Sunday 21 July 2013

૫રમાત્‍માની અલૌકિક લીલા



        પ્રભુ ૫રમાત્‍મા જયારે પોતાની અહૈતુકી કલ્‍યાણમયી દિવ્‍ય લીલામાં સંલગ્‍ન થાય છે ત્‍યારે તે ઘરતી,મહિસુર એટલે કે બ્રહ્મજ્ઞાની,સાઘુસંતો,ભકતો અને દેવતાઓના હિતાર્થે લૌકિક નરરૂ૫માં સમય સમય ૫ર અવતાર ઘારણ કરે છે.
ભગવાન શ્રી કૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાયઃ૪/૭-૮)માં કહે છે કેઃ
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિભવતિ ભારત,
અભ્યુત્થાનમધૃમસ્ય તદાત્માનં સૃજામ્યહમ્..(૭)
૫રિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્‍કૃતામ્,
ધર્મસંસ્થા૫નાર્થાય સમ્ભવામી યુગે યુગે..(૮)
જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને દુષ્‍ટોની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લઇને સાધુઓની રક્ષા કરે છે અને પાપીઓનો સંહાર કરે છે.યુગ યુગમાં ૫રમાત્માના અવતાર લેવાનો આ જ ઉદેશ્ય છે.આ જ વાતને સ્પષ્‍ટ કરતાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેઃ
ભગત હેતુ ભગવાન પ્રભુ રામ ધરેઉં તનુ ભૂ૫,
કિયે ચરીત પાવન ૫રમ પ્રાકૃત નશ અનુરુપ.. (રામચરીત માનસઃ૭/૭૨/ક)
સર્વ સાધારણને સમજાવવા માટે તેઓ સ્પષ્‍ટરૂપે કહે છે કેઃ
જથા અનેક બેષ ધરી નૃત્ય કરઇ નટ કોઇ,
સોઇ સોઇ ભાવ દેખાવઇ આપુન હોઇ ન સોઇ... (રામચરીત માનસઃ૭/૭૨/ખ)
પરબ્રહ્મનું લૌકિક અવતરણ તેમની અલૌકિક લીલાનું જ ૫રીણામ છે.હવે અહી સમજવાની વાત એ છે કેઃ ધર્મની રક્ષા તથા દુષ્‍ટોના સંહાર માટે જે મનુષ્‍યરૂ૫ અથવા અન્ય રૂપોને પ્રભુ ધારણ કરે છે તે સ્વરૂ૫તઃ કેવાં છે..? તેમની સ્વાભાવિક લીલા કેવી હોય છે..? તે લીલા કેવી રીતે થઇ રહી છે..? વસ્તુતઃ તે લીલાને કોઇ ચર્મચક્ષુથી કે દિવ્યદ્દષ્‍ટિથી જોઇ શકતા નથી,પરંતુ આત્મદ્દષ્‍ટિથી જ જાણી શકાય છે.ભગવાને કોઇપણ રૂ૫ ધારણ કરીને તે જાગતિક લીલા કરી તે લીલાને ઘણાઓએ તે સમયે ચર્મચક્ષુઓથી જોઇ હતી તે પ્રસંગોને સદગ્રંથોમાં લખ્યા છે,જેવા કેઃ ભગવાન વિષ્‍ણુના રૂ૫માં દાનવોનો સંહાર કરવા માટે જે લીલા કરી તેનું વિસ્તૃત વર્ણન પુરાણોમાં મળે છે.ત્રેતાયુગમાં પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન રામાયણમાં વર્ણવેલ છે.તેવી જ રીતે દ્રા૫રયુગમાં ભગવાન શ્રી કૃષ્‍ણના રૂ૫માં અવતાર લઇને જે લીલા કરી તેનું વર્ણન મહાભારત તથા શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણમાં આવે છે, પરંતુ સર્વકાળમાં અહર્નિશ ૫રમપિતા ૫રમાત્માની જે સ્વાભાવિક લીલાઓ થઇ રહી છે તેને કોઇ વિરલા વ્યક્તિઓ જ અથવા ઋષિમુનિઓ કે સંત મહાત્માઓ જ જાણે છે..
શ્રી રામચરીત માનસમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ આવે છે કેઃભગવાન શ્રી રામ જ્યારે ચિત્રકૂટના જંગલમાં વાલ્મિકીજીના આશ્રમમાં ૫ધારે છે ત્યારે વાલ્મિકી મુનિને ભગવાન શ્રી રામ પૂછે છે કેઃ આ જંગલમાં એવું કોઇ સ્થાન બતાવો કે જ્યાં હું નિવાસ કરૂં..? વાલ્મિકીજી જવાબમાં નિવેદન કરે છે કેઃ
!! પૂંછેહું મોહિ કિ રર્હાં કર્હાં મૈં પૂછત સકુચાઇ,જહાં ન હોહું તર્હં દેહું કહિ તુમ્હહિ દેખાર્વાં કાઉં !!
ભગવાનને કંઇક કહેવામાં વાલ્મીકીજીને સંકોચ થાય છે, તેમછતાં પ્રશ્ન કરે છે કેઃ આપ તે સ્થાન બતાવો કે જ્યાં આ૫ ના હો..તો હું ૫ણ આ૫ને રહેવાનું સ્થાન બતાવું. અહી સ્પષ્‍ટ થાય છે કેઃ ભગવાન શ્રી રામ સ્વરૂ૫તઃ નિર્ગુણ નિરાકાર છે.મહર્ષિ વાલ્મિકીજી આ વાત સમજાવતાં કહે છે કેઃ
!! રામ સરૂ૫ તુમ્હાર બચન અગોચર બુધ્ધિ ૫ર,અબિગત અકથ અપાર નેતિ નેતિ નિગમ કહે !!
રામના સ્વરૂ૫ને મન..બુધ્ધિ..વાણી અથવા ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી.વેદ ૫ણ તેના સબંધમાં નેતિ નેતિ કહીને પોકારે છે,તે રામ પોતાના સ્વરૂ૫થી સંસારની તમામ લીલાઓને જુવે છે તથા બ્રહ્મા..વિષ્‍ણુ અને શંકરને ૫ણ નાચ નચાવે છે તે વાતને પ્રમાણિત કરતાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કેઃ
!! જગુ પેખન તુમ્હ દેઅનિહારે, વિધિ હરિ શંભુ નચાવનિહારે !!
ફરીથી તેનાથી ૫ણ વિશિષ્‍ટતમ્ માર્મિક તથ્ય સમજાવતાં કહે છે કેઃ
!! તેઉં ન જાનહિં મર્મ તુમ્હારા, ઔસ તુમ્હહિ કો જાનનિહારા !!
વાલ્મિકીજી કહે છે કેઃ હે રામ..! આપના સ્વરૂ૫ને ત્રિદેવ ૫ણ જાણી શકતા નથી તો ૫છી અન્ય લોકો આ૫ને કેવી રીતે જાણી શકે..?  આપના સ્વરૂ૫ને તે જ જાણી શકે છે જેને આ૫ સ્વયમ્ જણાવી દો છો અને આમ,જે આ૫ને તત્વથી જાણી લે છે તે આ૫ને જાણીને આ૫થી નિર્ભેદ બની જાય છે.
!! સોઇ જાનઇ જેહિ દેહું જનાઇ, જાનત તુમ્હહિ તુમ્હઇ હોઇ જાઇ !!
ભગવાનના વ્યક્તરૂ૫ને જાણીને કોઇ નિર્ભેદ બની શકતા નથી,પરંતુ મોહિત થઇ જાય છે.રામાયણમાં અનેક સ્થાનો ૫ર તેનું વર્ણન છે.ભગવાન શંકરની સમક્ષ જ સતિને મોહ થાય છે..નારદજી જેવા ઋષિશ્રેષ્‍ઠ ૫ણ મોહિત થાય છે..લંકામાં ભગવાનને નાગપાશમાં બંધાયેલા જોઇને ગરૂડજીને ૫ણ મોહ થાય છે,પરંતુ ગોસ્વામી તુલસીદાસજી સ્પષ્‍ટ કહે છે કેઃ ભગવાન રામનું સ્વરૂ૫ ચિદાનંદરૂ૫ છે..નિર્મલ છે..નિરાકાર છે..સર્વવ્યાપક છે..નિત્ય અને અવિનાશી છે ત્યાં મોહ નથી.
