Saturday 22 June 2024

સંતચરીત્ર..મહાન સંત સૈના ભગતની કથા

 

સંતચરીત્ર..મહાન સંત સૈના ભગતની કથા

 

ભક્તોની મહિમા અનંત છે.હજારો એવા ભક્તો છે જેમને પરમાત્માના નામ જપ કરીને,ભક્તિ કરીને સંસારમાં યશ પ્રાપ્ત કર્યો છે.આવા ભક્તોમાં સૈનાજીનું નામ મોખરે છે.તેઓ નાઇ જાતિના હતા.તેઓ ઘણા નિસ્પૃહ,ઉદાર અને સીધા-સાદા વ્યક્તિ હતા.કામ ક્રોધ લોભ વગેરે વિકારો તેમની ચિત્તવૃત્તિને સ્પર્શ પણ કરી શકતા નહોતા.તે ભગવાનના અટલ વિધાનમાં પૂર્ણ વિશ્વાસ રાખી નિશ્ચિંતરૂપથી જીવનનો સદઉપયોગ કરતા હતા.સંત સૈનાજીના સમયમાં ભક્તિની લહેર ચરમસીમા ઉપર હતી.કાશી અને અન્ય સ્થાનો ઉપર અનેક ભક્ત મંડળીઓ બની હતી અને તમામ ભક્તો ભેગા મળીને સત્સંગ કરતા હતા.સમગ્ર નગરમાં તેમની પ્રસંશા થતી હતી.તે તમામને પોતાના પરમ આત્મિયરૂપે જોતા હતા.તમામના પ્રત્યે સમભાવ રાખતા હતા.

આજથી છસો વર્ષ પહેલાંની વાત છે.સંત સૈનાજી બધેલખંડ પ્રાંતના બાંધવગઢના રહેવાસી હતા.સંત સૈના નાઇ(વાળંદ) નગરના રાજા વિરસિંહની નોકરી કરતા હતા.રોજ સવારે રાજ દરબારમાં જઇને રાજાને માલિશ તથા હજામત કરતા હતા.રાજા તેમની સેવાથી ઘણા પ્રસન્ન રહેતા હતા.એકવાર તેમના જીવનમાં વિચિત્ર ઘટના બને છે.એક દિવસ ગામમાં બહારથી સંતોનું આગમન થાય છે.આખી રાત કિર્તન સત્સંગ ચાલે છે.પ્રભુ ભક્તિમાં સૈનાજી એટલા મગ્ન થઇ જાય છે કે સવારે રાજ દરબારમાં જવાનું છે તે ભૂલી જાય છે.સવારમાં રાજાની સેવા કરવાની છે તે માટે અને પોતાના ભક્તનું કામ કરવા માટે અને તેમની લાજ રાખવા માટે ભક્તોના રક્ષક ઇશ્વરે મોરપંખનો ત્યાગ કરી માથે પાઘડી બાંધી સૈના ભગતનું રૂપ ધારણ કરીને રાજાની પાસે જાય છે.જેવી રીતે ગાય પોતાના વાછરડાના હિતના માટે હંમેશાં તત્પર રહે છે તેવી જ રીતે શ્યામસુંદર પોતાના ભક્તનું કલ્યાણ કરવા માટે હંમેશાં તત્પર રહે છે.રાજાને તેલથી માલિશ કરે છે જેનાથી રાજાને ઘણી જ પ્રસન્નતા થાય છે. ભગવાને રાજાની સેવા એટલી શ્રદ્ધા સાથે કરી કે રાજા પ્રસન્ન થઇને પોતાના ગળામાં પહેરેલ હાર ઉતારીને સૈના ભગતના ભ્રમમાં ભગવાનને આપે છે.ભગવાને હંસીને હારનો સ્વીકાર કર્યો અને તે હાર સૈના ભગતના ગળામાં પહેરાવી દીધો અને તેની તેમને ખબર પણ ના પડી.

 

સવાર પડતાં સંત સૈનાજીને ભાન થાય છે કે આજે હું રાજમહેલમાં ગયો નથી તેથી રાજા નારાજ થશે આવું વિચારીને તે મહેલ તરફ ચાલવા લાગે છે.મહેલના દ્વારપાળ પ્રસન્નતાપૂર્વક પુછે છે કે ભક્તરાજ ! મહેલમાં કાંઇ ભૂલી ગયા છો કે શું? જે લેવા પાછા આવ્યા છો? મહેલમાં જતાં જુવે છે તો રાજા બાંધવગઢ પોતાના મહેલમાં ફરી રહ્યા હતા.તેમને સ્નાન કરીને કપડાં પહેરી લીધાં હતાં.સૈનાજી ઉદાસ ચહેરે રાજા સમક્ષ ઉપસ્થિત થાય છે તો રાજા કહે છે કે સૈનાજી ! તમે ફરીથી કેમ આવ્યા છો? શું તમારે કોઇ ચીજવસ્તુની જરૂર છે? આજે તો હું તમારી સેવાથી ઘણો જ ખુશ થયો છું.સૈનાજી વિચાર કરે છે કે રાજા મારાથી નારાજ થયા છે તેટલે ગભરાતાં ગભરાતાં વિનંતી કરે છે કે મહારાજ ! ક્ષમા કરો.આપણા નગરમાં બહારથી સંતો પધાર્યા હતા તેથી આખી રાત ભજન-સત્સંગ ચાલ્યો હોવાથી હું સવારમાં આવી શક્યો નહોતો.આ સાંભળીને રાજાને ઘણી જ નવાઇ લાગે છે.તેમને કહ્યું કે આજે તમોને શું થયું છે? અને કેવી વાતો કરી રહ્યા છો? આપ સવારમાં નિયત સમયે જ રાજદરબારમાં આવ્યા હતા.મને આપે જગાડ્યો,નખ કાપ્યા,માલિશ કરી, સ્નાન કરાવ્યું,કપડાં પહેરાવડાવ્યાં અને મેં પ્રસન્ન થઇને મારો હાર ઉતારીને તને આપ્યો હતો અને તે હાર તમારા ગળામાં છે.

 

સંત સૈનાજીએ જોયું તો ખરેખર ગળામાં રાજાએ આપેલ હાર હતો.તે સમયે તેમને ખબર પડી અને રાજાને કહ્યું કે સત્ય એ છે કે હું સવારમાં રાજદરબારમાં આવ્યો જ નથી.હું જેની ભક્તિ કરૂં છું તેમને સ્વયં આવીને મારૂં કાર્ય કર્યું છે.આપે આ માળા ભગવાનના ગળામાં પહેરાવી હતી અને ભગવાને પોતાની શક્તિથી મારા ગળામાં આ હાર પહેરાવ્યો છે,આ તો પ્રભુનો ચમત્કાર છે.આ સાંભળીને રાજાને ઘણી જ નવાઇ લાગે છે.આ ઘટના બન્યા પછી રાજા સંત સૈનાજીના શ્રીચરણોમાં નતમસ્તક થઇ તેમના શિષ્ય બની જાય છે અને કહે છે કે આપની ભક્તિના પ્રતાપથી મને ભગવાનના દર્શન થયા છે,આમ કહી ભક્તિરૂપી અમૃતનું રસપાન કરે છે અને કહે છે કે ભક્તરાજ ! હવે આપશ્રીને રાજ્ય તરફથી જીવનનિર્વાહ માટેનો ખર્ચ આપવામાં આવશે,હવે આપ બેઠા બેઠા આરામથી ભક્તિ કરજો.

આ ઘટના પછી સંત સૈનને વૈરાગ્ય આવી જાય છે.કેટલોક સમય બાંધવગઢમાં રહ્યા પછી સ્વામી રામાનંદજી પાસેથી દિક્ષા લઇને તીર્થયાત્રા માટે નીકળી જાય છે અને પંઢરપુર પહોંચે છે અને ભગવાન વિઠ્ઠલની ભક્તિમાં તરબોળ બની જાય છે.તેઓ સંત જ્ઞાનેશ્વરજી મહારાજના જ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા.તેમને સંત જ્ઞાનેશ્વરજી મહારાજ સાથે પણ ઘણો સમય સત્સંગ કર્યો હતો.તેઓ જ્ઞાનેશ્વરને પોતાના પરમ મિત્ર માનતા હતા.તેઓ કહેતા હતા કે ભગવાન વિઠ્ઠલની ભક્તિથી મારા મનની વિષય વાસના દૂર થઇ છે.પ્રેમપૂર્વક ભગવાનનું નામ-સુમિરણ કરવાથી કાળ દૂર ભાગી જાય છે.તમામ દોષો દૂર થાય છે. તેમની ભગવાન્નામ ભક્તિ નિઃસંદેહ અસાધારણ કક્ષાની હતી.તેમના પદો ગુરૂગ્રંથ સાહેબમાં આલેખિત છે. મરાઠીમાં તેમને એકસો પચાસ અભંગોની રચના કરી છે.  

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment