Saturday 9 August 2014

રક્ષાબંધન



!!...રક્ષાબંધનના ૫ર્વ નિમિત્તે સંતો..ભક્તો..વિચારકો..લેખકોના સંકલિત લેખો ૫ર નજર નાખીએ...!!!

રક્ષાબંધન પર્વ ભાઈ-બહેનના અતૂટ સ્નેહનું પ્રતીક.

એક એવું બંધન

કે જેના આગમાનના અહેસાસ માત્રથી

વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે.

આજે તો ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને

સૂતરના તાંતણે ગૂંથતા  આ પર્વ ને લીધે

દરેક ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાઈ જશે.

જાણે કે  પ્રભુ ધરતી ઉપર ઉતરી આવ્યા ના હોય !!

સર્વ ને આ પર્વ આનંદદાયી અને ફળદાયી બને
એવી મબલખ શુભેચ્છા ઓ!!

રક્ષાબંધન - શ્રાવણ સુદ પુનમ
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ..હેતભરી શુભ ભાવનાનું રક્ષણ..અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણ મોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે?
મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે.

દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.

પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે.

આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો,
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો,
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !

બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.

આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. "उत्सव प्रियाः खलु मनुष्या!" - ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.

રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન."સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી." એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.

રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.

ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.

રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

"કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..." અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.

રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.

નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ "સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્" કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.

બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥
જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.

રક્ષાબંધન    http://hemapatel.wordpress.com
શ્રીમદભાગવતમાં આઠમા સ્કંધમાં વામન અવતારનુ વર્ણન છે. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળીને ભગવાન વામનજી બલિરાજાને ત્યાં ભીક્ષા લેવા માટે જાય છે અને બલિરાજા વામનજીને દાન આપવા માટે તૈયાર થાય છે અને માગવાનુ કહ્યું ત્યારે ભગવાન વામનજી ત્રણ પગલાં ભૂમિ માગે છે.બલિરાજા વધારે માગવાનુ કહે છે, વિચારે છે આ બ્રાહ્મણનુ કદ નાનુ છે ત્રણ પગલાંમાં કેટલી ભૂમિ આવશે. બલિરાજાના ગુરુ શુક્રાચાર્યજી રાજાને સમજાવે છે આતો સ્વયં નારાયણ છે આખી પૃથ્વી લઈ લેશે પરંતુ બલિરાજા કહે છે મેં એક વખત દાન આપવાનુ વચન આપ્યુ એટલે ભલે મારું બધું જ રાજ ચાલ્યું જાય હું ત્રણ પગલાં ભૂમિ આપીશ. અને શુક્રાચાર્યજીને દાનનો સંકલ્પ કરાવવા માટે કહે છે ત્યારે ના પાડી એટલે ભગવાન કહે છે હું એક બ્રાહ્મણ છું હું સંકલ્પ કરાવીશ અને ભગવાન સંકલ્પ કરાવે  છે.ભગવાનનુ કદ વામનમાંથી વિશાળ થવા લાગ્યું અને એક ચરણમાં આખી પૃથ્વી આવી, બીજા ચરણમાં આકાશ આવી ગયું, સ્વર્ગનુ રાજ્ય. હવે ત્રીજુ પગલું ક્યાં મુકવું ? ત્યારે બલિરાજાની પત્નિ વિંધ્યાવલી પતિને કહે છે આ બધું ઠાકોરજીનુ આપેલું જ છે આપણું કંઈ પણ નથી, ઠાકોરજીને પ્રણામ કરો અને ત્રીજુ ચરણ આપના મસ્તક પર પધરાવો. અને ભગવાન વામનજી ત્રીજુ ચરણ બલિરાજાના મસ્તક ઉપર મુકે છે અને બલિરાજા પાતાળમાં ચાલ્યા જાય છે,પાતાળનુ રાજ્ય મળે છે, ભગવાન કહે છે પાતાળમાં તમારા દ્વાર પર હું પહેરો ભરીશ અને ભગવાન બલિરાજાના દ્વારપાલ બને છે. નારાયણ વિના લક્ષ્મીજી રહી ના શકે એટલે લક્ષ્મીજી બ્રાહ્મણ પત્નીનુ સ્વરૂપ લઈને બલિરાજાને ત્યાં આવે છે અને બલિરાજાને હાથે રક્ષાદોરી બાંધે છે.લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધી અને રાજા બહેનને કંઈક માંગવાનુ કહે છે ત્યારે લક્ષ્મીજીએ દ્વારપાલની માગણી કરી. રાજા પુછે છે તારે એ શું થાય ત્યારે લક્ષ્મીજી કહે છે એ મારું સર્વસ્વ છે અને એ રીતે લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠ જાય છે. આ દિવસ રક્ષાબંધનનો દિવસ છે
રક્ષાબંધનનો દિવસ ઘણોજ પવિત્ર છે. ભાઈ-બહેનનો પ્રેમ અને એક અતુટ બંધન જોવા મળે છે. રક્ષાદોરી   (રાખડી) એ ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે.આ દિવસે દરેક ભાઈ બહેન આનંદ ઉત્સાહથી ખુશીથી મનાવે છે. એક બહેન ભાઈના હાથે રક્ષાદોરી બાંધીને ભાઈ માટે સુખ સંમૃધ્ધિ, લાંબા આયુષ્યની માગણી ભગવાન પાસે કરે છે તો ભાઈ બહેનની રક્ષા અને તેના જીવનના દરેક સુખ-દુખમાં સાથ નિભાવવાની જવાબદારી લે છે. એક બહેનના જીવનમાં પિતા પછીથી જવાબદારી માટે કોઈનુ સ્થાન હોય તો તે એક ભાઈનુ જ છે. અને ભાઈ પિતાની જેમ જ બહેનના સુખ-દુખની જવાબદારી નીભાવે છે. આપણી સંસ્કૃતી તહેવારોથી ભરેલી છે અને દરેક વ્યક્તિ બધા જ વાર,તહેવાર ખુશી-આનંદથી પ્રેમથી મનાવે છે અને એ દિવસો આનંદ-ઉલ્હાસ વાળા અને રંગીન બની જાય છે.
મહાભારતમાં દ્રૌપદી જ્યારે શ્રી ક્રિષ્ણની આંગળી પર લોહી જુએ છે ત્યારે પોતાની રેશમ સાડી ફાડીને શ્રી ક્રિષ્ણના હાથે બાંધે છે. દ્રૌપદીએ શ્રી ક્રિષ્ણને રક્ષાદોરી બાંધી છે.અને શ્રી ક્રિષ્ણએ દ્રૌપદીના ચીર હરણ વખતે દ્રૌપદીની સહાય કરીને રક્ષા કરી છે.
રક્ષાબંધનને બળેવના નામે પણ આપણે જાણીએ છીએ. આપણા શાસ્ત્રોમાં ચાર વર્ણોને અલગ  અલગ  બતાવ્યા છે અને તેમની દિવાળી પણ અલગ અલગ છે. બ્રાહ્મણોની દિવાળી બળેવ’, ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી’, વૈશ્યોની દિવાળી લક્ષ્મીપૂજન’, અને શૂદ્રોની દિવાળી ‘હોળીગણાય છે.

 

ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ : રક્ષાબંધન      કવર સ્ટોરી તુપ્તિ ભટ્ટ  http://www.sandesh.com
તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિની ઊજળી પરંપરા છે, જેનાથી સાંસારિક સંબંધો પ્રેમ અને વિશ્વાસ સાથે નવપલ્લવિત થાય છે. રેશમના તાંતણાથી સંબંધોને વધુ પાવન અને સુદૃઢ બનાવતો રક્ષાબંધનનો તહેવાર પણ ભાઈ-બહેનના પાવન પ્રેમનું પ્રતીક છે. રક્ષાબંધન સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી આ તહેવારનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અનેરું મહત્ત્વ છે. રક્ષાબંધનના તહેવારનાં પ્રતીકાત્મક મૂલ્યોને જો સમજવામાં આવે તો આ રેશમની દોર સંબંધોની સાથે જીવનને પણ પાવનકારી બનાવીને કૃતાર્થ કરી જાય છે
નાનકડી રેશમની દોરીથી મનમાં રહેલા અગાધ પ્રેમની અભિવ્યક્તિ કરતા રક્ષાબંધનના તહેવારનું સદીઓથી અનેરું માહાત્મ્ય રહેલું છે. આ રેશમી દોરીએ સ્નેહના તાંતણે માત્ર લૌકિક સંબંધોને જ નથી બાંધ્યા, પણ આ તાંતણે તો પ્રેમના મનોહારી રૂપને સમજનાર શ્રીકૃષ્ણ પણ બંધાયા હતા. મહાભારતના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણએ રક્ષાબંધનનો તહેવાર મનાવીને પાંડવો અને તેમની સેનામાં આત્મવિશ્વાસ જગાવીને વિજય તરફ કૂચ કરવા પ્રેરિત કર્યા હતા. તો ચાલો આજે આપણે પણ રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલા આધ્યાત્મિક દૃષ્ટિકોણને સમજીએ.
પૌરાણિક મહત્ત્વ
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક મહત્ત્વ એટલે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઇન્દ્ર-ઇન્દ્રાણીની કથા તેમજ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.
બલિ રાજાની કથા
 રક્ષાબંધન સાથે અનેક દેવી-દેવતાઓની કથા જોડાયેલી હોવાથી આ તહેવારનું ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ છે. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન પ્રસંગ સંબંધિત કથાઓ છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ ચકનાચૂર કરી દીધું હતું, તેથી આ તહેવાર બળેવને નામે પણ ઓળખાય છે. આ કથા મુજબ દાનવેન્દ્ર રાજા બલિએ જ્યારે ૧૦૦ યજ્ઞા પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માગી. ગુરુની મનાઈ હોવા છતાં પણ તેને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને ત્રણ પગલાંમાં આકાશ, પાતાળ અને ધરતી માપી લીધી અને બલિ રાજાને પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિ રાજાનું અભિમાન ચકનાચૂર થઈ ગયું, તેથી આ દિવસ બળેવના નામે પણ ઓળખાય છે. જ્યારે બલિ રાજા રસાતળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપી બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન ઘરે ન આવતાં લક્ષ્મીજી પરેશાન થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ સદાય તેમની સામે રહેવાનું વચન માગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિ રાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણજીને માગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂર્ણિમા હતી. આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગૂંથાયેલી છે.
ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા
ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રસિદ્ધ છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા. ત્યારે દેવતાઓ તેમની પરેશાનીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઇન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધી દીધું, તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાને રાખડી બાંધવાની પ્રથા પણ શરૂ થઈ. એટલે જ રાજપૂત જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમી દોરી બાંધી, વિજય તિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.
યોગેશ્વર પણ બંધાયા રેશમના તાંતણે
મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, 'હું બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?' ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, 'આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે. જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે. દ્રૌપદીના ભ્રાતપ્રેમને દર્શાવતો એક બીજો પણ હૃદયસ્પર્શી પ્રસંગ છે, જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલવધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે. કહેવાય છે કે આ દિવસે પણ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો, તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણા હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રાહરણ વખતે તેની લાજ રાખે છે.
ઐતિહાસિક મહત્ત્વ
રાખડીના આ તાંતણાએ ઇતિહાસમાં સમર્પણ અને બલિદાનની ભાવનાને પણ ઉજાગર કરી છે. ચિત્તોડની રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી, તેથી તેણે મુગલ નરેશ હુમાયુને રક્ષા મોકલી અને રાજ્યની રક્ષા માટે પણ પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ તેણે રાખડીની લાજ રાખી અને બહાદુર સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી. સિકંદરની કથા સાથે પણ આ રક્ષાસૂત્રનું માહાત્મ્ય જોડાયેલું છે. સિકંદરની પત્નીએ તેના પતિનો હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને પતિને ન મારવાનું વચન લીધું હતું અને પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.
પર્વની પ્રાદેશિક વિશેષતા
દરેક પ્રદેશની આગવી પરંપરા તેમજ લાક્ષણિકતા હોય છે. આ વિશેષતા તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મરાઠી લોકો વરુણ દેવતાની પૂજા કરે છે અને નાળિયેર વરુણ દેવતાને અર્િપત કરે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં સમુદ્રની પૂજા કરીને સમુદ્રને નાળિયેર અર્પણ કરવામાં આવે છે, તેથી દરિયાકિનારો નાળિયેરથી ભરાઈ જાય છે.
રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની ચૂડીઓ પર બાંધવામાં આવે છે. જોધપુરમાં રાખીના દિવસે માત્ર રાખી જ નથી બાંધવામાં આવતી, પણ બપોરે નદી કે દરિયાકિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ-મુનિને તર્પણ કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞા કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સાના દક્ષિણ બ્રાહ્મણ રક્ષાબંધનના પર્વને અવની અવિતમ કહે છે. વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણ પૂર્ણિમા સુધી મંદિરમાં ઠાકોરના ઝૂલા લગાવવામાં આવે છે. રક્ષાબંધનને દિવસે ઝૂલાનાં દર્શન બંધ થઈ જાય છે.
રક્ષાબંધન અને આધ્યાત્મિક ચિંતન
રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ છે પાવન બનવું, શુદ્ધ બનવું, બુરાઈનો ત્યાગ કરવો, તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવી મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે જે અજર અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી, તો શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ? આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યકતા હોય છે, તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના પ્રતીકાત્મક મૂલ્યને સમજવું પણ જરૂરી છે.
આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે, તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે. ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મુખમાં મીઠાઈ આપીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ છે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈ પર પણ દ્વેષભાવ ન રાખો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.
યજ્ઞાપવીતનું પ્રતીકાત્મક મૂલ્ય
રક્ષાબંધનના દિવસે જે રીતે રાખડી બાંધવાનું અને બંધાવવાનું મહત્ત્વ છે તેવી જ રીતે આ જ દિવસે યજ્ઞાપવીતને બદલીને નવી યજ્ઞાપવીત ધારણ કરવામાં આવે છે. યજ્ઞાપવીત ધારણ કરવાના સંસ્કાર પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે વાળવાનો ઉદાત્ત ઉદ્દેશ રહેલો છે. યજ્ઞાપવીત જ્યારે બાળક થોડું સમજદાર થાય ત્યારે આપવામાં આવે છે. યજ્ઞાપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે અને દરેક તારમાં ત્રણ તાર હોય છે. આ રીતે કુલ નવ તાર હોય છે. યજ્ઞાપવીતના મુખ્ય ત્રણ તાર ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ ધરાવે છે અને નવ તાર તેના અક્ષર સાથે. ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે ગાયત્રી મંત્રને યજ્ઞાપવીતના રૂપમાં ડાબા ખભે ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે. ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે. જ્યારે તમે મનુષ્ય તરીકેના કર્તવ્યને વહન કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાપવીત આપવામાં આવે છે. આ રીતે યજ્ઞાપવીત ધારણ કરવાનો ઉદ્દેશ પણ મનુષ્યને માનવીય કર્તવ્યથી સભાન રાખવાનો અને સદ્પ્રવૃત્તિ તરફ ગતિશીલ કરવાનો જ છે.
યજ્ઞાપવીત ધારણ કર્યા બાદ તેને દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદીકાંઠે જઈને વિધિવત્ જૂની જનોઈને ઉતારીને નવી જનોઈને ધારણ કરે છે. દર શ્રાવણી પૂનમે નવી યજ્ઞાપવીત ધારણ કરવા પાછળ પણ એક સુંદર ચિંતન જોડાયેલું છે. યજ્ઞાપવીત માનવીય ધર્મનું યોગ્ય રીતે પાલન કરવાના હેતુ સાથે ધારણ કરવામાં આવે છે, પણ બની શકે કે માનવ સહજ સ્વભાવને કારણે મનુષ્ય આખા વર્ષ દરમિયાન ક્યાંક માનવતાના ગુણો વિરુદ્ધ પણ વર્તન કરી લેતો હોય ત્યારે નવી યજ્ઞાપવીત ધારણ કરતી વખતે કરેલાં પાપકર્મ વિશે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે અને ફરી આવી ભૂલ ન કરવાના સંકલ્પબળ સાથે જીવનને સદ્પ્રવૃત્તિ તરફ પ્રવૃત્ત કરવામાં આવે છે. આ રીતે આપણાં દરેક ધાર્મિક સંસ્કાર અને પર્વ જીવનને ઉન્નત ગતિ આપવાનો જ ઉપદેશ આપે છે.

ભાઈ બહેનના પ્રેમનું ગીત –

ફૂલો કા તારો કા સબકા કહના હૈ...ફૂલો કા તારો કા સબકા કહના હૈ
એક હજારો મેં મેરી બહના હૈ સારી ઉમ્ર હમેં સંગ રહના હૈ

યેહ ના જાના દુનીયા ને તૂ હૈ ક્યોં ઉદાસ તેરી પ્યારી આઁખોં મેં પ્યાર કી હૈ પ્યાસ
મેરે પાસ કહ જો કહના હૈ  એક હજારો મેં...........

ભોલી-ભાલી જાપાની ગુડિયા જૈસી તૂ, પ્યારી-પ્યારી જાદૂ કી પુડિયા જૈસી તૂ,
ડેડી કા મમ્મી કા, સબ કા કહના હૈ,... એક હજારો મેં તેરી બહના હૈ...

જબસે મેરી આઁખોં સે હો ગયી તૂ દૂર  તબસે સરે જીવન કે સપને હૈં ચૂર
આઁખોં મેં નીંદ ના દિલ મેં ચાઇના હૈ  એક હજારો મેં ...........

દેખો હમ તુમ દોનોં હૈં એક ડાલી કે ફૂલ  મૈ ના ભુલા તૂ કૈસે મુઝકો ગઈ ભૂલ
મેરે પાસ કહ જો કહના હૈ  એક હજારો મેં ...........

પુરાણોમાં રક્ષાબંધનનું મહત્વ
રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા આ બંને અલગ-અલગ તહેવાર છે જો ઉપસના અને સંકલ્પનો અદભૂત સમન્વય છે અને તે એક જ દિવસે મનાવવામાં આવે છે. પૌરાણિક અને મહાભારત યુગના ઘર્મ ગ્રંથોમાં આ તહેવારોનો ઉલ્લેખ જોવા મળે છે. એમ પણ કહેવામાં આવે છે કે દેવાસુર સંગ્રામના યુગમાં દેવતાઓની જીતથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો.

રક્ષા તણા તાંતણા રૂપે, અતૂટ ગાંઠ બંધાઈ;
જગમાં ભાઈ-બહેનની, સાચી પ્રેમ સગાઈ

ભાઇ બહેનની લાગણીના ઝરણાને વહેતો રાખનાર તહેવાર રક્ષાબંધન નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ બહેનો તેના ભાઇઓ માટે કરતી હોય છે. શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવનું પર્વ. રક્ષાબંધનનો તહેવાર યુગોથી ભારતવાસીઓ શ્રદ્ધા અને ઉમંગથી ઊજવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. આ સાથે પરમાત્માને ભાઈની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે અને તેનાં વીરાનાં સમૃદ્ધ અને સુખમય જીવનની કામના કરે છે. ભાઈ પણ આ રક્ષા બંધાવી તેની બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન એટલે પ્રેમ અને લાગણીનું બંધન. માનો તો સાદો તાંતણો માત્ર અને અંતરચક્ષુથી જોશો તો તેના પ્રત્યેક તાંતણામાં બહેનની લાગણીનાં તાણાવાણા અનુભવી શકાય.
ભગવાનનું શરણ લઈને રક્ષા પ્રાપ્ત કરવાનો સંદેશ આપતો રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. આજે આપણે સૌ ભગવાનને રાખડી બાંધી આપણી રક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.
ભાઇ બહેનનો અતુટ પ્રેમ જોઇને ઘણી વખત એવું લાગે છે કે આટલો મધુર અને ખાટો-મીઠો સંબંધ ભગવાને દુનિયામાં ફક્ત ભાઇ બહેન માટે જ બનાવ્યો છે. નજાણે દિવસમાં કેટલીયે વખત અને નાની-નાની બાબતમાં લડી પડતાં ભાઇ બહેન વચ્ચે હકીકતમાં ખુબ જ પ્રેમ હોય છે. તે દિવસમાં ગમે તેટલી વખત લડતાં હોય છતાં પણ જો થોડા દિવસો માટે પણ એકબીજાથી વિખુટા પડે તો તેઓને ગમતું નથી.

ભગવાને કદાચ આ એક જ સંબંધ એવો બનાવ્યો છે કે જે સ્વીટ પણ છે અને નમકીન પણ. કદાચ આખી દુનિયામાં જઇને પણ જો આપણે સ્વીટ અને નમકીન એમ બંન્ને મિક્સ નમકીન કે મીઠાઇ શોધીએ તો તે ફક્ત અને ફક્ત ભાઇ બહેનના પ્રેમના સંબંધની જ મીઠાઇ મળશે. અને ઘણી બધી મીઠાઇ ખાઇને તમને સંતોષ મળશે પણ આ મીઠાઇ એવી મીઠાઇ છે કે જેનાથી સંતોષ તો નથી થતો પણ તમે જેટલી ખાવ તેટલી વધું ખાવાનું મન થાય છે. એટલે કે તમને ક્યારેય પણ એકબીજાથી વિખુટા પડવાનું નથી ગમતું. તમે ગમે તેટલી વખત લડો કે પછી ગમે તેટલા દિવસ સુધી ના બોલો છતાં પણ હંમેશા એકબીજાની સાથે જ રહેવાનું પસંદ કરો છો.
રક્ષાબંધન બહેનો માટે મહત્વપૂર્ણ તહેવાર છે એટલે કે ભેટની આપવાની પસંદગીમાં દિમાગ દોડવવું પડે છે. ભાઇ કે બહેનને પસંદ આવશે કે નહી
તેનો નિર્ણય લેતાં-લેતાં રક્ષાબંધન નજીક આવી જાય છે. પછી ઉતાવળ કંઇપણ લઇને આપવું પડે છે. આ વખતે તમારે આ સમસ્યાનો સામનો કરવો પડશે નહી કારણ કે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છીએ જેની મદદથી તમે ભેટની પસંદગી સરળતાથી કરી શકશો.

શું તમે જાણો છો કેવી રીતે થઇ રક્ષાબંધનની શરૂઆત http://www.divyabhaskar.co.in/
રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઇ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઇએ.

ભારત વિશ્વનો એક માત્ર દેશ છે કે જ્યાં ભાઇ-બહેનની પ્રીતના પ્રતીક સમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઇબીજ. શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવે છે. ભાઇ બદલામાં યથાયોગ્ય ભેટ આપીને બહેનને તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આજે પણ ભારતમાં જે કુટુંબવ્યવસ્થા તેમજ કેરિંગ અને શેરિંગ સંસ્કૃતિ છે તેમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે.

રક્ષાબંધનનો શુભારંભ

પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઊજવાય છે.

રક્ષાબંધન સાથે સંકળાયેલી દંતકથાઓ

સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને યુદ્ધના સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું. વેદમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથે રક્ષા બાંધી હતી. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન શિશુપાલનો સુદર્શન ચક્ર દ્વારા વધ કરે છે ત્યારે તેમની તર્જની આંગળીએ ઘા લાગવાથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પટ્ટી બાંધી હતી. શ્રીકૃષ્ણે ઉપકારનો બદલો ચીરહરણ વખતે ચૂકવ્યો હતો. આમ, એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પર્વમાં સમાયેલી છે.

રક્ષાબંધનના ઉત્સવના હાર્દને સમજીએ

રક્ષાબંધનનું આ પર્વ ઊજવતાં પહેલાં એના હાર્દને સમજવું અતિ આવશ્યક છે. રક્ષાબંધન શબ્દમાં મુખ્ય બે શબ્દો આવેલા છે એક રક્ષા અને બીજો બંધન. રક્ષાનો અર્થ રક્ષણ કરવું એવો થાય. રક્ષાબંધનને દિવસે ભાઇ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે, પરંતુ શું માત્ર બહેનને જ રક્ષણની જરૂર છે ભાઇને નહીં? જો ભાઇ ત્રણ વર્ષનો હોય અને બહેન પંદર વર્ષની હોય તો આ નાનો ભાઇ મોટી બહેનની કેવી રીતે રક્ષા કરી શકે? વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઇ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઇએ. જે રીતે બહેન ભાઇને રાખડી બાંધે છે એ જ રીતે પત્ની પતિને, પુત્રી પિતાને, માતા પુત્રોને, પ્રેયસી પ્રેમીને રક્ષાસૂત્ર બાંધીને રક્ષણનું વચન લઇ શકે છે. માત્ર પુરુષો જ સ્ત્રીઓનું રક્ષણ કરી શકે છે એવું નથી. સ્ત્રીઓમાં પણ પુરુષોનું રક્ષણ કરવાની ક્ષમતા છે.

સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય

આજે કમનસીબે નિદોર્ષ યુવતીઓ પર શારીરિક છેડછાડ, બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે. સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય છે. રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે. દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.

યજ્ઞોપવીત બદલવાનું પર્વ

બ્રાહ્નણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવીત ધારણ કરતાં બ્રહ્ના, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત ગણપતિ પૂજન કરી, યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આવાહ્ન કરી, યજ્ઞોપવીત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરે છે અને જુની યજ્ઞોપવીતને જળમાં પધરાવે છે.

જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેનેત્રિસૂત્રીકહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પ્રતીક સમાન છે. આ બ્રહ્નગાંઠની અંદર બ્રહ્ના, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.

સાગર પૂજનનું મહત્વ

પશ્ચિમ ભારતના સમુદ્રતટીય પ્રદેશોમાં આ પર્વ નાળિયેરી પૂર્ણિમાના સ્વરૂપે મનાવવામાં આવે છે. આ દિવસે સાગર સાથે જોડાયેલા માછીમારો, વેપારીઓ, ખારવાઓ તથા લોહાણા પરિવાર દરિયાલાલને પોતાના દેવ માનીને વિધિવત્ વાજતે-ગાજતે એક નાળિયેર જળના દેવને અર્પણ કરે છે. સમુદ્રદેવ પોતાના ભક્તોનું રક્ષણ કરે અને ક્યારેય પોતાના પર કોપાયમાન ન થાય તેવી ભાવના વ્યક્ત કરાય છે. ત્રણ તહેવારોના એક જ દિવસે થતા આ ત્રિવેણી સંગમને પાપનાશક, પુણ્યદાયક અને વિષતોડક તરીકે નવાજવામાં આવે છે.

રક્ષાબંધનનું માહાત્મ્ય

દિવસે સ્નાનાદિથી નિવૃત્ત થઇને બહેનો પૂજાની થાળી સજાવે છે. થાળીમાં કુમકુમ, અક્ષત, હળદર, દીવો, ફૂલ, મીઠાઇ, પૈસા અને આરતી હોય છે. સૌ પહેલા બહેન ઇષ્ટ દેવનું પૂજન કરીને શુભ મુહૂર્તમાં ભાઇના ભાલપ્રદેશની મધ્યમાં કુમકુમ તિલક કરી અક્ષત લગાડીને ભાઇનું મુખ મીઠું કરાવે છે ત્યારબાદ ભાઇની આરતી ઉતારીને જમણા કાંડે રાખડી બાંધવામાં આવે છે અને પોતાના ભાઇ પરથી પૈસા વારીને ગરીબોને આપે છે. ભાઇ બહેનને યશાશક્તિ ભેટ આપે છે અને રક્ષાબંધનનું અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન કરવામાં આવે છે.


પર્વ વિશેષ, સુનિલ શાહ
રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.
પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા -
———————————————————————————————-
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રાડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રાનું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રાએ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
આમ, સોલંકીઓએ કપટથી રાડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રાની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ રાના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે -
મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રારાખીને વાત કરજે”.
રારાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રાના કુળદીપકને જલતો રાખ્યો!
વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રાનવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે સમય આવ્યે કાપડું માગી લઈશ.
સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રાનવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રાનવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ જાહલની ચિઠ્ઠીતરીકે પ્રખ્યાત છે.http://tahuko.com/?p=11440

------------------------------------------------------------------------------------------------------------------------

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.
મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હેમાતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

ભાઇ બહેનના નિર્મળ સ્નેહનું પ્રતિક રક્ષાબંધન
પુરાણોમાં વ્રત પ્રતિકનો મહિમા મોટો
બ્રહ્મ દિન..બ્રાહ્મણ પૂનમ..રક્ષાબંધન...! રક્ષાબંધન એટલે રાખડી બાંધવી તે માત્ર રાખડી બાંધી કે બંધાવી આપવી એટલે પત્યું એમ નહીં પણ રક્ષાબંધન પાછળ જે ભાવના ભરી પડી છે જે તત્વજ્ઞાન સમાયું છે. અને જે મહાન જવાબદારી રહેલી છે તેનું યથાર્થ પાલન થાય તે આવશ્યક છે.
રક્ષા બંધન..સ્વાપર્ણ..શૌર્ય..સૌજન્ય સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ પ્રેમનું નિસ્વાર્થ સ્નેહનું પ્રતિક છે. એમાં રહેલી ધર્મ ભાવના..કર્તવ્ય પરાયણતા અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે.
શ્રુતિ સ્મૃતિને આધારે આર્યોએ આ વ્રતનું આયોજન કરેલું.હજારો વર્ષ વીત્યા છતાં આજે સુંદર સુવ્યવસ્થિત સ્વરૂપે જળવાઇ રહ્યું છે.
રક્ષાબંધનને બળેવ પણ કહે છે.બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેના પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ દિને, ભારતના ભડવીર સાહસિક સાગર ખેડૂ બનીને વહાણવટે ઉપડતાં અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતાં ખેલતાં, નાળીયેર પધરાવી, સાગરનું પૂજન કરી, આખી દુનિયા ખુંદી વળતાં, આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ વેપારીઓ પણ સામેલ થતાં તે વખતે ઐકય સાથે ઉમંગની છોળો ઉડતી. અને સાચા ભ્રાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો આવું છે આ વ્રત પર્વ નાળીયેરી પૂનમ...!વૈદીક વેદ પુરાણને અનુસરનારા ગામ, શહેર સમસ્તનો બ્રહ્મસમાજ સમુહમાં હળી મળી પોતાની ઉપવિત - જનોઇ વેદના મંત્રોચાર અને ગાયત્રી ઉપાસના સાથે સાગર કે સરિતાના તીટે, દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે, અને બાર માસ જૂની જનોઇ બદલાવી નવા આચાર વિચાર સાથે નવી ઉપવિત ધારણ કરે છે.
      નવી જનોઇ ધારણ કર્યા પછી વર્ણનામ બ્રાહ્મણો ગુરૃ તરીકે ચાર વર્ણને રઢીયાળુ રક્ષાબંધન બાંધી આશિર્વાદ આપી, ક્ષેમ કુશળ ઇચ્છે છે. અને આ આશિર્વાદના બદલામાં ધનવાનો, યથા શકિત દક્ષિણા આપે છે. આ દાન પાછળનો હેતુ અને ભાવના જોઇએ તો વિદ્યા અને વિપ્રના માન સન્માન અને રક્ષાની કદર, રક્ષક અને રક્ષકોનો મીઠો ઉજળો સંબંધ.જનોઇ માત્ર સુતના ત્રાગડાનું તુત કે ભુત નથી સોળ સંસ્કારમાનો એક ઉત્તમ સંસ્કાર છે. જનોઇ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્યતે કહેવાય છે.
      રક્ષાબંધન, એટલે ભાઇ - બહેનના નિર્મળ પ્રેમની પ્રસાદી રાખડી...! મામુુલી દોરો નથી...! સુતરનો રંગબેરંગી તાતણો નથી...! પણ ત્યાગનું  મહામુલુ પવિત્ર પ્રતિક છે...! શણગાર છે...!બજારમાં વેંચાતી ભારે ભપકાદાર, ઝળાહળ કરતી ખર્ચાળ રાખડી કરતાં, હાથે કાંતેલાં સુતરનો રંગીન તાતણો વધારે કિંમતી છે. બાહ્મરૃપ કરતાં તેના ગુણ પ્રભાવને પીછાણીએ, એ જ છે, રક્ષાબંધનની મહત્તા...!
      આજે અંતરના આશિષ સાથે, બહેન ઉમળકાભેર પોતાના ભાઇને  કપાળે કુમકુમ તિલક કરી, ચોખા  ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે. અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતાં યથા શકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે, રક્ષા બંધનના આદર્શ પવિત્ર પાઠો નવા  યુગના ભાઇ -બહેનો એ શીખવા જેવા છે.
      આપણાં પુરાણોમાં વ્રત અને પ્રતિક રાખડીનો મહિમા ઘણો મોટો છે. પવિત્ર છે. દાનવો  સામે લડતાં લડતાં દેવરાજ ઇન્દ્ર હારી ગયા અને ઇન્દ્રાસન તથા દેવલોક ભયમાં મુકાયા ત્યારે ઇન્દ્રાણીએ, ઇન્દ્રને રાખડી બાંધી, રક્ષાબંધન વ્રત કર્યુ. જેના પ્રભાવે ફરી યુધ્ધ લલકાર કરીને ઇન્દ્રએ વિજય મેળવ્યો.
      માતા કુંતીએ વીર અભિમન્યુને વ્રત કરીને રક્ષાબંધન બાંધ્યું. પછી કૌરવો સામે સાત કોઠા યુધ્ધ લડવા મોકલ્યો.
      કુંતા અભિમન્યુને બાંધે રાખડી...! અમર રાખડી...! અને એ રાખડીએ રંગ રાખ્યો...!
      મેવાડની મહારાણી અને વીર રાણી કર્ણાવતીએ મોગલ સમ્રાટ હુમાયુ ને ભાવ ભીનું રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો. અને જીભના માનેલાં આ ભાઇએ પોતાની બહેનની રક્ષા, જાનના જોખમે કરી બતાવી...!
      બલિપૂજન આજે કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવેલાં આજે પણ બલિપૂજા કરવાથી શોક નાશ પામે છે. પાપ મુકત થાય છે. કારતુક સુદ-૧ ના દિને થતું બલિ પૂજન વ્રત આજે યાદ આવે છે.
      રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ - બહેનના હેત વધે છે. આયુષ્ય વધે છે. અને ધનધાન્ય સંપતિની વૃધ્ધી થાય છે.
      -દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪

રક્ષાબંધન (કવર સ્ટોરી)  કવર સ્ટોરી : પ્રશાંત પટેલ http://www.sandesh.com

બહેન-ભાઈના અતૂટ સ્નેહ ઉપરાંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતો તહેવાર
ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાના દિવસે સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. રક્ષાબંધનની શરૂઆત પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે, પરંતુ આ સિવાય પણ શ્રાવણી ર્પૂર્ણિમાનો દિવસ બીજાં કારણોને લઈને પવિત્ર માનવામાં આવે છે.
પ્રાદેશિક પરંપરાઓ
દરેક પ્રદેશની તહેવાર સાથે આગવી પરંપરાઓ જોડાયેલી હોય છે. જે તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે. પશ્ચિમ ભારતના સમુદ્ર તટે આવેલા પ્રદેશો જેમ કે, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ નારિયેળી ર્પૂિણમાના સ્વરૂપે આ તહેવાર મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે વરુણ દેવનું પૂજન કરીને નારિયેળ અર્પણ કરવાનું જણાવાયું છે. તેથી ર્પૂિણમાના દિવસે ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો) એક નારિયેળ જળના દેવતા ભગવાન વરુણની પૂજાના સ્વરૂપે સમુદ્ર દેવને અર્પણ કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ રહેલો છે કે સમુદ્ર જળના દેવતા સ્વરૂપ છે. તેઓ પોતાના ભક્તો પર ક્યારેય કોપાયમાન ન થાય. કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓરિસ્સા જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય દ્વારા આ દિવસ 'અવની અવિત્તમ' તરીકે મનાવવામાં આવે છે. કર્ણાટકમાં યજુર્વેદના અદ્યેતાઓ આ દિવસને 'ઉપકર્મ' તરીકે ઊજવે છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણવામાં આવે છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૂ કરતાં પહેલાં યજુર્વેદના અદ્યેતાઓ દ્વારા એકબીજા સાથે


પોતાનું યજ્ઞોપવીત (જનોઈ) બદલવાની પરંપરા આ રાજ્યોમાં જોવા મળે છે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર 'કજરી ર્પૂિણમા' તરીકે ઊજવવામાં આવે છે. આ રાજ્યોમાં જે પરિવારમાં પુત્રો હોય છે તેમના દ્વારા આ તહેવાર ઊજવવામાં આવે છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી કજરી ર્પૂિણમા ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. આ નવમા દિવસને જ કરજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઈને ર્પૂિણમાના દિવસ સુધી ઘણાં પ્રકારની જુદી-જુદી પૂજાઓનું આયોજન થતું રહે છે.
રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને જ બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની બંગડીઓ પર બાંધવામાં આવે છે. જોધપુરમાં રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી જ બાંધવામાં આવતી નથી, પણ બપોરના સમયે નદી કિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ-મુનિઓને અર્પણ કરવામાં આવે છે. આ ર્ધાિમક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞા કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે.
વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણી ર્પૂિણમા સુધી મંદિરમાં ઠાકોરજીના ઝૂલા લગાવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઝૂલાનાં દર્શન બંધ થઈ જાય છે.


પૌરાણિક કથાઓ
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ર્ધાિમક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા તેમ જ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.

બલિ રાજાની કથા
સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ જોવા મળે છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ નષ્ટ કર્યું હતું, તેથી આ તહેવાર બળેવના નામે પણ ઓળખાય છે.
કથા પ્રમાણે દાનવરાજ બલિએ જ્યારે સો યજ્ઞા પૂર્ણ કરીને પોતાના રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગી. પોતાના ગુરુ શુક્રાચાર્યની મનાઈ હોવા છતાં પણ વામનને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને બે પગલાંમાં આકાશ અને ધરતી માપી લીધી અને ત્રીજું પગલું તો બાકી જ રહ્યું, ત્યારે બલિ રાજાએ પોતાનું માથું ધર્યું અને કહ્યું ત્રીજું પગલું અહીં મૂકો. ભગવાને તેના શિષ પર પગ મૂક્યો અને રાજા બલિને પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા રાજા બલિનું અભિમાન નષ્ટ થયું તેથી આ દિવસ બળેવના નામે ઓળખાવા લાગ્યો. જ્યારે બલિરાજા રસાતાળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પરત ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે, વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ હંમેશાં તેમની સામે રહેવાનું વચન માંગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને માંગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂનમ હતી. આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગૂંથાયેલી હતી.

ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા
ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રચલિત છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા ત્યારે દેવતાઓ તેમની મુશ્કેલીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઈન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઈન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાઓને રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ. એટલે જ રાજપૂત રાજાઓ જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમની દોરી બાંધી વિજયતિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.

રેશમના તાંતણે બંધાયા યોગેશ્વર
મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, "બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?" ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, " રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે." આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે. દ્રૌપદીના ભ્રાતૃપ્રેમને દર્શાવતો એક બીજો હૃદયસ્પર્શી પ્રસંગ છે. જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલ વધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે, કહેવાય છે કે આ દિવસ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણાં હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રહરણ પ્રસંગે તેની લાજ રાખે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન
રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ?
દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે.
દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.

ઇતિહાસ શું કહે છે?
રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર નોંધાયેલો છે.
ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.
બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.
યજ્ઞોપવીત સંસ્કાર
શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન તો ઊજવાય છે સાથે-સાથે સોળ સંસ્કારમાં મહત્ત્વનો એવો યજ્ઞાોપવીત સંસ્કાર પણ કરાય છે. આ દિવસે જૂની યજ્ઞાોપવીત (જનોઈ)ને બદલીને નવી યજ્ઞાોપવીત ધારણ કરવામાં આવે છે. યજ્ઞાોપવીત ધારણ કરવાના સંસ્કાર પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે વાળવાનો પવિત્ર ઉદ્દેશ રહેલો છે. યજ્ઞાોપવીત જ્યારે બાળક થોડું મોટું અને સમજણું થાય ત્યારે આપવામાં આવે છે. યજ્ઞાોપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે અને દરેક તારમાં પણ બીજા ત્રણ તાર હોય છે. આ રીતે કુલ નવ તાર હોય છે. યજ્ઞોપવીતના મુખ્ય ત્રણ તાર ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ ધરાવે છે અને નવ તાર તેના અક્ષરો સાથે. ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે ગાયત્રી મંત્રને યજ્ઞાોપવીતના રૂપમાં ડાબા ખભે ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે. ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે.
જ્યારે તમે મનુષ્ય તરીકેનાં કર્તવ્યોનું વહન કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાોપવીત આપવામાં આવે છે. તેને ધારણ કર્યા પછી દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિઓને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદી કાંઠે જઈને નવી જનોઈ ધારણ કરે છે.

 

રક્ષાબંધન

ભાઈ-બહેનના સ્નેહ, શ્રધ્ધા અને રક્ષાની ઉચ્ચ ભાવનાનું પર્વ એટલે રક્ષાબંધન
ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે પ્રેમ અને લાગણીભર્યા સંબંધોનું બંધન. આ તહેવારના દિવસે બહેન તેના ભાઇને રાખડી બાંધીને તેના કલ્યાણની કામના કરે છે. તો સામે ભાઈ બહેનને તેની સુરક્ષા કરવાની ખાતરી આપે છે.
રક્ષાબંધનને બળેવ તેમજ નાળિયેરી પૂનમ કે શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે. રક્ષાબંધન એ બ્રાહમણોનો પજ્ઞોપવીત બદલવાનો પણ ઉત્સવ છે.
રાખડીના પ્રત્યેક તાતણામાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ અભિવ્યકત થાય છે. ભાઈ-બહેનના નિસ્વાર્થ અને પવિત્ર સંબંધોની બાબત સમુદ્રની વચ્ચે મીઠી વીરડી સમાન છે. આ પ્રકારના સંબંધો ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે. પશ્વિમની કે અન્ય સંસ્કૃતિમાં આવું બહું ઓછું જોવા મળે છે.
ખરેખર ભાઈ-બહેનનું હેત અસીમ હોય છે. લોહીની સગાઈ હોય કે ધર્મના ભાઈ-બહેન બન્ને હેતને જીવનભર બાંધી રાખે છે. ભાઈ-બહેન બંને એકબીજાથી દુર હોય તો પણ આ સ્નેહ સરીતામાં આ રક્ષા તણાઈને જલ્દી વીરા પાસે આવી પહોચે છે.
બહેનએ ભાઈ માટેનું એવું વાત્સલ્યનું ઝરણું છે, જે કયારેય સુકાતું નથી. બહેન સાથેનો સંબંધએ ભાવજગત અને વ્યવહારજગત સાથે જોડાયેલો સંબંધ છે. પરમપિતા પરમાત્માએ તો બહેનનું નિર્માણ કરીને માની ખાલી જગ્યા પુરી આપી છે. વ્યકિતના અતીતનો કોઈને કોઈ તંતુ બહેન સાથે જોડાયેલો હોય છે જ.
રક્ષાબંધન એ આપણને આધ્યાત્મિક દ્રષ્ટિ ધારણ કરવા એટલે કે સર્વને સ્થૂળ દ્રષ્ટિથી સ્ત્રી કે પુરુષ રૂપે ન જોતાં આત્મા કે ભાઈભાઈ કે ભાઈ-બહેન સમજયાની પ્રેરણા પુરી પાડે છે. આ સાત્વિક દ્રષ્ટિવૃતિ માટે પવિત્રતાનું પાલન અનિવાર્ય છે. રક્ષાબંધનનો સંદેશ પવિત્ર બનો એવો છે.
હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવાતું રક્ષાબંધનનું પર્વ એટલે ભગિની પ્રેમ બંધન. રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના વિશુધ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં અમુલ્ય પરીવર્તન આવી જાય. બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે. જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
રાખડીએ માત્ર સુતરનો તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમ ની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. બહેન પોતાનું રક્ષણ ઈચ્છે છે એટલું જ નહી પરંતુ પોતાનો ભાઈ ખુબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવે છે.
રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવઅથવા નાળીયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની જનોઈને વિધિપૂર્વક બદલાવે છે.
રક્ષાબંધનના વ્રતના પ્રભાવે ભાઈ બહેનનો હેત વધે છે. http://hamarawebsite.com/schools/Vadodara/skhvidyalaya/eventsdetails.asp?sid=203&id=6

Rakshabandan રક્ષાબંધન

રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નુંપ્રતિક છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસેઆ તહેવાર
મનાવવામાં આવેછે.આ દિવસે સાગરખેડુ અને માછીમારો નારિયેળ વધેરીને દરિયાની પૂજા કરે છે. રક્ષાબંધન ને નારિયેળી પૂનમ તરીકેપણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો નદી કે તળાવ કિનારે જઈને વિધિસર જનોઈ બદલે છે.આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર કંકુનો ચાંલ્લો કરીને તેના પર ચોખા લગાવે છે. ત્યારબાદ રાખડી બાંધે છે, તેની આરતી ઉતારે છે અને મીઠાઈ ખવડાવે છે. બદલામાં ભાઈ પોતાની બહેન ને ભેટ આપે છે અને સાથે સાથે બહેનની રક્ષા કરવાનું વચન પણ આપે છે.
કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે અને તેમના હૃદય પરિવર્તન ની સાથે સાથે તેમનું જીવન પરિવર્તન પણ થાય એવી શુભેચ્છા પાઠવે છે. જે બહેનો ભાઈના ઘરે નથી જઈ સકતી તે ટપાલ દ્વારા ભાઈને રાખડી મોકલે છે.કુંતામાતાએ મહાભારતના યુદ્ધ માં જતા અભિમન્યુ ને તેની રક્ષા થાય અને એને વિજય મળે તે ભાવ થી રાખડી બાંધી હતી. મેવાડ ની રાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલીને હુમાયુને પોતાનો ભાઈ માન્યો હતો. તેથી હુમાયુએ કર્માંવતીના રાજ્યની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું
આમ ધાર્મિક તહેવારો આપણા સંબંધો મજબુત બનાવે છે.
................................................................................................................................

Raksha Bandhan, also abbreviated to Rakhi, is the Hindu festival that celebrates brotherhood and love. It is celebrated on the full moon in the month of Sravana in the lunar calendar.
The word Raksha means protection, whilst Bandhan is the verb to tie. Traditionally, during the festival sisters tie a rakhi, a bracelet made of interwoven red and gold threads, around their brothers’ wrists to celebrate their relationship.
Today the festival has developed with others joining in the festivities:
  • Priests tie rakhis around the wrists of congregation members.
  • Rakhis are often shared between close friends.
  • Women tie rakhis around the wrists of the prime minister.
  • Rakhis are tied around the wrists of soldiers.
Meaning of the rakhi
It is believed that when a woman ties a rakhi around the hand of a man it becomes obligatory for him to honour his religious duty and protect her.
Traditional stories state that rakhis are blessed with sacred verses and are encompassed by them.
Sometimes rakhis are consecrated in rice and grass before they are given, and they are traditionally tied by people familiar with the Vedas.
Following these customs the rakhi is believed to remove sin from one hand and provide safety to the other. The protection offered by a rakhi is believed to remain for a year.
Customs and practices
As the rakhi is tied, a prayer is offered asking for happiness and prosperity.
Today rakhis are often decorated with multi-coloured silk thread, and often adorned with stones and beads.
Once the rakhi has been tied a mantra is chanted either in Sanskrit or Punjabi.
At the end of the ceremony the sister places a sweet in her mouth. Following this her brother gives her a small monetary gift of appreciation.
This festival has evolved over the years to encompass the importance of many people in Hindu society, yet foremost it continues to honour and uphold the relationship between a sister and brother.
It is a significant festival in the Hindu calendar, followed eight days later by Janamashtami.


Rakhi is basically a sacred thread of protection embellished with the love and affection of a sister for her brother.Raksha Bandhan is celebrated this year on 10th of August 2014.Raksha Bandhan is a Hindu festival that celebrates the love and duty between brothers and sisters; the festival is also popularly used to celebrate any brother-sister like loving protective relationship between men and women who are relatives or biologically unrelated.
Raksha Bandhan celebration is the festival to express the immaculate love between brothers and sisters.Raksha Bandhan is an ancient festival, and has many myths and historic legends linked to it.

From:  Vinodbhai.M.Machhi(Nirankari)
At & Post:Navi Wadi,Teh:Shehera
Dist:Panchmahals (Gujarat)
Phone: 9726166075 (M)


Remember that when you leave this earth, you can take with you nothing that you have received-only what you have given: a full heart enriched by honest service, love, sacrifice and courage.


No comments:

Post a Comment