Saturday 22 June 2024

મહારાષ્ટના મહાન સંત નામદેવજીની શ્રદ્ધા-ભક્તિ

 

મહારાષ્ટના મહાન સંત નામદેવજીની શ્રદ્ધા-ભક્તિ

 

એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી.મુક્તાબાઈએ ગોરા કુંભારને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું. આમાં પાકા કોણ અને કાચા કોણ છે?” ગોરા કુંભાર ઉભા થયા અને માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ બધાના માથા પર ટપલી મારી પરીક્ષા કરે છે.ભક્તોમાં એક નામદેવ પણ હતા,તેમને અભિમાન થયેલું કે ભગવાન મારી સાથે વાતો કરે છે,હું ભગવાનનો લાડીલો દિકરો છું. ફરતા ફરતા ગોરા કુંભાર નામદેવ પાસે આવ્યા અને માથા પર ટપલી મારી.નામદેવ કંઈ બોલ્યા નહિ પણ મોં સહેજ બગડ્યું. આ રીતે કુંભારના હાંડલા પારખવાની રીતે મારી પરીક્ષા થાય?”

બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહિ.ગોરા કુંભારે નિર્ણય જાહેર કર્યો કે એક નામદેવનું હાંડલું કાચું છે.બાકી બધાના હાંડલા પાકા છે.બુદ્ધિમાં જ્યાં સુધી અભિમાન છે,કામ છે,કપટ છે ત્યાં સુધી બુદ્ધિ કાચી છે.અભિમાન દૂર ત્યારે થાય કે જયારે બુદ્ધિ કોઈને શરણે જાય.અભિમાન હોય ત્યારે કોઈનું શરણ સ્વીકારવાનું બુદ્ધિ ના પડે છે.ભક્તિમાં અભિમાન આવે ત્યારે ગુરૂનું શરણ સ્વીકારવાનું એટલા માટે જ કહ્યું છે.શરણે જવાથી હુંનો વિનાશ થાય છે.જ્ઞાન મળે છે,સર્વમાં સર્વેશ્વરના દર્શન થાય છે.

નામદેવજી તે પછી વિઠ્ઠલદાસજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી. વિઠ્ઠલદાસજી કહે મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય કે તારૂં હાંડલું કાચું છે તો તું જરૂર કાચો. નામદેવ તને વ્યાપક બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થયો નથી, તેં હજુ સદગુરૂ કર્યા નથી તે માટે મંગળવેઢામાં મારા એક ભક્ત વિઠોબા ખેચર રહે છે તેમની પાસે જા તે તને જ્ઞાન આપશે. તે પાછી નામદેવ વિઠોબા ખેચરને ત્યાં જાય છે. તપાસ કરતા જાણવા મળ્યું કે વિઠોબા મંદિરમાં છે. ત્યાં જઈને જોયું તો વિઠોબા શિવલિંગ પર પગ મુકીને સુતેલા હતા. વિઠોબાને જાણ થઇ ગયેલી કે નામદેવ આવે છે તેથી તેણે શિક્ષણ આપવા પગ ભગવાન શંકરના લિંગ ઉપર રાખીને સૂતા છે. નામદેવે આ દ્રશ્ય જોયું. નામદેવને થયું આવો પુરૂષ જે ભગવાનની પણ આમન્યા રાખતાં નથી તે મને શું શિક્ષણ આપવાનો હતો? ફરીથી અહીં તેમનું અભિમાન ઉછળી આવ્યું છે. નામદેવે તેમને શિવલિંગ પરથી પગ લઇ લેવા કહ્યું.

વિઠોબા કહે છે કે તું જ મારા પગ શિવલિંગ પરથી ઉઠાવીને કોઈ એવી જગ્યાએ મુક કે જ્યાં શિવલિંગ ન હોય. નામદેવ વિઠોબાના પગ ઉઠાવીને જ્યાં પણ તે પગ મુકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે છે. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું. નામદેવને આશ્ચર્ય થયું. આ શું? એટલે વિઠોબાએ નામદેવને કહ્યું કે ગોરાકાકાએ કહેલું કે તારી હાંડલી હજુ કાચી છે તે સાચું છે. તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે વિઠોબા રહેલા છે. નામદેવને ગુરૂ મળ્યા. ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો. અભિમાન ઉતર્યું અને નામદેવને સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા માંડ્યા.નામદેવ ત્યાંથી પાછા ફરતા હતા. રસ્તામાં જમવાની તૈયારી કરી. એક ઝાડ નીચે બેઠા અને રોટલો કાઢ્યો ત્યાં જ રસ્તા પરથી એક કૂતરો આવ્યો અને રોટલો લઇને નાસવા લાગ્યો.

આજે નામદેવને કૂતરામાં પણ વિઠોબાના દર્શન થાય છે.રોટલો કોરો હતો હજુ ઘી લગાવવાનું બાકી હતું. નામદેવ ઘી ની વાડકી લઇ કૂતરા પાછળ દોડ્યા. વિઠ્ઠલ ઉભો રહે.. વિઠ્ઠલ ઉભો રહે.. રોટલો કોરો છે ઘી ચોપડી આપું.

વ્યાપક બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી ઉપાસના પૂરી થતી નથી.(હાંડલું કાચું છે). સગુણની સેવા કરવાની છે અને નિર્ગુણનો અનુભવ કરવાનો છે.

નામદેવ મહારાજ જયારે પંઢરપુર ગયા ત્યારે પ્રથમ પગથિયે વિઠ્ઠલ વિઠ્ઠલ જયહરી વિઠ્ઠલની ધૂન સાથે પહોંરયા. વિઠ્ઠલજીનો સાક્ષાત્કાર કર્યો અને તેઓ વિઠ્ઠલજીની મૂર્તિમાં સમાઇ ગયા. ભગવાન વિઠ્ઠલજીએ કહ્યું કે મારા દરબારમાં આવનાર દરેક ભકત પ્રથમ તને નમન કરશે અને ત્યાર બાદ મારા દર્શન કરી શકશે. આમ આજે પણ પંઢરપુરના પવિત્ર ધામમાં નામદેવ મહારાજની સમાધી જે મંદિરનું પ્રથમ પગથિયું છે તે નામદેવ પગથિયા તરીકે ઓળખાય છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment