ થતું રહે છે.તેઓ મહત્વની માહિતી-સંદેશાઓનું આદાન-પ્રદાન પણ કરતા રહે છે.

શ્રીમદ્ ભાગવતગીતાના દસમા અધ્યાયના ૨૬મા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણજીએ નારદજી માટે કહ્યું છે કે દેવર્ષિણામ્ ચ નારદઃ એટલે હું દેવર્ષિઓમાં નારદ છું.દેવર્ષિઓ કેટલાય છે પરંતુ દેવર્ષિ નારદ એક જ છે.એ ભગવાનના મનના અનુસાર ચાલે છે અને ભગવાનને જેવી લીલા કરવાની હોય છે,તેઓ પહેલેથી જ તેવી ભૂમિકા તૈયાર કરી દે છે એટલા માટે નારદજીને ભગવાનનું મન કહેવામાં આવે છે.નારદજી ખૂબ જ જ્ઞાની હતાં તેથી તેમની વાત ઉપર મનુષ્ય દેવતા અસુર નાગ વગેરે બધા જ વિશ્વાસ કરે છે,બધા જ તેમની વાત માને છે અને તેમની પાસેથી સલાહ લે છે.મહાભારત વગેરે ગ્રંથોમાં એમના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.અહી ભગવાને એમને પોતાની વિભૂતિ ગણાવી છે આમ દેવર્ષિ નારદ સ્વયં ભગવાન વિષ્ણુનો જ અવતાર છે.

 

નારદ મુનિ બ્રહ્માના માનસ પુત્ર છે કારણ કે તેમનો જન્મ બ્રહ્માના મનથી થયેલો.તેઓ ત્રણે લોકમા મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારી તરીકે પણ પ્રસિદ્ધ છે.તેઓને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે.વળી તેમના નટખટ સ્વભાવને પરિણામે કલહ્ થતો હોવાથી તેમને કલહપ્રિયનુ બિરૂદ પણ મળેલ છે.વૈષ્ણવ સંપ્રદાયમાં નારદ મુનિનુ એક આગવું સ્થાન છે.નારનો અર્થ થાય છે જળ.નારદજી જ્ઞાન-જળ અને તર્પણ કરવાનું કામ કરે છે એટલે જ તે નારદના નામથી ઓળખાય છે.

 

 

પૂર્વ કલ્પમાં નારદજી ઉપવર્હણ નામના એક ગંધર્વ હતા.એકવાર બ્રહ્મલોકમાં તમામ ગંધર્વો અને  કિન્નરો શ્રીહરિના ગુણ-સંકિર્તન માટે એકત્રિત થયા હતા.ઉપવર્હણ પણ ત્યાં ગયા હતા પરંતુ પોતાના રૂપ સૌદર્યના અભિમાનમાં ભાન ભૂલીને તે પોતાની સુંદરીઓને પણ સાથે લઇ ગયા હતા.ભગવાનના ગુણાનુવાદમાં શારીરિક સૌદર્ય અને રૂપની શું કિંમત? આવા પ્રસંગે સ્ત્રીઓને શૃંગાર ભાવનાથી સાથે લઇ જવી બહુ મોટો અપરાધ છે તેથી ઉપવર્હણનો આ પ્રમાદ જોઇને બ્રહ્માજીએ તેને શૂદ્ર-યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો.

 

 

મહાપુરૂષોનો ક્રોધ પણ કલ્યાણકારક હોય છે એટલે આ શ્રાપના ફળસ્વરૂપ તેમનો એક એવી શૂદ્ર દાસીના પૂત્રરૂપે જન્મ લીધો કે જે વેદવાદી-સદાચારી બ્રાહ્મણોની સેવામાં લાગેલાં હતાં.દાસીના ઘેર પૂત્રરૂપે જન્મ લેવા છતાં તેમનામાં શીલ-સમાનતા વગેરે સદગુણો સ્વાભાવિક રીતે હતા.જ્યારે આ બાળકની ઉંમર પાંચ વર્ષની થઇ ત્યારે તેની માતાના કોઇ સબંધીઓ જીવીત રહ્યા નહતા.તે સમયે વર્ષાઋતુમાં કેટલાક સંતો ત્યાં ચાર્તુમાસમાં રહ્યા હતા.બાળકની માતા સંતોની સેવામાં લાગેલા હતા તથા બાળક પણ સંતોની સેવા કરતો હતો અને સંતોના મુખારવિંદથી વહેતી ભગવાનની જ્ઞાનચર્ચા સાંભળતો હતો.

 

ચાર્તુમાસ પુરો થતાં તમામ સંતો જવા લાગ્યા ત્યારે તેમને દાસીના પૂત્રની નમ્રતાને જોઇને સંતોએ તેને ભગવાનના સ્વરૂપનું ધ્યાન તથા નામ-સુમિરણ કરવાનો આદેશ આપ્યો.સાધુ સંતોના ગયા બાદ કેટલાક દિવસો બાદ એક દિવસ તેમની માતા ગાયનું દૂધ દોહી રહ્યા હતાં તે સમયે તેમને સાપ કરડે છે અને મૃત્યુ પામે છે.માતાની મમત્વમયી વત્સલતાના સાંસારીક બંધનથી છુટીને આ બાળક એક પ્રભુ પરમાત્માના ભરોસે રહેવા લાગ્યો.

 

માતાના મૃત્યુ પછી નિરાધાર બનેલ બાળક ભગવાનના ભરોસે ગામ છોડીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે.ચાલતાં ચાલતાં બાળક થાકી જતાં રસ્તામાં આવતા એક સરોવરના કિનારે રોકાઇને શિતળ જળથી પોતાની તરસ છીપાવી સરોવરના કિનારે આવેલ પિપળાના વૃક્ષની છાયામાં બેસીને સાધુ સંતોએ બતાવેલ વિધિથી પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો.અચાનક તેના હ્રદયમાં ભગવાન પ્રગટ થાય છે અને એક દિવ્ય જ્યોતિથી તેનું અંતઃકરણ પ્રકાશિત થઇ ઉઠે છે પરંતુ આ પ્રકાશ વિજળીના ચમકારાની જેમ અદ્રશ્ય થઇ જાય છે જેથી બાળક વિહ્વળ બની જાય છે.બાળકની વિહ્વળતા જોઇને આકાશવાણી તેને સાંત્વના આપતાં કહે છે કે આ જન્મમાં તૂં મને જોઇ નહી શકે કારણ કે જેનું ચિત્ત પૂર્ણ નિર્મળ છે તે જ મારા દર્શનનો અધિકારી છે.તારા ઉપર મારી કૃપા કરીને એક ઝાંકી તને એટલા માટે બતાવી છે કે જેના દર્શનથી તારૂં મન મારામાં લાગી શકે.

 

બાળકે પોતાનું મસ્તક ભૂમિ ઉપર નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને તેમના ગુણ ગાતાં ગાતાં પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યો.પ્રારબ્ધકર્મ પુરૂં થતાં તેને પોતાના શરીરનો ત્યાગ કર્યો.ત્યારબાદ તે કલ્પમાં ફરીથી તેમનો જન્મ ના થયો અને કલ્પના અંતમાં તે બ્રહ્માજીમાં પ્રવિષ્ટ થઇ ગયા.સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીના મનથી તેમની ઉત્પત્તિ થઇ.હવે ભગવાન જે કંઇપણ કરવા ઇચ્છે છે તેવી જ તેમની ચેષ્ટા થવા લાગી અને તેમનું નામ નારદ પડ્યું.

 

દેવર્ષિ નારદના કાર્યો અને ગુણોનું સંકિર્તન ભલા કોન કરી શકે? પ્રહ્લાદને ભગવદભક્તિનો ગર્ભમાં જ ઉપદેશ નારદજીએ આપ્યો હતો.માતા-પિતાનો ત્યાગ કરીને ભગવાનની શોધમાં નીકળેલ બાળક ધ્રૃવને ભગવાનને પ્રાપ્ત કરવાની ઉપાસના અને પદ્ધતિ નારદજીએ જ બતાવી હતી.પ્રજાપતિ દક્ષના પૂત્રોને ભગવાનની ભક્તિના અધિકારી સમજીને તેમને વિરક્ત બનાવનાર પણ નારદજી હતા.ભગવાનની ભક્તિમાં દિવસ-રાત રત રહેનાર નારદજીને દક્ષ પ્રજાપતિએ બે ઘડીથી વધારે કોઇપણ જગ્યાએ ના રોકાવવાનો શ્રાપ આપ્યો હતો તેને પણ પ્રભુની કૃપા માનીને તેમને વરદાન સમજ્યું હતું.

 

અઢાર પુરાણોની રચના કર્યા પછી અશાંત ચિત્ત મહર્ષિ વેદવ્યાસને પરમાનંદ સ્વરૂપ શ્રીનંદનંદનની લોક મંગલકારી દિવ્ય લીલાઓને શ્રીમદ્ ભાગવદ્ પુરાણના રૂપમાં ગાયન કરવાનો ઉપદેશ આપીને તેમને કૃતાર્થ કર્યા હતા.ભગવાન નારાયણે નારદજીને 'મહતી' નામની વીણા આપી અને સાથે વરદાન આપ્યું કે તું જયારે આ વીણા વગાડીશ ત્યારે હું પ્રગટ થઈશ.આ વીણા વડે તેઓ રૂચાઓ-મંત્રો અને સ્તુતિઓ રચે છે.તેમણે ભક્તિયોગનુ નિરૂપણ તેમના નારદ ભકિતસૂત્રમાં કરેલુ જોવા મળે છે.

 

દેવર્ષિ નારદ મહાનગ્રંથોને રચનારા ભગવાન વેદવ્યાસ,વાલ્મિકી અને શુક્રદેવજીના ગુરૂ છે. નારદજીએ જ પ્રહલાદ ધ્રુવ રાજા અમ્બરીષ જેવા મહાન ભક્તોને જ્ઞાન અને પ્રેરણા આપીને ભક્તિ માર્ગમાં પ્રેરિત કર્યા હતા.

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો જેના લીધે જન્મ રહિત,નિર્ગુણ અને રૂપરહીત અવ્યક્ત સચ્ચિદાનંદઘન બ્રહ્મ મનુષ્યરૂપે અયોધ્યાપુરીના રાજા થયા હતા અને શ્રાપના લીધે ભગવાનના દ્વારપાળો રાવણ અને કુંભકરણ બને છે અને શ્રીહરિના હાથે મરીને પાછા ભગવાનના દ્વારપાળો બને છે જેની કથા સર્વવિદિત છે અને રામાયણમાં વર્ણિત છે.

 

દેવર્ષિ નારદ ભક્તિસૂત્રોના પ્રણેતા છે તેમને ૮૪ સૂત્રોમાં ભક્તિ વિશે વર્ણન કર્યું છે.જેમાં તેમને કહ્યું છે કેઃ ઇશ્વર સિવાઇના બીજા આશ્રયોના ત્યાગનું નામ અનન્યતા છે. પોતાના બધા કર્મો ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું જો થોડું ઘણું પણ વિસ્મરણ થાય તો વ્યાકુળતા વધે એનું નામ ભક્તિ છે. જ્ઞાન વિના એટલે કે ભગવાન છે એવું જાણ્યા વિના ભગવાનને કરેલો પ્રેમ એ તો ચારીત્રહીન સ્ત્રીના પ્રેમ સમાન છે. મહાપુરૂષોનો સંગ દુર્લભ અગમ્ય અને અમોઘ છે.ભગવાનની કૃપાથી જ મહાપુરૂષોનો સંગ મળે છે.ખરાબ વ્યક્તિના સંગનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.

 

ભક્તોએ સ્ત્રી,ધન,નાસ્તિક અને વૈરીનું ચરીત્ર ના સાંભળવું જોઇએ. અભિમાન દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ. બધા કર્મો અને ક્રિયાઓ ભગવાનને અર્પણ કર્યા પછી પણ કામ ક્રોધ અભિમાન વગેરે રહી ગયા હોય તો તેને પણ ભગવાનને અર્પણ કરી દેવા. સુખ-દુઃખ ઇચ્છા લાભ વગેરેનો પૂર્ણ રીતે ત્યાગ થઇ જાય તેવા સમયની રાહ ના જોતાં અડધી ક્ષણ પણ ભજન પ્રાર્થના વિના વ્યર્થ વિતાવવો ના જોઇએ. સાધકે અહિંસા સત્ય શૌચ દયા આસ્તિકતા વગેરે આચરણીય સદાચારોનું સારી રીતે પાલન કરવું જોઇએ.

 

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

સબ તીરથ બાર-બાર,ગંગાસાગર એક બાર.

 

તીર્થયાત્રા..

*સબ તીરથ બાર-બાર,ગંગાસાગર એક બાર..*

 

ગંગાસાગરને તમામ તીર્થોના પિતા કહેવામાં આવે છે.અન્ય તીર્થો કરતાં ગંગાસાગરનું મહત્વ વધુ છે એટલે તો જન-સાધારણમાં એક કહેવત પડી ગઇ છે કે સબ તીરથ બાર-બાર,ગંગાસાગર એક બાર..

 

પવિત્ર ગંગા નદીનો જે સ્થાને સમુદ્ર સાથે સંગમ થાય છે તેને ગંગાસાગર કહેવામાં આવે છે.ગંગા સાગર એક ઘણો જ સુંદર વન-દ્વિપનો સમુહ છે જે બંગાળની દક્ષિણ સીમામાં બંગાળની ખાડીમાં સ્થિત છે.પ્રાચિન સમયમાં તેને પાતાળ લોકના નામથી પણ ઓળખાતો હતો.કલકત્તા જતા યાત્રાળુઓ મોટા ભાગે હોડીમાં બેસીને ગંગાસાગર જાય છે.

 

મેળાના સમયે અહીયાં ઘણી જ ભીડ થાય છે પરંતુ બાકીના દિવસોમાં ભીડ વગરનું શાંત વાતાવરણ હોય છે.આ તીર્થ સ્થાન સાગર-દ્વિપમાં ફક્ત થોડા સાધુઓ જ નિવાસ કરે છે.આ જગ્યા વનરાજીથી ઢંકાયેલ અને લગભગ જનહીન જોવા મળે છે.આ સાગર દ્વિપમાં જ્યાં ગંગાસાગરનો મેળો ભરાય છે ત્યાંથી એક કિલોમીટર દૂર ઉત્તર દિશામાં વામનખલ સ્થાન ઉપર એક પ્રાચિન મંદિર આવેલું છે.

 

અત્યારે જે જગ્યાએ ગંગાસાગર મેળો ભરાય છે,અહી પહેલાં ગંગાજી સમુદ્રમાં મળતા હતા પરંતુ હવે ગંગાજીની એક નાની ધારા જ સમુદ્રને મળે છે.અહીયાં સપાટ મેદાન અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ઘનઘોર જંગલ નજરે પડે છે.મકરસંક્રાતિના દિવસે અહીયાં મેળો ભરાય છે તેમાં સમગ્ર દેશમાંથી યાત્રીઓ આવે છે તેની જગ્યા માટે કેટલાય કિમી સુધીના વિસ્તારના જંગલોને કાપવાં પડતાં હોય છે.ખાવા-પીવા માટેની હોટલો,પૂજા-પાઠની સામગ્રી તથા અન્ય સામાનની અનેક દુકાનો ખોલવામાં આવે છે.

 

અહીં મહર્ષિ કપિલના કોપથી બળી ગયેલા સગર રાજાના સાઠ હજાર પુત્રોનો ભગીરથે ગંગાનું અવતરણ કરાવીને ઉદ્ધાર કર્યો હતો તેથી આ સ્થળમાં ગંગાસ્નાનનું માહાત્મ્ય છે.ટાપુનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે તેથી આ મંદિરની મૂર્તિઓ કલકત્તામાં રાખવામાં આવે છે અને મેળાના સમયે અહી લાવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.આ જ રીતે કાર્તિકી પૂર્ણિમાએ પણ અસંખ્ય શ્રદ્ધાળુ યાત્રિકો ગંગાસ્નાન માટે આવે છે.અહીં આવતા યાત્રિકો મુંડન કરાવીને, સ્નાન કરીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરે છે.

 

આ વિશે રામાયણમાં કથા આવે છે કે પાતાળ લોકમાં કપિલ મુનિ તપસ્યા કરી રહ્યા હતા તે સમયે અયોધ્યાના સૂર્યવંશી રાજા સગરે એક અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું.તેમના અશ્વમેઘ યજ્ઞથી પોતાનું ઇન્દ્રાસન પચાવી પાડશે તેવા ડરથી ઇન્દ્રે રાક્ષસનું રૂપ ધારણ કરીને યજ્ઞનો અશ્વ ચોરીને પાતાળલોકમાં આવેલા કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો.સગર રાજાની બે પત્નીઓ હતીઃકેશિની અને સુમતિ. કેશિનીના ગર્ભથી અસમંજસ અને સુમતિના ગર્ભથી સાઇઠ હજાર પૂત્રો થયા હતા.અસમંજસ ઘણો જ ઉદ્ધત સ્વભાવનો હતો તેથી તે પ્રજાજનોને ઘણી જ તકલીફ આપતો હતો તેથી સગર રાજાએ તેને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મુક્યો હતો.

 

અશ્વમેઘનો અશ્વ ચોરાઇ જવાથી સગર રાજાને ઘણી જ ચિંતા થાય છે એટલે તેમને પોતાના સાઇઠ હજાર પૂત્રોને અશ્વને શોધવા મોકલે છે.સાઇઠ હજાર પૂત્રો અશ્વને શોધતાં શોધતાં પાતાળલોકમાં પહોંચી જાય છે.ત્યાં તેમને કપિલ મુનિના આશ્રમમાં યજ્ઞના અશ્વને બાંધેલો જોયો તેથી તેમને કપિલ મુનિને જ ચોર સમજીને તેમનું અપમાન કર્યું.અપમાનિત કપિલ ઋષિએ તમામ બળીને ભસ્મ થઇ જવાનો શ્રાપ આપ્યો. શ્રાપ મળતાં સગર રાજાના સાઇઠ હજાર પૂત્રો બળીને ભસ્મ થઇ જાય છે.

 

પૂત્રોના આવવામાં વિલંબ થયો હોવાથી સગર રાજા પોતાના પૌત્ર અંશુમાન કે જે અસમંજસનો પૂત્ર હતો તેને શોધવા માટે મોકલે છે.અંશુમાન અશ્વ અને પોતાના કાકાઓને શોધતાં શોધતાં પાતાળ લોકમાં આવે છે કે જ્યાં પોતાના સાઇઠ હજાર કાકાઓને ભસ્મ થયેલા જોઇને તમામ પરિસ્થિતિ સમજી જાય છે.અંશુમાન કપિલ મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કરી લે છે.

 

કપિલ મુનિ અંશુમાનને અશ્વ લઇ જવાની પરવાનગી આપે છે અને કહે છે કે જો સગર રાજાના કોઇ વંશજ પવિત્ર ગંગાજીને અહી લઇ આવે તો મૃત્યુ પામેલ સગર રાજાના સાઇઠ હજાર પૂત્રોનો ઉદ્ધાર થશે. અંશુમાન અશ્વને લઇને અયોધ્યા આવે છે.યજ્ઞ પુરો થયા પછી રાજા સગરે ત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું અને છેલ્લે પોતાના પૌત્ર અંશુમાનને રાજગાદી સોંપી સ્વર્ગે સિધાવે છે.અંશુમાને ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમને સફળતા ના મળતાં તેમના પૂત્ર દિલીપે લાંબો સમય સુધી તપસ્યા કરી તેમછતાં તેમને પણ સફળતા ના મળી. દિલીપના પૂત્ર ભગીરથે ઘોર તપસ્યા કરી ત્યારે ગંગાજીએ આશ્વાસન આપ્યું કે હું પૃથ્વી ઉપર આવું પરંતુ જ્યારે હું સ્વર્ગલોકમાંથી પૃથ્વી ઉપર આવું તે સમયે મારા પ્રવાહને કોન ઝીલશે? એવો પ્રશ્ન ઉભો કર્યો.

 

આ કાર્ય માટે રાજા ભગીરથે ભગવાન શિવને ગંગાજીના પ્રવાહને ઝીલવા પ્રસન્ન કર્યા.બહુ અભિમાનથી ઉતરેલા ગંગાજીને ભગવાન શિવે પોતાની જટામાં જ ગુંચવી નાખ્યાં.ભગીરથે ફરીથી તપ કરી ભોળાનાથને પ્રસન્ન કરી ગંગાજીને ભગવાન શિવ પાસેથી મુક્ત કરાવ્યાં.

 

 ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા.ભગીરથે ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા ત્યારે શિવજીએ ગંગાજીને જટામાંથી છુટા કર્યા.ગંગાજી શિવજીના મસ્તકમાંથી સાત સ્ત્રોતોમાં ભૂમિ ઉપર ઉતર્યા. હ્યદિની પાવની અને નલિની નામના ત્રણ પ્રવાહ પૂર્વની તરફ અને સુચક્ષુ-સીતા અને સિંધુ નામના ત્રણ પ્રવાહ પશ્ચિમ તરફ અને અંતિમ એક પ્રવાહ ભગીરથના બતાવેલ માર્ગે વહેવા લાગ્યો.ભગીરથ ગંગાજીની સાથે પગપાળા ચાલી શકે તેમ ન હોવાથી તેમને એક રથ આપવામાં આવ્યો.

 

ભગીરથ ગંગાજીને લઇને તે જગ્યાએ આવે છે કે જ્યાં તેમના પ્રપિતામહ બળીને ભસ્મ થયા હતા તે સમયે રસ્તામાં જુહૂ મુનિનો આશ્રમ આવે છે અને ગંગાજીના પ્રવાહમાં તે ડૂબી જાય છે તેથી ક્રોધમાં આવી જુહૂ મુનિ સંપૂર્ણ ગંગાજળને પી જાય છે.ભગીરથ અને તમામ દેવતાઓ ચિંતિત થઇ જુહૂ મુનિનું પૂજન કરી ગંગાજી તેમની પૂત્રી છે તેમ કહી ક્ષમાયાચના કરી તેમને પ્રસન્ન કરે છે.ત્યારે જુહૂ મુનિ પોતાના કાનના માર્ગથી ગંગાજીને બહાર વહાવ્યા ત્યારથી ગંગાજી જુહૂસૂતા જાહ્નવી કહેવાયા.ગંગાજી તમામ સાઇઠ હજાર સગર પૂત્રોનો ઉદ્ધાર કરીને સાગરમાં ભળી જાય છે.ભગીરથ દ્વારા ગંગાજીને સ્વર્ગમાં લાવવામાં આવ્યાં તેથી ગંગાજીનું એક નામ ભાગીરથી પડ્યું છે.

 

પવિત્ર ગંગાજીની પૂર્વભૂમિકા જોઇએ તો ભગવાન નારાયણે વામન અવતાર ધારણ કર્યો અને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે સૌપ્રથમ પૃથ્વીને માપવા પોતાના પગને ઉઠાવ્યો ત્યારે ભગવાનના ચરણ બ્રહ્મલોક સુધી જતાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંના દિવ્યજળથી ભગવાનના ચરણ પખાળ્યા અને ચરણામૃતને પાછું પોતાના કમંડળમાં સ્થાપિત કર્યું એ જ પવિત્ર ગંગાજી કહેવાયા.આવી રીતે ગંગાજી યુગો સુધી બ્રહ્માજીના કમંડલમાં રહ્યા હતા.

 

જે જગ્યાએ ભગીરથે પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો હતો તે સ્થાન સાગર દ્વીપ કે ગંગા સાગર કહેવાય છે.ગંગાસાગરથી થોડે દૂર કપિલ ઋષિનું ૧૯૭૩માં એક મંદિર બનાવવામાં આવ્યું છે.અહીં કપિલ મુનિની અને ભગીરથ રાજાની પ્રાચીન મૂર્તિઓ છે જેમાં રાજા ભગીરથને પોતાની ગોદમાં લીધેલ છે તેવી ગંગાજીની મૂર્તિ છે અને બીજી બાજુ રાજા સગર તથા ભક્ત હનુમાનજીની મૂર્તિ છે.આ સિવાય અહીયાં સાંખ્યયોગના આચાર્ય ભગવાન કપીલનો આશ્રમ,મહાદેવ મંદિર,યોગેન્દ્ર મઠ,શિવ-શક્તિ મહાનિર્વાણ આશ્રમ તથા ભારત સેવાશ્રમ સંઘનું વિશાળ મંદિર આવેલું છે.

 

આમ ચાર-ચાર પેઢીની ઘોર તપસ્યાથી અસફળતા મળતાં હાર માન્યા વિના, હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખ્યા તો ભગીરથને સફળતા મળી.વર્તમાન સમયમાં પણ કોઇના દ્વારા અશક્ય લાગતું કામ પૂર્ણ કરવામાં આવે તો તેને ભગીરથ કાર્ય કહેવામાં આવે છે.આવો આજના માનવીઓ જીવનમાં કદાચ નિષ્ફળતા મળે તો ગભરાશો નહી.સખત પરીશ્રમ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે જ છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

કોણાર્કનું સૂર્યમંદિર

 

તીર્થયાત્રા..

કોણાર્કનું સૂર્યમંદિર

 

કોણાર્ક સૂર્યમંદિર ભારતના ઓરિસ્સા રાજ્યમાં જગન્નાથપુરીથી ૩૫ કિમી કોણાર્ક નામના શહેરમાં આવેલું છે.આ ભારતવર્ષમાં આવેલા પ્રસિદ્ધ સૂર્યમંદિરો પૈકીનું એક છે.આ મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે.જેને સ્થાનિક લોકો બિરંચી-નારાયણ કહે છે.આ કારણોસર આ વિસ્તારને આર્ક-ક્ષેત્ર (આર્ક=સૂર્ય) અથવા પદ્મ-ક્ષેત્ર કહેવામાં આવે છે.પુરાણ કથાનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બને શ્રાપને કારણે રક્તપિત્તનો રોગ થયો હતો.સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્ક ખાતે બાર વર્ષ તપસ્યા કરીને સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા.સર્વ રોગોનો નાશ કરનાર સૂર્યદેવે તેમનો રોગ મટાડ્યો હતો તેથી સામ્બે અહી સૂર્યદેવનું મંદિર બનાવ્યું હતું.તેમના સાજા થયા પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતી વખતે તેમને સૂર્ય ભગવાનની મૂર્તિ મળી.આ મૂર્તિ દેવોના શિલ્પી વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવી હતી.સામ્બે આ મૂર્તિને મિત્રવનમાં તેમના દ્વારા બનાવેલા મંદિરમાં સ્થાપિત કરી ત્યારથી આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે.ઈતિહાસકારોનો મત છે કે કોણાર્ક મંદિરના નિર્માતા રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે અવસાનના કારણે મંદિરનું નિર્માણ કાર્ય ખોરવાઈ ગયું હતું પરિણામે અધૂરું માળખું તૂટી પડ્યું હતું પરંતુ આ વાતને ઐતિહાસિક સમર્થન મળતું નથી.પુરીના મદલપંજી અનુસાર અને ઇ.સં.૧૨૭૮ના તામ્રપત્રો અનુસાર રાજા લાંગૂલ નૃસિંહદેવે ૧૨૮૨ સુધી શાસન કર્યું હતું.કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ ૧૨૫૩ થી ૧૨૬૦ વચ્ચે થયું હતું.

 

કોણાર્ક શબ્દ 'કોણ' અને 'અર્ક' શબ્દોથી બનેલો છે.અર્ક એટલે સૂર્ય અને કોણનો અર્થ ખૂણો થાય છે. આ કોણાર્ક સૂર્યમંદિર બલુઆ લાલ પથ્થર અને કાળા ગ્રેનાઈટના પથ્થરોથી બનેલું છે.આ મંદિર ઇ.સં.૧૨૩૬ થી ૧૨૬૪ સુધીમાં ગંગવંશના તે સમયના સામંતરાજા નૃસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.આ મંદિરને ૧૯૮૪માં યુનેસ્કો દ્વારા વિશ્વની ધરોહર સ્થળ જાહેર કરવામાં આવી છે.કલિંગ શૈલીમાં બનાવેલા આ મંદિરમાં સૂર્ય ભગવાન (અર્ક) રથમાં બિરાજમાન છે તથા પથ્થરો પર ઉત્તમ કોતરણી કરવામાં આવી છે.સમગ્ર મંદિર સ્થળમાં ચક્રોની બાર જોડી તથા સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે તેવું બનાવવામાં આવ્યું હતું જેમાં સૂર્ય ભગવાનને રથમાં બેઠેલા બતાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં સાતમાંથી એક જ ઘોડો બચ્યો છે.આ બાર ચક્રો જે મંદિરના પાયાની સુંદરતામાં વધારો કરે છે તથા દરેક ચક્ર વર્ષના બાર મહિના દર્શાવે છે.આ ચક્ર આઠ આરાથી બનેલું છે જે દિવસના આઠ પ્રહરનું દર્શાવે છે. મુખ્ય મંદિર ત્રણ મંડપમાં બંધાયેલું છે જેમાંથી બે મંડપ પડી ગયા છે.ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ સ્વતંત્રતા પહેલાં રેતી અને પથ્થરો ભરીને મંદિરને વધુ નુકસાન ન થાય તે માટે તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દીધા હતા.આ મંદિરમાં સૂર્યદેવની ત્રણ મૂર્તિઓ છે.

 

મંદિરની દક્ષિણબાજુએ બે સુશોભિત ઘોડાઓ છે,જેને ઓરિસ્સા સરકાર દ્વારા રાજચિન્હના રૂપમાં સ્વીકાર કરેલ છે જે ૧૦ ફુટ લાંબા અને ૭ ફુટ પહોળા છે.આ મંદિર હવે આંશિક રીતે ખંડેરમાં ફેરવાઈ ગયું છે.આ મંદિર તેની કામુક મુદ્રાઓના શિલ્પો માટે પ્રસિદ્ધ છે.આ મંદિરમાં ૨૨૯ ફુટ ઊંચું મુખ્ય ગર્ભગૃહ છે. મુખ્ય દેવતા મુખ્ય ગર્ભમાં નિવાસ કરતા હતા પરંતુ હવે તે તોડી પાડવામાં આવ્યું છે.મંદિરનું મુખ્ય પ્રાંગણ ૮૫૭ ફુટ લાંબુ અને ૫૪૦ ફુટ પહોળું છે.સૂર્ય મંદિરના શિખર ઉપર એક ચુંબકીય પથ્થર છે તેના પ્રભાવથી કોણાર્ક નજીકના સમુદ્રમાંથી પસાર થતા જહાજો તેની તરફ ખેંચાઇ આવતા હતા જેનાથી તેને ભારે નુકસાન થતું હતું.આ પથ્થરને કારણે જહાજોને સાચી દિશા બતાવતા નહોતા તેથી વહાણોને બચાવવા માટે મુસ્લિમ ખલાસીઓ આ પથ્થરને બહાર કાઢીને લઇ ગયા.આ પથ્થર મુખ્ય પથ્થર તરીકે કામ કરી રહ્યો હતો જેના કારણે મંદિરની દિવાલોના તમામ પથ્થરો સંતુલિત હતા.તેની હિલચાલને કારણે મંદિરની દિવાલોએ તેમનું સંતુલન ગુમાવ્યું અને પરિણામે તે તૂટી પડ્યું હતું પરંતુ આ ઘટના અંગે કોઈ ઐતિહાસિક તથ્ય નથી,ના તો આવા કોઈ ચુંબકીય કેન્દ્રીય પથ્થરના અસ્તિત્વનું કોઈ વર્ણન છે.

 

સને ૧૫૬૮માં ઓરિસ્સામાં મુસ્લિમોનો આતંક ઓછો થયો પરંતુ હિંદુ મંદિરોને તોડી પાડવા પ્રયાસો ચાલુ હતા તેથી કોણાર્કના સૂર્ય મંદિરના પંડાઓએ મુખ્ય દેવતાની મૂર્તિને ત્યાંથી હટાવીને કોઇ ગુપ્ત સ્થાનમાં વર્ષો સુધી છુપાવીને રાખી હતી ત્યારપછી આ મૂર્તિને જગન્નાથ મંદિર,પુરીના પ્રાંગણમાં સ્થિત ઈન્દ્રના મંદિરમાં મૂકવામાં આવી હતી.આ મંદિરની મૂર્તિઓની શોધ ચાલુ છે પરંતુ કહેવાય છે કે સૂર્યદેવની મૂર્તિ જે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવી છે તે કોણાર્કની મુખ્ય મૂર્તિ છે. કોણાર્કમાં મંદિરમાંની મૂર્તિ હટાવ્યા પછી સૂર્ય-વંદના બંધ થઈ ગઈ જેના લીધે કોણાર્કમાં યાત્રાળુઓનું આગમન બંધ થઈ ગયું છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

જીવાત્માની ચાર રાણીઓ

 

જીવાત્માની ચાર રાણીઓ

 

એક રાજાને ચાર રાણીઓ હતી.પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો.બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે,ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંઝવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવતો હતો અને ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય, રાજા તેણે સામેથી ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય.

 

રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી ત્યારે પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી.બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી, એણે તો એવું કહ્યું કે સાથે આવવાની ક્યાં વાત કરો છો? હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ.ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હું તમારી સાથે નહી આવી શકું.રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે જ આવીશ.

 

આપણે બધાના જીવનમાં પણ આપણે આ ચાર રાણીઓને પરણ્યા છીએ. પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.બીજી રાણી તે આપણી ધન-સંપતિ,બંગલા મોટરગાડી,પદ-પ્રતિષ્ઠા અને પૈસો કે જેને ઘરની બહાર આપણે બીજાને દેખાડવામાં પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાય થતાં જ તે સંપતિ બીજાની થઇ જાય છે.ત્રીજી રાણી તે આપણો ઘરપરિવાર અને સગાવહાલાં અને ચોથી રાણી તે આપણો આત્મા.

 

સંતો ચેતવણી આપે છે કે હે માનવ.. મૃત્યુ પથ ૫ર ઘોર અંધકાર હશે ત્યારે જ્ઞાનનો દિ૫ક જો સાથે હશે તો તે રસ્તે અજવાળું થશે.સગાં-સબંધીઓનો એ રસ્તે મેળ થઇ શકવાનો નથી.પ્રભુ નામની દૌલત વિના બીજું કંઇપણ સાથે આવવાનું નથી.અંત સમયમાં સિકંદર જેવા વિશ્વ વિજેતા રાજા પણ ખાલી હાથે ગયા છે.પ્રભુ પરમાત્મા વિના આપણો કોઇ સાથી નથી.પૂત્ર પૂત્રી સગાં સબંધી એ બધી ઢળતી છાયા છે,ધન ધાન્ય અને સુંદર મહેલો આ બધી માયા છે.જે જન્મ્યો છે તે બધાને એક દિવસ સંસાર છોડીને જવાનું છે,જે શ્વાસને તૂં તારા સમજે છે તે તો પારકી અમાનત છે માટે એકવાર પ્રભુ પરમાત્માને જાણીને તેના ગુણગાન ગાશો તો લક્ષચૌરાશી અને નરક યાતનાથી બચી શકાશે.

 

ભગવાને કૃપા કરીને સુંદર શરીર આપ્યું છે તે ઇશ્વરની અમાનત છે.આપણી સુખ સુવિધાઓ માટે પ્રભુએ જે સુખના સાધનો આપ્યા છે તે તમામ વિનાશી અને હરતી ફરતી છાયા છે તેને પ્રભુની અમાનત માને છે તે જ જલકમલવત જીવન જીવી શકે છે.મારૂં મારૂં કહીને આપણે ખોટો અહમ વધારીએ છીએ.ભવ્ય ઇમારત અને કુટુંબ પરીવાર એ તમામ માયા છે.માનવ-શરીર પ્રભુ દ્વારા માનવને આપવામાં આવેલ સર્વશ્રેષ્ઠન ઉ૫હાર છે.આ દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો ઉ૫ભોગ કરવો જોઇએ.તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે, જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા સુમિરણ સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધી શકાય છે.

 

સગાં-સબંધીઓ તમામ સ્વાર્થના સગા છે,દુનિયાના તમામ સગપણ જૂઠા છે,ધન-વૈભવએ ઢળતી છાયા જેવા છે, આપણો સાચો સાથીદાર, ભવસાગરની નૌકાનો સાચો સુકાની પ્રભુ પરમાત્મા છે.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે. નિઃસ્વાર્થભાવથી સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો.પોતાના ૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા જોઇએ કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે, છેલ્લે તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે.દરેક સમયે અંગસંગ રહેવાવાળા ૫રમાત્માનું ધ્યાન કરતા રહો.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.

 

આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.શરીરમાં છે એટલે તેને આત્મા અને જે બહાર સર્વવ્યાપક છે તેને પરમાત્મા કહે છે. મનુષ્યમાંનો આત્મા ૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે,જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્ટ કરવાના બદલે શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરીશું તો અંતસમયે પ્રભુનું નામસુમિરણ જ ઉ૫યોગી થાય છે. આ મનુષ્ય શરીર પાંચ તત્વોનું બનેલું છે એટલે તે બ્રહ્મ નથી પરંતુ જે જીવ (કૂટસ્થ) આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.આ માયાવી દેહના ૫ડદામાં બેસીને આપ ૫રમેશ્વર જ આ દેહને નાચ નચાવો છો.પોતે આ શરીરમાં બેસીને અશરીરીનાં દર્શનનાં દ્વાર ખોલો છો અથવા એમ કહેવાય કે અસત્ય દેહમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવો છો એટલે કે અધિકારી જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરો છો.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદાની પાછળ છુપાયેલા આ સર્વવ્યાપી પ્રભુ ૫રમાત્મા બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.જે કંઇ દ્દશ્યમાન છે તે બ્રહ્મ નથી પણ માયા છે.શરીર ૫ણ દ્દશ્યમાન હોવાથી બ્રહ્મ નથી પરંતુ આ દેહની અંદર જે અદ્દશ્ય જીવ (દેહી અથવા આત્મા) જ બ્રહ્મ છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.

 

જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.

 

એકવાર વાંદરા પકડવાવાળા શિકારીએ વાંદરાઓ પકડવા એક નાનો ઘડો કે જેનું મુખ નાનું છે તેમાં થોડા ચણા ભરીને તેને જમીનમાં દાટી દીધો અને થોડા ચણા ઘડાની આસપાસ પાથરી દીધા.એક વાંદરાની નજર ચણા ઉપર પડી.તેને આસપાસ વેરાયેલા ચણા ખાઇને ઘડામાં ભરેલા ચણાને જોયા.ચણા મેળવવાની લાલચમાં તેને બંન્ને હાથ ઘડામાં નાખીને ચણાની મુઠ્ઠી ભરી લીધી.ઘડાનું મુખ નાનું હોવાથી તેના બંન્ને હાથ ઘડામાં ફંસાઇ ગયા.વાંદરો ચણાને છોડી શકતો નથી તેથી હાથ બહાર નીકળી શકતા નથી. વાંદરો પરેશાન થઇને બૂમાબૂમ કરે છે પણ મુટ્ટી ખોલતો નથી.નજીકથી પસાર થતા એક સજ્જને વાંદરા ઉપર દયા લાવીને તેનાથી દૂર એક કેળુ મુક્યું કે જેને જોઇને વાંદરો ચણા ભરેલી મુઠ્ઠી ખોલીને કેળુ લેવા આવી શકે.વાંદરાનું ધ્યાન ચણા છોડીને કેળામાં ગયું અને તેની મુઠ્ઠી ખુલી ગઇ.મુઠ્ઠી ખુલતાં જ તેના હાથ બહાર આવી ગયા અને તે કેળુ લઇને ભાગી જાય છે.બંધનમુક્ત થઇ જાય છે.

 

આવી જ રીતે કાળે અમોને આ સંસારમાં ફંસાવી રાખવા માટે સુખ-સુવિધાઓરૂપી ચણા આપ્યા છે. આખું જીવન અમે તેની પાછળ ભાગીએ છીએ પરંતુ તે હાથમાં આવતાં નથી.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂને અમારી ઉપર દયા આવે છે અને અમારી સામે મોક્ષરૂપી કેળું રાખી દે છે.આ મોક્ષરૂપી કેળાને લેવા માટે અમારી સુખ-સુવિધાઓરૂપી ચણાની મુઠ્ઠી આપોઆપ ઢીલી થઇ જાય છે અને અમે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ..

 

અનેક જન્‍મો ૫છી મળેલો આ અત્‍યંત દુર્લભ મનુષ્‍ય જન્‍મ પામીને બુધ્‍ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્‍યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્‍ન કરવો જોઇએ.જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.

 

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કે અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી,તેને જ મોક્ષ કહેવામાં આવે છે.

 

મનુષ્‍યએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્‍તિ કરવા માટે ધર્મ અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્ર વિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્‍યને બાંધતાં નથી.

 

મન એવમ મનુષ્યાણામ બંધન કારણ મોક્ષયો..મન જ અમારા બંધન અને મોક્ષનું કારણ છે.જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્‍ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો.ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી..! મનને પ્રભુ પરમાત્‍માના ચરણારવિંદમાં જોડીને નિરંતર નામ સુમિરણ કરતાં કરતાં સાંસારીક કાર્યો કરવાં જોઇએ.પરમગતિ (મોક્ષ) પ્રાપ્‍ત કરવા માટે હંમેશાં પ્રભુ ૫રમાત્‍માનું ચિંતન જ  શ્રેષ્‍ઠ ઉપાય છે.

 

દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્‍ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્‍ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.

 

ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે,એ ભક્તિ સ્વતંત્ર સાધનરૂપ છે કારણ કે તેને યોગ કે જ્ઞાન..વગેરે કોઇનું અવલંબન હોતું નથી.જ્ઞાન અને વિજ્ઞાન ભક્તિને આધિન છે.ભક્તિ અનુ૫મ સુખનું મૂળ છે ૫ણ ભક્તિ જો સંતજનો અનુકૂળ હોય તો જ પ્રાપ્ત થાય છે.

 

જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગયોનિઓ છે.મનુષ્‍યયોનિમાં કરેલા પા૫-પુણ્ય ભોગવવા માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્ય કરવાનો અથવા પા૫-પુણ્યથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.

 

આ૫ણી જેમ અર્જુનને ૫ણ પોતાના દોષોની ચિંતા થઇ હતી.ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેને કહ્યું કે "સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ,અહં ત્વા સર્વપાપેભ્યો  મોક્ષયિષ્યામિ મા શુચઃ" (ગીતાઃ૧૮/૬૬) તું તમામ ધર્મોનો આશ્રય છોડીને કેવળ મારે એકલાને જ શરણે આવી જા.હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઇશ,તું શોક ના કરીશ.

 

સર્વે ધર્મો એટલે જીવના ધર્મો. હું ગરીબ નહી,હું શ્રીમંત નહી,નાનો નહી,મોટો નહી. તેવી રીતે હું કંઇ જ નહી, કોઇ જાતનો ધર્મ મારે નહી, હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી.આ નિર્ગુણ અવસ્થાની ટોચ છે. હું નિર્વિકલ્પ નિરાકારરૂપ છું, મારે કોઇ સંકલ્પ વિકલ્પ નથી,મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્દ્રિયોમાં છું, તમામ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂ૫ છું, મને રાગ-દ્રેષ,લોભ-મોહ-મદ-ઇર્ષ્યા નથી,મારે ધર્મ,અર્થ,કામ,મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.

 

ભગવાન કહે છે કે સઘળા ધર્મોના આશ્રય,ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કે શું કરવાનું છે? અને શું નથી કરવાનું? આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે પોતે ભગવાનના શરણે જવું..આ તમામ શાસ્ત્રોનો સાર છે.આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી. ભક્ત પ્રભુનું શરણું સ્વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય, નિઃશોક,નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.

 

ગીતામાં ધર્મ શબ્દનો અર્થ કર્તવ્ય કર્મ છે અને કર્તવ્ય કર્મનો સ્વનરૂ૫થી ત્યાગ કરવાનો નથી.સઘળા ધર્મો એટલે કે કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એજ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્તિ  થાય છે તે પ્રમાણે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન  થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.જેમ નિંદ્રાની સમાપ્તિ થતાં સ્વપ્નમાંના ઘર,પત્ની વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્યાગ કરવાથી સર્વ ધર્મોનો આપોઆ૫ લય થાય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ મહાઆકાશમાં એકતા પામે છે તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્વરૂ૫માં એકતા પામશે માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્ધ  માર્ગ છોડી દે. સર્વ બંધનોનું મૂળ ઉત્પન્ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્નતા જ છે, તે મારા સ્વરૂ૫ના જ્ઞાન(બ્રહ્મજ્ઞાન)થી નાશ પામશે.અનન્ય ભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.

 

સત્સંગ મોક્ષનું દ્વાર છે,સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે, સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે, સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે, સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી, સત્સંગથી નિશ્ચલ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે.

 

ચાર પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે.વચ્ચે અર્થ અને કામ છે.આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે.આ બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાનાં છે.ધર્મ અને મોક્ષ એ બંને પુરૂષાર્થ મુખ્ય છે, બાકીનાં બે અર્થ અને કામ ગૌણ છે.ધર્મ વિરૂદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી.ધર્મ વિરુદ્ધનો અર્થ અને કામ એ અનર્થ કરે છે.

 

વશિષ્ઠજી એ મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.(૧)શુભેચ્છા..શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે. (૨)સંતોષ..જે કંઈ મળ્યું છે તેમા સંતોષ માનવો.. (૩)સ્વરૂપાનુસંધાન..પોતાના સ્વરૂપને ભૂલવું નહિ.લક્ષ્યને ભૂલે તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે. (૪)સત્સંગ..થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.

 

બ્રહ્મર્ષિ વશિષ્ઠે કહ્યું છે કે આ ચાર યાદ રાખો તો મોક્ષ સુલભ છે.સંસાર છોડવાની જરૂર નથી. ઉ૫નિષદો આ વિશે કહે છે કે જીવ અને બ્રહ્મની સામ્યાવસ્થા મોક્ષ છે.જીવ અને બ્રહ્મનું પૂર્ણ તાદાત્મય જ મોક્ષ છે.પ્રવાહશીલ નદીઓ જેવી રીતે સાગરમાં સમાઇ જાય છે તેવી જ રીતે જ્ઞાની પુરૂષો ૫ણ નામ રૂ૫ ગુણોના બંધનોથી ઉ૫ર જઇ ૫રમાનંદમાં સમાઇ જાય છે.જીવ બ્રહ્મમાં પૂર્ણરૂ૫થી એકાકાર બની જાય છે. મોક્ષની ઉ૫રોક્ત અવસ્થાઓને ધ્યાનથી જોઇએ તો આ વિશે બે ધારણાઓ પ્રચલિત છે.

 

મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ ના કરવો.શરીર અને ઇન્દ્દિયોના બંધનોથી છુટકારો મેળવી બ્રહ્મમાં લીન થવું અને જીવતાં જીવ બ્રહ્મની સાથે સબંધ થવો અને મોક્ષનો અનુભવ કરવો. વાસ્તવમાં જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.પ્રત્યેક અવસ્થાની પ્રાપ્તિના માટે સાધનોનો ઉ૫યોગ કરવામાં આવે છે. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિના માટે મુખ્ય બે સાધન છે.ધર્મ અને સદગુરૂ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)