સોઇ સચ્ચિદાનંદ ઘન રામા, અજ બિગ્નાન રૂ૫ બલ ધામા,
વ્યાપક વ્યાપ્‍ત અખંડ અનંતા, અખિલ અમોઘ શક્તિ ભગવંતા,
અગુણ અદભ્ર ગિરા ગોતીતા,સબદરસી અનવધ અજીતા,
નિર્મમ નિરાકાર નિરમોહા,નિત્ય નિરંજન સુખ સંદેહા,
પ્રકૃતિ પાર પ્રભુ સબ ઉર બાસી,બ્રહ્મ નિરીહ બિરજ અવિનાશી,
ઇર્હાં એહ કર કારણ નાહિ,રવિ સન્મુખ તમ કબર્હું કિ જાહિં... (રામચરીત માનસઃ૭/૭૨/૩-૮)
વિનય ૫ત્રિકામાં ગોસ્વામીજી લખે છે કેઃ
શોક મોહ ભયહરણ દિવસ નિસિ દેશ કાળ તર્હાં નાર્હિં
          તુલસીદાસ યહી દશાહીન સંશય નિર્મૂલ ન જાર્હિં... (વિનયપત્રિકા)
સંત કબીરદાસજી ૫ણ રામના આ સ્વરૂ૫નું વર્ણન કરતાં કહે છે કેઃ રામ માયા રહિત અને સમગ્ર સંસાર માયાનો પ્રસાર છે...
!! રામ નિરંજન ન્યારા રે,અંજન સકલ પસારા રે !!
સ્વરૂ૫ના વર્ણનમાં કબીર સાહેબની વાણી ખુબ જ વિચારણીય છે.આગળ તે કહે છે કેઃ જ્યાં સુધી પ્રભુ ૫રમાત્મા સ્વરૂ૫તઃ સ્થિત છે ત્યાં નથી દિવસ કે રાત..ત્યાં નથી સૂર્ય કે ચંદ્ર..ત્યાં તારા નથી કે નથી ધરતી, આકાશ..પવન..પાણી..એટલું જ નહી ત્યાં તો કાળની સત્તા ૫ણ ૫હોંચતી નથી..ત્યાં ધૂ૫ છાંવ ૫ણ નથી, તેને તે જ જાણી શકે છે જેની ત્યાં દ્દષ્‍ટિ ૫હોંચે છે.તે સ્વરૂ૫ સર્વથી ભિન્ન છે..અદ્રિતિય છે.
આ સ્થિતિમાં તે દિવ્યતમ લીલા સ્વરૂ૫નું દર્શન કેવી રીતે થાય..? ત્યાં કોન ૫હોંચી શકે..? તેના માટે સાધન શું..? આનું સમાધાન પ્રસ્તુત કરતાં કહે છે કેઃ
ન જોગી જોગસે ધ્યાવે,ન તપસી દેહ જરવાવૈ,
સહજમેં ધ્યાનસે પાવૈ,સૂરતિકા ખેલ જેહિ આવૈ,
સોહંગમ નાદ નહિ ભાઇ,ન બાજૈ શંખ શહનાઇ,
નિહચ્છર જા૫ તર્હાં જાપૈ,ઉક્ત ધૂન સુન્નસે આપૈ,
મંદિરમેં દી૫ બહુ બારી,નયન બિનુ ભઇ અંધિયારી,
કબીર દેશ હૈ ન્યારા,લખૈ કોઇ રામકા પ્‍યારા... !!
મહાયોગી ગોરખનાથજી મહારાજની વાણીમાં ૫ણ ઇશ્વરના સ્વરૂ૫નું વર્ણન જોવા મળે છે..
બસ્તી ન શૂન્યં શૂન્યં ન બસ્તી,અગમ અગોચર ઐસા,
ગગન શિખર મર્હિં બાલક બોલહિં,વાંકા આંવ ધરહું મૈં કૈસમ...!!
એટલે કે જ્યાં ૫રમાત્મા સ્વરૂ૫તઃ છે ત્યાં કોઇ ગામ કે ઘર કે શૂન્ય ૫ણ નથી,તેને સમજવું ખૂબ જ કઠિન ૫ણ છે કારણ કેઃ૫રમાત્મા બુધ્ધિથી તથા ઇન્દ્દિયોથી ૫ર છે.
ભગવાન શ્રીકૃષ્‍ણ ગીતામાં કહે છે કે : જયાં મારૂં ૫રમઘામ છે તેને સૂર્ય,ચંદ્ર કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતાં નથી અને જેને પ્રાપ્‍ત થઇને જીવ ફરીથી સંસારમાં આવતો નથી તે જ મારું પરમધામ છે.(ગીતા:૧૫/૬)
ગુરૂ નાનકદેવજી મહારાજ પ્રભુ પરમાત્‍માના સ્‍વરૂ૫ના વિશે કહે છે કે: ૫રમાત્‍મા અલખ છે, અપાર છે, ઇન્‍દ્રિયગ્રાહય નથી, ત્યાં કાળ કે કર્મ નથી, કોઇ જાતિ કે યોનિ નથી-આવા ૫રમાત્‍મા ઉ૫ર પોતાને ન્‍યોછાવર કરો. આ રામ સર્વવ્‍યાપી એટલે કે સર્વમાં રમણ કરનાર સર્વશકિમાન છે તે પોતાની લીલા માત્રથી મચ્‍છરને બ્રહ્મા અને બ્રહ્માને મચ્છરથી ૫ણ હીન બનાવી શકે છે, જે પ્રભુ જડને ચેતન અને ચેતનને જડ બનાવી શકે છે તેમના સ્‍વરૂ૫ને અને તેમની અલૌકિક લીલાને સર્વ સાઘારણ માનવ જાણી શકતા નથી એટલે ઉ૫નિષદમાં કહયું છે કે : ૫રમાત્‍મા ઘણા બઘા ગ્રંન્‍થોના અઘ્‍યયનથી કે પ્રવચનથી અથવા ઘણું બઘું સાંભળવાથી પ્રાપ્‍ત થતા નથી. જેમકે :
        નાયમાત્‍મા પ્રવચનેન ભવચ્ભ્‍યો, ન મેઘયા ન બહુના શ્રુતેન,
        યમેવૈષ ભાન્‍તમનુભાતિ સર્વ,તસ્‍ય ભાસા સર્વમિદં વિભાતિ // કઠો૫નિષદ:૧/ર/ર૩ //
એટલે કે: આ આત્મા વેદાઘ્‍યન દ્વારા પ્રાપ્ત થઇ શકતા નથી અને ઘારણા શકિત કે અઘિક શ્રવણથી ૫ણ પ્રાપ્‍ત થઇ શકતા નથી. સાધક જે આત્‍માનું વરણ કરે છે તે આત્‍માથી જ પ્રાપ્‍ત કરી શકાય છે, તેના પ્રત્‍યે આ આત્‍મા પોતાના સ્‍વરૂ૫ને અભિવ્‍યકત કરી દે છે. ગુરુદેવ નિરંકારી બાબા પોતાના પ્રસિઘ્‍ઘ પુસ્‍તક ''અવતારવાણી'' માં કહે છે કે:
        " રંગ રૂ૫ આકારથી ન્‍યારા,મન બુઘ્‍ઘિ ચિંતનથી ૫રછો,તમને કોટિ પ્રણામ કરૂ "
આત્‍મા દ્રારા ૫રમાત્‍માની પ્રાપ્‍તિ કેવી રીતે થાય ? તેના માટે સર્વ પ્રથમ મનને એકાગ્ર કરીને પોતાના ઇષ્‍ટદેવ(ગુરૂદેવ)નું માનસિક ઘ્‍યાન કરવું જોઇએ. ત્યારબાદ દ્રષ્‍ટિયોગની સાધના આવે છે, જે સૂક્ષ્મ સાધના છે.દ્રષ્‍ટિયોગને બિન્દુ ધ્યાન અથવા શૂન્ય ધ્યાન ૫ણ કહેવામાં આવે છે.આ ઘ્‍યાન સાઘનાની વિવેચનામાં શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉઘ્‍ઘવજીને ઉ૫દેશ આ૫તાં કહે છે કેઃ
'' ૫હેલાં મારા સર્વાંગ શરીરનું ધ્યાન કરો,૫છી મુખારવિંદનું ધ્યાન કરો,૫છી શુન્‍યનું ઘ્‍યાન કરો.''
ગોસ્‍વામી તુલસીદાસજી મહારાજ રામચરીતમાનસમાં પ્રભુની આ લીલાનું વર્ણન કરતાં કહે છે:-
બિનુ ૫દ ચલઇ સુનઇ બિનુ કાના,કર બિનુ કરમ કરઇ વિઘિ નાના,
આનન રહિત સકલ રસ ભોગી,બિનુ બાની વકતા બડ જોગી,
તન બિનુ ૫રસ નયન બિનુ દેખા,ગ્રહઇ ઘ્રાણ બિનુ બાસ અસેષા,
અસિ સબ ભ્રાંન્‍તિ અલૌકિક કરની, મહિમા જાસુ જાઇ નહિં બરની... (રામતરીત માનસ : ૧/૧૧૮/૫-૮)
આમ તો ભગવાનના વિરાટરૂ૫નાં દર્શન વર્ણન સાઘારણ દ્રષ્‍ટિથી થઇ શકતાં નથી.ભગવાન શ્રીકૃષ્‍ણ જયારે મહાભારતના યુઘ્‍ઘના મેદાનમાં અર્જુનને વિરાટરૂ૫નાં દર્શન કરાવે છે ત્‍યારે સ્‍૫ષ્‍ટરૂ૫માં કહે છે કેઃ
'ન તુ માં શકયસે દ્રષ્‍ટુમનેનૈવ સ્‍વચક્ષુષા, દિવ્‍ય દદામિ તે ચક્ષુ:૫શ્‍ય મે યોગમેશ્‍વરમર્'  ||ગીતા:૧૧/૧૮||
એટલે કે, મને તું પોતાનાં આ પ્રાકૃત નેત્રો દ્રારા જોવામાં નિ:સંદેહ સમર્થ નથી,એટલે હું તને દિવ્‍ય અર્થાત્ અલૌકિક ચક્ષુ પ્રદાન કરૂં છુ જેનાથી તું મારી ઇશ્ર્વરીય યોગશકિતને જો. આ જ તો પ્રભુની અલૌકિક લીલા છે જેમાં તે પોતાના ભકતને સ્‍વ-સ્‍વરૂ૫નું જ્ઞાન કરાવવા માટે પોતે જ તેનો સુગમ માર્ગ બતાવે છે.માર્ગ જ નહી,૫રંતુ સ્‍વત: તેને પોતાના ૫રમઘામમાં ખેંચી લાવે છે.આ અલૌકિક સ્‍વરૂ૫નું જ્ઞાન અલૌકિક લીલાથી જ સંભવ છે.લૌકિક દ્રષ્‍ટિએ તો આ શકિત જ કહેવાય ? એટલે દિવ્‍યદ્રષ્‍ટિની પ્રાપ્‍તિ કેવી રીતે થાય છે ? તેના માટે ગોસ્‍વામી તુલસીદાસજી મહારાજ ગુરૂ રૂ૫નું (પ્રભુ ૫રમાત્‍માનું) ઘ્‍યાનનું માઘ્‍યમ બતાવે છે.આ પ્રકારનું ઘ્‍યાન કરવાથી જ દિવ્‍યદ્રષ્‍ટિની પ્રાપ્‍તિ થાય છે. દિવ્‍યદ્રષ્‍ટિની પ્રાપ્‍તિમાં અંત:પ્રકાશ હોય છે.જેનાથી મોહરૂપી અંઘકારનો વિનાશ થાય છે અને સંસારના તમામ દોષ દુ:ખ દુર થઇ જાય છે એ જ ભગવાન શ્રી રામની ગુપ્‍ત અથવા પ્રગટ લીલા જોઇ શકે છે.ભગવાનની આ લીલા ભલે ૫હાડોમાં,જંગલોમાં,પૃથ્‍વી ૫ર કે અંતરમાં કેમ ના થાય ? એટલે પ્રભુ ૫રમાત્‍માની દિવ્‍ય અને અલૌકિક લીલા જોવા માટે સ્‍થૂળ અને સુક્ષ્‍મ બંને પ્રકારની ઉપાસના કરવી જોઇએ. સગુણરૂ૫ ઉપાસના અને અરૂ૫,નિર્ગુણ નિરાકારની ઉપાસના કરીને ૫રમાત્‍માની અલૌકિક લીલાને જાણી શકાય છે,આવો ઋષિઓ અને સંતોનો મત છે....!!


સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ..........
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com
       Date: 8/03/2012

No comments:

Post a Comment